કોરોનાના કારણે દેશભરમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેમજ કોરોના ઘણી બધી અલગ અલગ રીતે અસર પણ કરી રહ્યો છે. દેશમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ બીમારી સાથે આર્થિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. તો બીજી તરફ ડોકટરો પણ લોકોના જીવ બચાવવા રાત દિવસ એક કરી રહ્યા છે.
આવામાં કોરોનાને લઈને વિવાદો પણ ખુબ ચાલી રહ્યા છે. તાજેતરમાં બાબા રામદેવને લઈને પણ વિવાદ બહાર આવ્યો હતો. જેમાં બાબા રામદેવે એલોપથી પર આપેલા કથિત નિવેદનો સામે IMA એ રોષ વ્યક્ત કરી બાબા રામદેવ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
આ બધા વિવાદ વચ્ચે પતંજલિ માટે દુઃખદ સમાચાર આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર પતંજલિના ડેરી બિઝનેસના CEO સુનીલ બંસલને કોરોના ભરખી ગયો. અહેવાલ અનુસાર સુનીલ બંસલ છેલ્લા કેટલાક સમયથી શરદી અને તાવથી પીડિત હતા, ત્યાર બાદ ફેફસામાં વધુ ઇન્ફેકશન થયું હોવાનું જાણમાં આવ્યું હતું.
ઇન્ફેકશન વધવાના કારણે તબિયત લથડતા સુનીલ બંસલને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલનું માનીએ તો સારવાર દરમિયાન તેમને બ્રેઈન હેમરેજ થતા તેમનું અવસાન થયું છે. 19 મેના રોજ તેમણે છેલ્લા શ્વાસ લીધા.
એક ખાનગી સમાચારના અહેવાલ અનુસાર સુનિલ બંસલના એક નજીકના સહાયકે જણાવ્યું હતું કે તેમને છેલ્લા કેટલાક દિવસોથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. પરંતુ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં, તેમના જીવનના છેલ્લા દિવસોમાં બ્રેઈન હેમરેજ પણ થયું હતું. આ બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા.
અત્યાર સુધી મળેલી માહિતી અનુસાર પતંજલિ આયુર્વેદ સંસ્થામાં કોરોનાના કારણે સુનિલ બંસલનું નિધન એ પહેલું નીધન છે. જો કે આ બાબતે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ મળી નથી કે કોરોનાના કારણે કે અન્ય કારણ તેમનું મૃત્યુ થયું છે.
સુનિલે 2018 માં ચાર્જ સંભાળ્યો હતો
સુનિલ બંસલે 2018 માં પતંજલિ આયુર્વેદના ડેરી બિઝનેસનો કાર્યભાર સંભાળ્યો હતો. આ તે સમય હતો જ્યારે પતંજલિ કંપનીએ ડેરી પ્રોડક્ટમાં જંપલાવ્યું હતું. કંપનીએ દૂધ, દહીં, છાશ અને ચીઝ સહિતના અન્ય ઉત્પાદનો વેચવાની યોજના જાહેર કરી હતી.
સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર સુનીલ બંસલે સંસ્થાને ડેરી પ્રોડક્ટ તૈયાર કરવાની સલાહ આપી હતી, ત્યારબાદ પતંજલિ આયુર્વેદ સંસ્થાએ તેને આ બિઝનેશ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો.
આ પણ વાંચો: Vaccination: બાળકો માટે કોરોના વૅક્સીનની તૈયારી પૂરજોશમાં, વર્ષના અંત સુધીમાં WHO તરફથી મળી શકે છે લાયસન્સ
Published On - 1:48 pm, Mon, 24 May 21