
Karnataka : યુક્રેનમાં માર્યા ગયેલા ભારતીય વિદ્યાર્થી નવીન શેખરપ્પાના મૃતદેહને બેંગ્લોર એરપોર્ટ (Bengaluru Airport) પર લાવવામાં આવ્યો છે. ત્યારે કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈએ(CM Basavraj Bommai) એરપોર્ટ પર પહોંચીને મૃતદેહને શ્રદ્ધાંજલિ આપી હતી.
તેમણે કહ્યું કે, નવીન શેખરપ્પાએ યુક્રેનમાં જીવ ગુમાવવો એ દુર્ભાગ્યપૂર્ણ છે. નવીનનો મૃતદેહ યુક્રેનથી અહીં લાવવો ઘણો મુશ્કેલ હતો,આ બહુ હિંમતની વાત છે. આપણા વડાપ્રધાન, (PM Modi) વિદેશ મંત્રી અને સરકારે આ મુશ્કેલ કામ કર્યું છે. હું તે બધાનો આભાર માનું છું.તમને જણાવી દઈએ કે, ખાર્કિવ નેશનલ મેડિકલ યુનિવર્સિટીમાં મેડિકલના અંતિમ વર્ષનો વિદ્યાર્થી નવીન રશિયન ગોળીબારમાં માર્યો ગયો હતો.
ઉલ્લેખનીય છે કે,નવીનના મૃત્યુ બાદ કર્ણાટક સરકારે તેના પરિવારને 25 લાખ રૂપિયાની સહાય પૂરી પાડી અને પરિવારના એક સભ્યને સરકારી નોકરીની જાહેરાત પણ કરી છે. પુત્રનું શરીર દાન કરવાનો નિર્ણય લેનાર પિતાએ કહ્યું, ‘મારો પુત્ર મેડિકલ ક્ષેત્રમાં કંઈક કરવા માંગતો હતો, જે થઈ શક્યું નહીં. ઓછામાં ઓછું તેના શરીરનો ઉપયોગ અન્ય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કરી શકે છે. એટલા માટે અમે પરિવારના સભ્યોએ તેમના શરીરને તબીબી સંશોધન માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે.’
નવીનનો મૃતદેહ ભારત આવે તે પહેલા સીએમ બોમ્માઈએ પીએમ મોદીને પત્ર લખ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે, ‘યુક્રેન યુદ્ધ દરમિયાન ખાર્કિવમાં (Kharkiv) માર્યા ગયેલા નવીન શેખરપ્પાના મૃતદેહને પરત લાવવા બદલ હું તમારો આભાર વ્યક્ત કરું છું. તમારા પ્રયાસોને કારણે નવીન શેખરપ્પાનું પાર્થિવ દેહ સોમવારે બેંગ્લોર આવી રહ્યો છે.’
નવીન દિવસમાં ઘણી વખત તેના પિતા સાથે ફોન પર વાત કરતો હતો. યુદ્ધની સંભાવના વચ્ચે, તેમણે કહ્યું કે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીને રજાઓ જાહેર કરવાની અપીલ કરી હતી જેથી તેઓ બધા દેશમાં પાછા ફરવાની યોજના બનાવી શકે, પરંતુ યુનિવર્સિટીએ તેમની અપીલ ફગાવી દીધી હતી.
આ પણ વાંચો : Cyclone Asani: ચક્રવાત ‘આસની’ના કારણે આંદામાનના કેટલાક ભાગોમાં વરસાદ, ભારે પવનો બની આફત, IMDએ આપ્યુ એલર્ટ