
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20 અને 21 જૂને જમ્મુ-કાશ્મીરના પ્રવાસે છે. ત્રીજી વખત પીએમ બન્યા બાદ કેન્દ્રશાસિત પ્રદેશની આ તેમની પ્રથમ મુલાકાત હશે. અગાઉ તે માર્ચમાં ગયા હતા. બે દિવસીય પ્રવાસના પહેલા દિવસે વડાપ્રધાન જમ્મુ-કાશ્મીરના યુવાનોને મળશે. જમ્મુ-કાશ્મીરના લોકોને ઘણી ભેટ પણ આપશે. પીએમ મોદી જમ્મુ અને કાશ્મીરમાં યુવાનોને સશક્ત કરવા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
PM મોદી તેમની મુલાકાતના પહેલા દિવસે એટલે કે 20 જૂને સાંજે 6 વાગ્યે શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) પહોંચશે. અહીં તેઓ યુવાનોને સશક્ત કરવા અને જમ્મુ-કાશ્મીરની કાયાપલટ કરવાના કાર્યક્રમમાં ભાગ લેશે. કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટ (JKCIP) પણ શરૂ કરશે. વડાપ્રધાન મોદી 2000થી વધુ લોકોને નિમણૂક પત્ર પણ આપશે.
પ્રવાસના બીજા દિવસે, વડા પ્રધાન SKICC, શ્રીનગર ખાતે સવારે 6.30 વાગ્યે 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમમાં ભાગ લેશે. અહીં તેઓ લોકોને સંબોધિત કરશે. આ પછી યોગ સેશનમાં ભાગ લેશે. 2015 માં શરૂ થયેલ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવે છે. વડા પ્રધાન મોદીએ અગાઉ કર્તવ્ય પથ (દિલ્હી), ચંદીગઢ, દેહરાદૂન, રાંચી, લખનૌ, મૈસુર અને સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં આયોજિત યોગ દિવસમાં ભાગ લીધો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મુલાકાત દરમિયાન જમ્મુ-કાશ્મીરના લોકોને મોટી ભેટ આપશે. તેઓ રૂ. 1,500 કરોડની 84 વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. તેના દ્વારા જમ્મુ-કાશ્મીરમાં પાણી પુરવઠા યોજનાઓ, માર્ગ નિર્માણ અને શિક્ષણ ક્ષેત્રનો વિકાસ કરવામાં આવશે. એટલું જ નહીં, પીએમ કૃષિ અને અન્ય ક્ષેત્રોના વિકાસ માટે 1,800 કરોડ રૂપિયાના JKCIP પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ જમ્મુ-કાશ્મીરના 20 જિલ્લાના 90 બ્લોકમાં લાગુ કરવામાં આવશે. 15 લાખ લોકોને તેનો લાભ મળશે.
Published On - 7:21 pm, Wed, 19 June 24