વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 18 ડિસેમ્બરને રવિવારે મેઘાલય અને ત્રિપુરા રાજ્યના પ્રવાસે જશે. વડાપ્રધાન તેમના પ્રવાસ દરમિયાન આશરે 6800 કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાની સાથે કેટલાક પ્રોજક્ટસનો શિલાન્યાસ પણ કરશે. વડાપ્રધાન જે વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનુ લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે તેમાં હાઉસિંગ, રસ્તા, કૃષિ, ટેલિકોમ્યુનિકેશન, આઈટી અને પ્રવાસન સહિતના ક્ષેત્રોને આવરી લેવામાં આવી છે.
મેઘાલયના શિલોંગમાં, વડાપ્રધાન નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલના સુવર્ણ જયંતિ સમારોહમાં ભાગ લેશે. કાઉન્સિલનું ઔપચારિક ઉદ્ઘાટન 7 નવેમ્બર 1972ના રોજ થયું હતું. આજે સવારે લગભગ 10:30 વાગ્યે વડા પ્રધાન સ્ટેટ કન્વેન્શન સેન્ટર, શિલોંગ ખાતે નોર્થ ઈસ્ટર્ન કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. ત્યાર બાદ, એક જાહેર સમારંભમાં, વડાપ્રધાન રૂ. 2450 કરોડથી વધુની કિંમતની અનેક કલ્યાણકારી યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન મોદી પૂર્વોતર પ્રદેશમાં ટેલિકોમ કનેક્ટિવિટી વધારવા માટે અનેક 4G મોબાઈલ ટાવર દેશને સમર્પિત કરશે. તેમાંથી 320 થી વધુ મોબાઈલ ટાવર સ્થાપિત થઈ ગયા છે અને લગભગ 890 બાંધકામ હેઠળ છે જે ટુંક સમયમાં સ્થાપિત થઈ જશે.
પીએમ મોદી ઉમસાવલી ખાતે બનાવવામાં આવેલ IIM શિલોંગના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ શિલોંગ-ડિંગપાસોહ રોડનું લોકાર્પણ કરશે, જે નવા શિલોંગ સેટેલાઇટ ટાઉનશિપને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. તેઓ ત્રણ રાજ્યો મેઘાલય, મણિપુર અને અરુણાચલ પ્રદેશમાં મહત્વના ચાર અન્ય રોડ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી મશરૂમ સ્પાન ઉત્પાદન વધારવા માટે મેઘાલયમાં મશરૂમ ડેવલપમેન્ટ સેન્ટર ખાતે સ્પાન લેબોરેટરીનું ઉદ્ઘાટન કરશે. તો મેઘાલયમાં સંકલિત મધમાખી ઉછેર વિકાસ કેન્દ્રનું પણ લોકાર્પણ કરશે. વડાપ્રધાન મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને આસામમાં 21 હિન્દી પુસ્તકાલયોને પ્રજાને અર્પણ કરશે.
વડાપ્રધાન આસામ, મેઘાલય, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા રાજ્યોમાં મહત્વના છ રોડ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેઓ તુરા અને શિલોંગ ટેક્નોલોજી પાર્ક ફેઝ-2 ખાતે ઈન્ટીગ્રેટેડ હોસ્પિટાલિટી અને કન્વેન્શન સેન્ટરનો શિલાન્યાસ પણ કરશે. રોડ કનેક્ટિવિટીને બહેતર બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરીને, પ્રધાનમંત્રી અગરતલા બાયપાસ (ખૈરપુર-અમતાલી) NH-08 ને પહોળો કરવા માટેના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે, જે અગરતલા શહેરમાં ટ્રાફિકની ભીડને હળવી કરવામાં મદદ કરશે. તેઓ PMGSY III (પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના) હેઠળ 230 કિલોમીટરથી વધુ લંબાઈના 32 રસ્તાઓ અને 540 કિલોમીટરથી વધુના અંતરને આવરી લેતા 112 રસ્તાઓના સુધારણા માટે શિલાન્યાસ પણ કરશે.
(with PIB’s input)