કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના લંડનમાં ગત દિવસોમાં આપેલા નિવેદન પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર સતત આક્રમક બની રહી છે. હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ બુધવારે રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા.કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ લંડનમાં રાહુલ ગાંધીના નિવેદનને લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન, સંસદીય પરંપરા, દેશની લોકતાંત્રિક વ્યવસ્થા અને મતદાન કરનાર દરેક નાગરિકનું અપમાન ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે સંસદમાંથી ભાગવાને બદલે રાહુલ ગાંધીએ આવી ને માફી માંગવી જોઈએ.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે ચૂંટણીમાં જીત અને હાર એ રાજકીય પરંપરાઓનો ભાગ છે, પરંતુ રાહુલ ગાંધીએ એવા દેશની મુલાકાત લઈને વિદેશી શક્તિઓને ભારત પર હુમલો કરવાનું આમંત્રણ આપ્યું છે જેનો ઈતિહાસ ભારતને ગુલામ બનાવવાનો રહ્યો છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું, તમે વિદેશમાં કહ્યું કે તમને દેશની કોઈપણ યુનિવર્સિટીમાં બોલવાનો અધિકાર નથી. જો એમ હોય તો, જ્યારે 2016 માં એક યુનિવર્સિટીમાં ‘ભારત તેરે ટુકડે હોંગે’ ના નારા લગાવવામાં આવ્યા હતા, ત્યારે તમે તેનું સમર્થન કર્યું હતું, તે શું હતું? રાહુલ ગાંધી તમે ખોટું ક્યાં બોલી રહ્યા હતા લંડનમાં કે પછી ભારતમાં ?
તમે એમ પણ કહ્યું કે, તમને તમારા લોકતંત્રના અધિકારોનું દેશની સંસદમાં હનન થતાં જોવા મળી રહ્યું છે. આજે હું રાહુલ ગાંધીને પુછવા માંગુ છુ કે, ગાંધી ખાનદાનના આદેશ અનુસાર જ્યારે લોકસભામાં કોંગ્રેસના સભ્ય કાગળ સ્પીકર પર ફેંકે છે તેમજ સ્પીકરનું અપમાન કરે છે તે શું છે. જ્યારે રાજ્યસભામાં રાષ્ટ્રના ઉપરાષ્ટ્રપતિની ખુરશી તરફ કોંગ્રેસના નેતા કાગળ ફેંકે છે. તે શું છે. હું આજે ભારતના તમામ નાગિરક તરફથી કહેવા માંગુ છું કે, સંસદ આપણા દેશની માત્ર સાંસદનો જમાવડો નથી આપણા દેશની સંવિધાનિક પરંપરા, લોકતાંત્રિક તાકાત અને દરેક ભારતીયનો અધિકાર ક્ષેત્ર છે.
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દેશની સંસદમાં માફી માંગવી જોઈએ. વિદેશમાં જઈને દેશ અને તેની સંસ્થાઓને અપમાનિત કરવાનું કામ કર્યું. મોદીના વિરોધમાં રાહુલ રાષ્ટ્રવિરોધી બની ગયા અને લંડનમાં બેસી લોકશાહીનું અપમાન કર્યું છે.
Published On - 1:31 pm, Wed, 15 March 23