
ભારતમાં નશાનો એક અત્યંત ખતરનાક અને ભયાવહ ચહેરો સામે આવ્યો છે, જેને જોઈને કોઈ પણ ડરી જાય. પંજાબ બાદ હવે બિહાર અને બેંગલુરુના રસ્તાઓ પર ઝોમ્બી ડ્રગ તરીકે ઓળખાતા ઝાયલાઝીનનો કહેર જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો એટલા ચોંકાવનારા છે કે રસ્તા વચ્ચે ઊભેલા જીવતા માણસો પણ પૂતળા જેવા સ્થિર અને અચેત દેખાય છે, જાણે કે તેઓ કોઈ હોરર ફિલ્મમાંથી બહાર આવ્યા હોય. બિહારના રસ્તાઓ પર એક યુવક કલાકો સુધી અચેત હાલતમાં ઊભો રહ્યો, જે આ ડ્રગની ભયાનક અસરનો પુરાવો છે.
આ ભયાનક હાલતનું કારણ ઝાયલાઝીન (Xylazine) નામનું ડ્રગ છે, જેને ટ્રેન્ક ડોપ પણ કહેવાય છે. આ દવાનો ઉપયોગ સામાન્ય રીતે મોટા પશુઓને બેહોશ કરવા માટે કરવામાં આવે છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ વિભાગ (US FDA) એ જાનવરો પર તેના પ્રયોગની મંજૂરી આપી છે. ઝાયલાઝીન નોન-ઓપીયોઈડ ડ્રગ છે, એટલે કે તેમાં અફીણ જેવા પદાર્થો નથી. તે સંપૂર્ણ રીતે કેમિકલ કોમ્પોઝિશનથી બનેલું છે. નેચરલ સબસ્ટેન્સ ન હોવાથી, જ્યારે આ ડ્રગ માણસના શરીરમાં જાય છે, ત્યારે તે તેની નસો અને મગજ પર ગંભીર અસર કરે છે, શરીરનું સંતુલન બગાડી નાખે છે અને વ્યક્તિને અચેત જેવી સ્થિતિમાં પહોંચાડી દે છે.
ઝાયલાઝીન ડ્રગ લેનારાઓને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તેમને અતિશય ઊંઘ આવવા લાગે છે, જેના કારણે તેઓ લગભગ બેહોશ થઈ જાય છે. તેની અસર હેઠળ વ્યક્તિ બરફની જેમ થીજી જાય છે અને કલાકો સુધી બેસી રહે છે કે ઊભો રહે છે. એટલું જ નહીં, વ્યક્તિ અજીબોગરીબ હરકતો અને અલગ-અલગ અવાજો પણ કરવા લાગે છે.
આ ડ્રગનો સૌથી ખતરનાક પાસું એ છે કે તે શરીરમાં સડો પેદા કરે છે, જેને મેડિકલ ભાષામાં નેક્રોસીસ (Necrosis) કહેવામાં આવે છે. આ સ્થિતિમાં ત્વચા ગળવા લાગે છે અને શરીરમાં ગંભીર ઘા પડે છે, જે સમયસર સારવાર ન મળે તો વધુ ઊંડા બની શકે છે. વધારે વખત ઝાયલાઝીન લેવાથી શરીરની ચામડી સડવા માંડે છે અને કેટલીકવાર માણસના અંગ પણ કાપવા પડી શકે છે. ઝાયલાઝીનના ઓવરડોઝથી મોતનો પણ ખતરો રહે છે.
જો કોઈ વ્યક્તિ ઝોમ્બી ડ્રગ્સનું સેવન કરે તો તેની સારવાર કરવી અત્યંત મુશ્કેલ છે. આ પ્રકારના દર્દીઓને અનેક પ્રકારના વ્યસનોની સારવાર સાથે ક્ષતિગ્રસ્ત ત્વચાના અલ્સરવાળા શરીરના ભાગોને દૂર કરવાની જરૂર પડી શકે છે. કેટલાક ઘા એટલા ઊંડા હોય છે કે તે ટેન્ડન અને હાડકાંને પણ ચેપ લગાડી શકે છે. વધુમાં, ઓપીયોઈડ્સના વ્યસન માટે વારંવાર ઉપયોગમાં લેવાતી ઓવરડોઝ રિવર્સલ દવાઓ ઝાયલાઝીન પર અસરકારક સાબિત થતી નથી, જેના કારણે સારવાર વધુ જટિલ બને છે.
આ ડ્રગ પર સામાન્ય એન્ટીડોઝ પણ કામ કરતું નથી, જે તેની જીવલેણતામાં વધારો કરે છે. જો સમયસર આ નશા પર કાબુ નહીં મળે, તો આ ઝોમ્બી ડ્રગ યુવા પેઢીને જીવતા લાશમાં ફેરવી શકે છે. ગુજરાત કે દેશના અન્ય યુવાનો જો આ ડ્રગનું સેવન કરશે, તો તેઓ એક મોટી આફતને નોતરી શકે છે અને તેમના જીવ પર ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. આ ગંભીર સમસ્યાને તાત્કાલિક સંબોધવાની અને યુવાનોને તેનાથી દૂર રાખવાની સખત જરૂર છે.
સરકારી કામ થતા હોય ત્યા બોર્ડ ન મુકેલું હોય તો શું એક્શન લઈ શકાય?