રાષ્ટ્રપતિની ચૂંટણી માટે વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિંહા (Yashwant Sinha ) આજે ઉમેદવારી નોંધાવશે. દરમિયાન, TRS પાર્ટીએ રાષ્ટ્રપતિની ચૂંટણી (Presidential Election 2022) માટે વિપક્ષ સમર્થિત રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર યશવંત સિંહાને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે. આને ધ્યાનમાં રાખીને તેલંગાણાના મુખ્ય પ્રધાન કે ચંદ્રશેખર રાવ (KCR) અને TRSના કાર્યકારી પ્રમુખ કેટી રામા રાવ આજે દિલ્લીમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે યશવંત સિંહાના નામાંકનમાં હાજરી આપશે.
આ દરમિયાન યશંવતસિંહાનું નામ બધાની સામે રાખનાર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પણ હશે. પશ્ચિમ બંગાળ રાજ્યમાં વ્યસ્ત કાર્યક્રમને કારણે મમતા બેનર્જી હાજર નહીં રહે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત, તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન પણ આ બધાની સાથે જોડાશે.
વિપક્ષના સમર્થનની વાત કરીએ તો લગભગ તમામ વિરોધ પક્ષો યશવંત સિંહાના સમર્થનમાં ઉભા છે. જો કે, બસપાના વડા માયાવતી, બીજેડીના વડા નવીન પટનાયકનો સાથ યશવંતસિંહાને નથી.
બીજી તરફ ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેન અને YSR કોંગ્રેસના જગનમોહન રેડ્ડીએ, હાલ પૂરતું યશવંતસિંહાને સમર્થન દર્શાવ્યું નથી.
રાષ્ટ્રપતિપદ માટે NDA દ્વારા જાહેર કરાયેલ ઉમેદવાર દ્રૌપદી મુર્મુ સામે વિપક્ષના ઉમેદવાર યશવંત સિંહા છે. NDAના ઉમેદવાર મુર્મુને પણ અનેક વિપક્ષી દળોનું સમર્થન મળ્યું છે. આ યાદીમાં માયાવતીની બસપા અને નવીન પટનાયકની બીજેડી સામેલ છે. જો આપણે આંકડાઓ પર નજર કરીએ તો, મુર્મુનો હાથ ઉપર છે. તેમના જીતવાની શક્યતા યશવંતસિહા કરતા વધુ છે.