PM-CM MEETING : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ ગુરુવારે દેશમાં વધતા જતા કેરોના સંક્રમણ મામલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યપ્રધાનો સાથેની વર્ચ્યુઅલ બેઠક બાદ કોરોના ટેસ્ટીંગ, ટ્રેકિંગ અને સારવાર પર ભાર મૂક્યો હતો. PM MODI એ કહ્યું કે મહારાષ્ટ્ર, છત્તીસગઢ, પંજાબ, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત ઘણા રાજ્યો પણ પહેલી લહેરની ટોચને વટાવી ગયા છે. કેટલાક અન્ય રાજ્યો પણ આ તરફ આગળ વધી રહ્યા છે. આ આપણા બધા માટે ચિંતાનો વિષય છે. મોટાભાગના રાજ્યોમાં, વહીવટ સુસ્ત જણાય છે. આવી સ્થિતિમાં, કોવિડના કેસોમાં અચાનક થયેલા વધારાથી વધુ મુશ્કેલીઓ ઉભી થઈ છે.
11 થી 14 એપ્રિલ રસીકરણ મહોત્સવ ઉજવીએ
PM MODI એ કહ્યું કે 11 થી 14 એપ્રિલ દરમિયાન કોરોના રસીકરણ મહોત્સવ યોજવો જોઈએ. પીએમ મોદીએ કહ્યું કે લોકોને ડરવાની જરૂર નથી, આપણે રસી વિના કોરોનાની લડાઇ જીતી લીધી હતી, આજે આપણી પાસે પણ રસીની શક્તિ છે અને આપણે કોરોના સામેનું યુદ્ધ ચોક્કસ જીતીશું. 11 એપ્રિલે જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ છે અને 14 એપ્રિલે બાબાસાહેબની જન્મજયંતિ છે, આ દરમિયાન આપણે બધા કોરોના રસીકરણ મહોત્સવ ઉજવીએ. પીએમ મોદીએ કહ્યું કે હું બધાને અપીલ કરું છું કે તેઓ COVID 19 ટેસ્ટનો આગ્રહ રાખો.
હમણાં સંપૂર્ણ લોકડાઉન જરૂરી નથી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલા લોકડાઉન લાદવા સિવાય કોઈ રસ્તો નહોતો પરંતુ હવે સંસાધનો વધારે છે, માત્ર સાવધ રહેવાની જરૂર છે. અત્યારે સંપૂર્ણ લોકડાઉન કરવાની કોઈ જરૂર નથી, રાત્રિ કર્ફ્યુ પૂરતો છે. રસી કરતા વધારે ટેસ્ટીંગ પર ભાર મૂકવો જોઇએ. તેમણે કહ્યું કે કોરોના એવી વસ્તુ છે જે તમે બહારથી નહીં લાવો ત્યાં સુધી નહીં આવે. તેથી ટેસ્ટીંગ અને ટ્રેસિંગમાં વધારો કરવાની જરૂર છે. આપણે દરેક સંક્રમીતોના 30 સંપર્કોને શોધી કાઢવા જોઈએ. આપણે ખાતરી કરવી જ જોઇએ કે કોરોના સામેના યુદ્ધમાં સુસ્તીને સ્થાન નથી. જ્યાં સતર્કતાથી કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવે છે ત્યાં વધુ સફળતા મળે છે.
નાઇટ કર્ફ્યુને કોરોના કર્ફ્યુ તરીકે લાગુ કરવામાં આવે
નાઇટ કર્ફ્યુને અસરકારક ગણાવતા પીએમ મોદીએ રાજ્યોને સલાહ આપી હતી કે તેને કોરોના કર્ફ્યુ તરીકે લાગુ કરવામાં આવે. તેનાથી લોકોમાં જાગૃતિ વધશે. પીએમે કહ્યું કે હવે આપણી પાસે સંસાધનો તેમજ અનુભવ છે. રસી કરતા વધારે પરીક્ષણ પર ભાર મૂકવો જોઇએ. પીએમ મોદીએ કહ્યું કે અગાઉ આપણે રસી વિના જીતી ગયા હતા. આપણે ટેસ્ટીંગ પર ભાર મૂકવો પડશે. રસી લીધા પછી પણ, આપણે માસ્ક અને સામાજિક અંતરને અનુસરવું પડશે. આપણે આ સંકટને પણ પાર કરીશું.
ટેસ્ટીંગ માટે સેમ્પલ લેવામાં સાવધાની રાખીએ
પીએમ મોદીએ કહ્યું કે કોરોના ટેસ્ટીંગ માટે સેમ્પલ લેવામાં સાવધાની રાખવી જોઈએ. ટેસ્ટીંગ માટે સેમ્પલ મોઢા અને નાકમાંથી ઊંડેથી યોગ્ય રીતે લેવા જોઈએ. RT-PCR ટેસ્ટને વધારવાની જરૂર છે. આપણું લક્ષ્ય 70% RT-PCR કરવાનું છે. મોટા પ્રમાણમાં ટેસ્ટીંગ કરો.
Published On - 10:47 pm, Thu, 8 April 21