
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ હિંસાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાજપ નેતા શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાના થોડા કલાકો બાદ જ ઉત્તર 24 પરગણા જિલ્લામાં બોમ્બ વિસ્ફોટની ઘટના સામે આવી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ફરી એકવાર તણાવનું વાતાવરણ સર્જ્યું છે.
મળતી માહિતી અનુસાર, પાનિહાટી વિસ્તારમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ ઇન્સ્ટિટ્યૂશન નજીક અચાનક બોમ્બ વિસ્ફોટ થયો હતો. ખાસ વાત એ છે કે આ સ્થળ આરજી કર હોસ્પિટલ બળાત્કાર અને હત્યા કેસની પીડિતાની માતા રત્ના દેબનાથના ઘરથી માત્ર થોડા અંતરે આવેલું છે.
આ હુમલામાં ભાજપના પાંચ કાર્યકરો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઘાયલોને સારવાર માટે આરજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભય અને ચિંતા ફેલાઈ ગઈ છે.
મીડિયા અહેવાલો મુજબ, પાનિહાટીના વોર્ડ નંબર 2 ખાતે દત્તા રોડ પર ભાજપના કાર્યકરો સ્થાનિક લોકો સાથે વાતચીત કરી રહ્યા હતા. તે દરમિયાન મોટરસાયકલ પર આવેલા કેટલાક શખ્સોએ તેમના પર બોમ્બ ફેંક્યા અને તરત જ સ્થળ પરથી ફરાર થઈ ગયા.
ભાજપે આ હુમલા પાછળ તૃણમૂલ કોંગ્રેસના સમર્થકોનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે આરજી કર કેસની પીડિતાની માતા રત્ના દેબનાથને ભાજપે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા અને તેમણે તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર તીર્થંકર ઘોષને 28,836 મતોથી હરાવ્યા હતા.
ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે હુમલાખોરોને પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. સાથે જ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવાની અપીલ પણ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામો જાહેર થયા બાદથી રાજ્યના અનેક વિસ્તારોમાંથી હિંસા, હુમલા અને તોડફોડની ઘટનાઓ સામે આવી રહી છે. અત્યાર સુધીમાં પાંચ લોકોના મોત થયા હોવાનું કહેવાઈ રહ્યું છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. પોલીસે આ મામલાઓમાં અત્યાર સુધી 200થી વધુ લોકોની ધરપકડ કરી છે.
એક સમયે મમતાના સૌથી વધુ ભરોસાપાત્ર શુભેન્દુએ દીદી સાથે કેમ ફાડ્યો છેડો