આજકાલ અજીબોગરીબ રાજકારણ ખેલાઈ રહ્યું છે. તેમાં કોઈ પાછળ નથી. બધાની નજર 2022 નહીં 2024 પર છે. વચ્ચે જે પ્રદેશોની ચૂંટણી આવશે તેમાં જો મેળ પડી જાય તો એવા સરસ સપના સાંભળીને જીવરામ જોશીનો શેખચલ્લી યાદ આવી જાય. ઝાડ નીચે ચલ્લીભાઈ સૂતા હતા. ઉપર ડાળ પર કાગભાઈના મોઢામાં પૂરી હતી. બસ, પછી શું? બંદાએ બધુ ધારી લીધું, ‘કાગકા મુંહ ખૂલેગા, પૂરી છટક જાયેગી, નીચે ગીરેગી, બન્દા ઉસે આમ કે રસમેં ઝબોલ ઝબોલ કર ખાયેગા!’
હવે એવું કરવું હોય તો રાજકીય તીકડમબાજી વિના કેમ ચાલે? આઝાદીના અમૃત મહોત્સવ આપણા મતદારનો હિસાબ-કિતાબ લેવા જેવો છે. ખરેખર તે નાત-જાત-કોમ-સંપ્રદાય-નાણાં-ગુંડાગર્દીના પરિબળોથી તદ્દન મુક્ત થઈને જ મત આપે છે? આની સીધી ગણતરી માટે સંસદ કે ધારાસભામાં ડોકિયું કરીએ. એક ગણતરી એવી છે કે સિત્તેર ટકા પ્રતિનિધિઓ તો ઠીક વર્તે છે પણ બાકીનાઓ છેક છેડે બેસે તેવા ધાંધલ-ધમાલ, બૂમરાણ અને તોફાનો કરે છે. ગમે તેવા વિધેયકો પસાર કરવાના હોય, સાંભળે એ બીજા! બસ અમને સાંભળો એવું કહીને ય તેઓ સાંભળવાને બદલે પાટલી પર ઉભા થઈ જાય, નાના પાટિયાં બતાવે, સામૂહિક નારાબાજી કરે, કેટલાક શૂરાપૂરા છેક અધ્યક્ષની વેલ સુધી ધસી જાય, વિધેયકના કાગળિયા ઉછાળે, કોઈ વળી માઈકને તોડી નાખે.
આવા વરવા દ્રશ્યો પછી અધ્યક્ષ કેટલાકને અમુક દિવસ કે સત્ર પૂરું થાય ત્યાં સુધી બરતરફ કરે તો તેમને માટે ત્યાં સંસદ પરિસરમાં જ મહાત્મા ગાંધીની વિશાળ પ્રતિમા હાજર છે, ત્યાં જઈને ધરણાં કરે. અગાઉ એકવાર ઉપસભાપતિ ડૉ. હરિવંશે આની ઓફર કરી હતી. હવે તો ખુદ ધરણાકારોના સાક્ષી સત્યો કાજુબદામની કતરી, ગાજરનો હલવો, પકોડાં અને જલેબી લાવીને બધાને મોજ કરાવે છે. કોઈ પ્રતિમામાં પ્રાણ પુરાતો નથી એટલે ગાંધીજી પરમ શાંતિથી તેના સાક્ષી બની રહે! કરે પણ શું?
આમાં એક નવો ફણગો ફૂટ્યો. કોંગ્રેસ પક્ષના નેતા છે અધીર રંજન ચૌધરી. કહે છે કે કોઈ સમયે સામ્યવાદી હતા, હવે કોંગ્રેસ નેતા છે. લોકસભામાં હાથ ઉંચા કરીને ઈધર-ઉધરના એક્શન કરતા અધીર રંજનને સાંભળવાનું મનોરંજન મેળવવા જેવું છે. બસ, ક્યારેક ગુજરાતી ભાષામાં જેને ‘બફાટ’ કહેવામાં આવે તેવું કરી નાખે! મહામહિમ રાષ્ટ્રપ્રમુખ દ્રૌપદી મૂર્મુ વિશે તેમણે ‘રાષ્ટ્રપત્ની’ શબ્દ વાપર્યો અને હો-હા થઈ ગઈ! દેશની પાસે રાષ્ટ્રપિતા તો છે પણ રાષ્ટ્રપત્ની, રાષ્ટ્રપુત્રી, રાષ્ટ્રપુત્રવધુ, રાષ્ટ્ર-જમાઇ, રાષ્ટ્ર-પૌત્ર, રાષ્ટ્ર-મામા, રાષ્ટ્ર-મામી નથી, એટલે અધીર રંજને પોતે ‘ઐતિહાસિક પૂર્તિ’ કરે છે તેવા ઈરાદાથી આમ કહ્યુ હશે?
કોણ જાણે! તેમણે પછીથી ‘સ્લીપ ઓફ ટંગ્સ’ શબ્દ વાપર્યો. “માફી માંગીશ પણ દ્રૌપદીજીની, આ (ભાજપના) પાખંડીઓની નહીં” એવું અધીર-વાક્ય ઉછાળ્યું. દરમિયાન કોંગ્રેસ પ્રમુખે ધૂંઆધાર ભાષણ પછીના સ્મૃતિ ઈરાનીને ‘ડોન્ટ ટોક ટુ મી’ કહ્યું. હવે એ જેન્ડર બાયસની વ્યાખ્યા પણ બદલવી પડશે. પુરૂષ સ્વભાવથી અધીર રંજને રાષ્ટ્રપત્ની શબ્દ વાપર્યો એમ તો કહેવાયું પણ બે માનનીય સ્ત્રી સાંસદો એકબીજા સાથે બાખડી પડ્યાં ત્યાં ‘જેન્ડર બાયસ’ ક્યાં?
આ મનોરંજન ‘માફામાફી’નું છે. આપણા સાધુસંતો શીખવી ગયા કે ક્ષમા વીરસ્ય આભૂષણમ. માફી માંગો એટલે પાપ ગંગામાં ધોવાઈ જશે. ‘હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી વહે છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.’ કવિ કલાપીની આ પંક્તિઓ પણ પોતે કર્યુ તે ખોટું છે તે એવું જે માને તો ને? પક્ષ આખાને ભેરવી પાડનારા અધીરે તેનો રસ્તો કાઢ્યો અને રાષ્ટ્રપતિની રૂબરૂ જઈને માફી માંગવાની જાહેરાત કરી. રાષ્ટ્રપતિની આજ સુધી આવી અવમાનના થઈ હોય તે કોઈએ સાંભળ્યું નથી. શું તેનું કારણ એક છેક પછાત વર્ગની જનજાતિ-સંથાલીમાંથી આ મહિલાઓ આવે અને જીતી જાય તેની પ્રક્રિયા છે?
1977માં જનતા પક્ષ જીત્યો ત્યારે વડાપ્રધાનપદ માટે ત્રણ નામ હતા, કેટલાક એકમે જગજીવનરામનું નામ પસંદ કર્યુ તો ચૌધરી ચરણસિંહ શું બોલ્યા તેનો કિસ્સો ડો. સુબ્રમણ્યમ સ્વામી પાસે છે. એક દલિત રાષ્ટ્રપ્રમુખ ન બની શક્યાનો અફસોસ જગજીવનરામે કર્યો હતો. જો કે તે પછી આપણે દલિત રાષ્ટ્રપતિ પણ પસંદ કર્યા છે- અહીં પ્રતિક્રિયા બીજી જ છે: એક તો ભાજપે-એનડીએ ઉમેદવાર પસંદ કર્યા, બીજું તે જનજાતિથી ‘ચમત્કાર થશે ને પરિણામ બીજું આવશે’ એવું વિપક્ષો માનતા હતા તેની પ્રતિક્રિયાના આવા પ્રદર્શનથી થયાં છે. એમ પણ ઘણાબાધા માને છે.
માફી શબ્દમાં ઘણા ઈરાદા આવી જાય છે. ઘણીવાર કોઈ નેતા બોલે તે છપાય કે ટીવી પર આવે ત્યારે તેમનો ખુલાસો હાજર હોય છે. ‘સંદર્ભ વિના આ વાક્યનો ઉપયોગ કરવામાં આવ્યો છે.’ માફી પણ-અધીર રંજને જ્યારે મોકો મળે અને પક્ષ પોતે તેવું સૌજન્ય દાખવે- ત્યારે જ આ ઘટનામાં માફામાફીનું પૂર્ણવિરામ આવે.
લેખકનો પરિચય :-
પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…
વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.
(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)
Published On - 10:49 pm, Sat, 30 July 22