રોપ વે તુટતા એક મહિલાનુ મૃત્યું, 60 પ્રવાસીઓ અધ્ધર લટકી રહ્યાં, એરફોર્સના હેલિકોપ્ટરથી કરાયો બચાવ

|

Apr 11, 2022 | 11:24 AM

રવિવારે સાંજે ત્રિકુટ પર્વત પર સ્થિત રોપ-વેની (Rope-way) ટ્રોલીમાં ટેકનિકલ ખામીના કારણે અકસ્માત થયો હતો. ટ્રોલીનું દોરડું ફસાઈ જવાથી ઘણા પ્રવાસીઓ ટ્રોલીમાં અધ્ધર જ ફસાઈ ગયા હતા. પ્રવાસીઓ માટે બચાવ કાર્ય ચાલુ છે.

રોપ વે તુટતા એક મહિલાનુ મૃત્યું, 60 પ્રવાસીઓ અધ્ધર લટકી રહ્યાં, એરફોર્સના હેલિકોપ્ટરથી કરાયો બચાવ
ropeway broken in deoghar
Image Credit source: Social media

Follow us on

ઝારખંડ (Jharkhand)ના દેવઘરમાં ત્રિકુટ પર્વત પરના રોપ-વેનું દોરડું તૂટવાને કારણે મોટી દુર્ઘટના બની છે. આમાં એક મહિલાનું મોત થયું છે, જ્યારે 60થી વધુ પ્રવાસીઓ ફસાયા છે. ત્રિકુટ રોપવે અકસ્માત બાદ ત્યાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્યાં ફસાયેલા પ્રવાસીઓને બચાવવામાં આવી રહ્યા છે. તેમને એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. ત્રિકુટ પર્વતના રોપ-વેમાં (Rope-way) ફસાયેલા પ્રવાસીઓને નીચે કાઢવા માટે વાયુસેનાનું (Air Force) હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચી ગયું છે. બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અહીં NDRFની ટીમ પરસ્પર સંકલન સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. ફસાયેલા તમામ પ્રવાસીઓને હેલિકોપ્ટર દ્વારા સુરક્ષિત રીતે ટ્રોલીમાંથી નીચે લાવવામાં આવી રહ્યા છે.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, રોપ-વે પર ઓછામાં ઓછી 12 કેબિનમાં 50 લોકો હજુ પણ ફસાયેલા છે અને બચાવ કામગીરી ચાલુ છે. એક અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે આ ઘટના ટેકનિકલ ખામીના કારણે બની હતી, જેના કારણે કેબલ કારની ટક્કર થઈ હતી. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અધિકારીએ જણાવ્યું હતું કે, ઘટના બાદ કેબલ કારમાંથી કૂદવાનો પ્રયાસ કરતી વખતે પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

દેવઘરના ડેપ્યુટી કમિશનર મંજુનાથ ભજંત્રીએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની એક ટીમ ઘટનાસ્થળે તહેનાત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સ્થાનિક લોકો પણ NDRFને બચાવ કાર્યમાં મદદ કરી રહ્યા છે. લોકોને અફવાઓ ન ફેલાવવાની અપીલ કરતાં ડેપ્યુટી કમિશનરે કહ્યું, “સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. કેટલાક લોકો હજુ પણ રોપ-વે પર કેબલ કારમાં ફસાયેલા છે અને તેમને બચાવવામાં આવી રહ્યા છે. તમામ પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે.”

પ્રવાસીઓને બચાવવા માટે હેલિકોપ્ટર પહોંચ્યું

દેવઘરના ત્રિકૂટ પર્વત પર રોપ-વે દુર્ઘટના બાદ કેબલકારમાં ફસાયેલા લોકોને બચાવવા માટે સેનાના હેલિકોપ્ટર સોમવારે સવારથી તહેનાત છે. અત્યારે લગભગ 2000 ફૂટની ઉંચાઈ પર 60 લોકો અલગ-અલગ ટ્રોલીઓમાં ફસાયેલા છે. રવિવારે સાંજે બનેલી આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. ભારતીય વાયુસેના, આર્મી, ITBP અને NDRFની ટીમો બચાવ કાર્યમાં સામેલ છે. ઘટનાસ્થળે સેંકડો લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

એનડીઆરએફની ટીમે રવિવારે રાત્રે બચાવ કામગીરી શરૂ કરી હતી અને લગભગ બે ડઝન લોકોને બચાવ્યા હતા. રાત પડવાને કારણે ઓપરેશન પાછું ખેંચવું પડ્યું હતું. સોમવારે સવારથી જ સેનાના હેલિકોપ્ટર ટ્રોલીઓમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં વ્યસ્ત છે. આ લોકોને બિસ્કીટ અને પાણીના પેકેટ અન્ય ટ્રોલી દ્વારા પહોંચાડવામાં આવ્યા છે. સ્થાનિક સાંસદ નિશિકાંત દુબે, જિલ્લાના ડેપ્યુટી કમિશનર મંજુનાથ ભજંત્રી અને ઘણા ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

આ પણ વાંચોઃ

Amarnath Yatra 2022 : આજથી અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, જાણો કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચોઃ

Fact check: ટ્રાન્ઝેક્શન પહેલા ATM પર બે વાર Cancel બટન દબાવો, નહીં થાય PIN ચોરી, જાણો RBIના દાવાની સંપૂર્ણ સત્યતા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- 

Next Article