
પરિમલ નથવાણી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરતાં ચોથી વખત રાજ્યસભામાં ચૂંટાઈ આવ્યા છે. રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો માટે ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી, જેમાં નથવાણીએ જીત મેળવીને વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી છે.
પરિમલ નથવાણી અગાઉ વર્ષ 2008થી 2020 દરમિયાન ઝારખંડમાંથી અપક્ષ સાંસદ તરીકે સતત બે કાર્યકાળ સુધી રાજ્યસભામાં સેવા આપી ચૂક્યા છે. રાજ્યસભાના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા અપક્ષ સાંસદ તરીકે પણ તેમની વિશિષ્ટ ઓળખ છે. વર્ષ 2020માં તેમણે આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું, જ્યારે હવે ફરી એકવાર ઝારખંડથી ચૂંટાઈ આવતા તેમણે પોતાની ‘કર્મભૂમિ’માં વાપસી કરી છે.
પોતાની જીત બાદ પરિમલ નથવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ, ઝારખંડ ભાજપના પદાધિકારીઓ તેમજ NDAના તમામ ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે આ જીત માત્ર તેમની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ ઝારખંડના વિકાસ માટે મળેલી નવી જવાબદારી છે.
રાજ્યના વિકાસ અંગે પોતાના વિઝન વિશે વાત કરતાં નથવાણીએ જણાવ્યું કે ઝારખંડ હવે તેમના માટે માત્ર એક રાજ્ય નથી, પરંતુ તેમની કર્મભૂમિ છે. તેમણે કહ્યું કે આગામી સમયમાં તેઓ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, કુટીર ઉદ્યોગોના પુનર્જીવન, રોજગારીની નવી તકો, આરોગ્ય સેવાઓ, શિક્ષણ અને આધુનિક માળખાકીય સુવિધાઓના વિકાસને પ્રાથમિકતા આપવામાં આવશે.
પોતાના અગાઉના કાર્યકાળ દરમિયાન પરિમલ નથવાણીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમણે સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના (MPLADS)ના મોટાભાગના ભંડોળનો ઉપયોગ ગ્રામ વિકાસ, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છતા માટે કર્યો હતો. બડામ-જરાટોલી, ચુટ્ટુ અને બરવાડાગ જેવી ગ્રામ પંચાયતોમાં કરાયેલા વિકાસ કાર્યો આજે પણ મોડેલ પ્રોજેક્ટ તરીકે ઓળખાય છે.
તેમના યોગદાનમાં રાંચી સ્થિત IIM માટે 600 બેઠક ક્ષમતા ધરાવતા આધુનિક સેમિનાર હોલના નિર્માણ માટે આપવામાં આવેલ રૂ. 15 કરોડનું યોગદાન વિશેષ રીતે નોંધપાત્ર છે. આ ઉપરાંત તેમણે પોતાના વ્યક્તિગત ભંડોળમાંથી રાંચી મ્યુનિસિપલ કોર્પોરેશન હોસ્પિટલના પુનઃનિર્માણ માટે પણ સહાય કરી હતી.
નથવાણીએ આરોગ્ય સેવાઓના વિસ્તરણ માટે અનેક આરોગ્ય પેટા-કેન્દ્રોની સ્થાપના કરાવી હતી તેમજ રાજ્યના વિવિધ વિસ્તારોમાં એમ્બ્યુલન્સ પણ દાનમાં આપી હતી. શિક્ષણ ક્ષેત્રે તેમણે મોડેલ સ્કૂલ, પુસ્તકાલય અને યુવાનો માટે મફત કમ્પ્યુટર તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા, PCC રોડ, સૌર ઊર્જા પ્લાન્ટ, સૌર લેમ્પ વિતરણ તેમજ આદિવાસી ધાર્મિક સ્થળોના વિકાસ જેવા અનેક પ્રોજેક્ટ્સ પણ તેમના નેતૃત્વમાં પૂર્ણ થયા હતા. રમતગમતને પ્રોત્સાહન આપવા માટે સ્ટેડિયમ, સ્પોર્ટ્સ ગેલેરી અને સમુદાયિક ઉદ્યાનોનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું.
સંસદમાં પણ પરિમલ નથવાણી ઝારખંડના સૌથી સક્રિય પ્રતિનિધિઓમાં ગણાય છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમણે રાજ્ય અને દેશના વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને 1,200થી વધુ પ્રશ્નો રાજ્યસભામાં ઉઠાવ્યા હતા. તેમાં ગ્રામીણ વિકાસ, કુપોષણ, દુષ્કાળ, માળખાકીય સુવિધાઓ, ન્યાયતંત્રમાં ખાલી જગ્યાઓ અને શિક્ષણ ક્ષેત્રના સુધારાઓ જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
ઝારખંડમાંથી ત્રીજી વખત ચૂંટાઈ આવતાં પરિમલ નથવાણી ફરી એકવાર રાજ્યના વિકાસ માટે મજબૂત અવાજ તરીકે ઉભરી આવ્યા છે. તેમના અનુભવ, વિકાસલક્ષી દૃષ્ટિકોણ અને જાહેર કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા આગામી વર્ષોમાં ઝારખંડના વિકાસને નવી દિશા આપી શકે છે.
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી