પાકિસ્તાનનું નવું નેરેટિવ યુદ્ધ, પાણીના નામે ભારત સામે આંતરરાષ્ટ્રીય મોરચો ખોલવાની તૈયારી

ઈરાન અમેરિકા યુદ્ધમાં મધ્યસ્થી બનીને પાકિસ્તાને સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાના પર કેન્દ્રીત કર્યુ છે. ભારતે અત્યાર સુધી પાકિસ્તાનને આતંકીઓનો દેશ તરીકે વિશ્વ સમક્ષ ખુલ્લુ પાડ્યુ હતુ. તે આતંકીઓના દેશ તરીકેની પોતાની છબી ભૂસીને હવે શાંતિદૂતની ભૂમિકામાં આવી ગયુ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની છબી ચમકાવવા માટે પાકિસ્તાન ભારત સામે 'વોટર વોર' નું નેરેટિવ ઘડી રહ્યુ છે. સિંધુ નદીના પાણી મુદ્દે ભારતને દોષી બનાવી વિશ્વના દેશોની સહાનુભૂતિ મેળવવાની તૈયારી કરી રહ્યુ છે.

પાકિસ્તાનનું નવું નેરેટિવ યુદ્ધ, પાણીના નામે ભારત સામે આંતરરાષ્ટ્રીય મોરચો ખોલવાની તૈયારી
| Updated on: Jun 24, 2026 | 8:57 PM

વર્તમાન સમયમાં પાકિસ્તાન વિશ્વ મંચ પર પોતાની છબી સુધારવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. આતંકવાદના પ્રાયોજક તરીકેની પોતાની જૂની છબીને ભૂંસીને તે હવે મધ્યસ્થી અને શાંતિ દૂતના રૂપમાં દેખાવાનો પ્રયાસ કરી રહ્યું છે, ખાસ કરીને અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં તેણે ભજવેલી ભૂમિકા બાદ તેને વૈશ્વિક સ્તરે પ્રશંસા મળી છે. યુરોપિયન યુનિયન બહેરીન, કેનેડા, જાપાન, ચીન સહિતના દેશોએ ટ્રમ્પ સાથે મળી પાકિસ્તાનની પ્રશંસા કરી. ત્યાં સુધી કે રશિયાએ પણ પાકિસ્તાનને ભજવેલી મધ્યસ્થીની ભૂમિકા બદલ તેની પ્રશંસા કરી.

જોકે, આ પ્રશંસાની આડમાં પાકિસ્તાન એક ખતરનાક રમત રમી રહ્યું છે. પાકિસ્તાનના સૈન્ય પ્રમુખ આસિમ મુનીર અને વડાપ્રધાન શહેબાઝ શરીફની જોડી હવે ભારત સામે ‘વોટર વોર’ એટલે કે જળ યુદ્ધનો નેરેટિવ સેટ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ રણનીતિનો મુખ્ય ઉદ્દેશ્ય પાકિસ્તાની સેના માટે મોટું બજેટ મેળવવાનો અને ભારત સામેના સંઘર્ષને વિશ્વ સમક્ષ ‘મજબૂરી’ તરીકે રજૂ કરવાનો છે.

જળ સુરક્ષાના નામે યુદ્ધની ધમકી

તાજેતરમાં પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં ભારતને સીધી ધમકી આપી કે જો ભારત સિંધુ નદીનું જળ રોકશે, તો પાકિસ્તાન ભારત સામે જંગ છેડી શકે છે. સિંધુ નદીના જળ રોકવાને પાકિસ્તાન ACT OF WAR તરીકે જોશે. આ ધમકીની સાથે જ પાકિસ્તાને સરહદી વિસ્તારોમાં એન્ટી-ડ્રોન યુનિટ્સ તૈનાત કરવાનું શરૂ કરી દીધું છે, જે દર્શાવે છે કે તેકોઈ મોટા સંઘર્ષની તૈયારી કરી રહ્યુ છે.

પાકિસ્તાન વિશ્વ સામે એવો નેરેટિવ ફેલાવી રહ્યું છે કે ભારતે સિંધુ નદીનું પાણી રોકી દેતા ત્યાં જળ સંકટ ઉભુ થયુ છે,ખેતી નષ્ટ થઈ રહી છે, ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે અને આ બધું ભારતના કારણે થઈ રહ્યું છે. આ વિક્ટિમ કાર્ડ રમીને પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાયની સહાનુભૂતિ મેળવવા માંગે છે.

સિંધુ જળ સંધિની વર્તમાન સ્થિતિ શું છે?

વર્ષ 1960માં વિશ્વ બેંકની મધ્યસ્થતામાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ સંધિ થઈ હતી, જેમાં 6 નદીઓના પાણીની વહેંચણી કરવામાં આવી હતી. જેમા રાવી, બિયાસ, સતલજ એ 3 નદીઓનું પાણી ભારતને અને સિંધુ, જેલમ અને ચિનાબ એ ત્રણ નદીનું પાણી પાકિસ્તાનને ફાળવવામાં આવ્યુ હતુ. પાકિસ્તાનને કુલ જળરાશિનો 80% હિસ્સો મળે છે, જ્યારે ભારત પાસે માત્ર 20% હિસ્સો છે. ભારત માટે આ ભૌગોલિક મર્યાદા હતી કે નદીઓનો પ્રવાહ કુદરતી રીતે પાકિસ્તાન તરફ જતો હતો, જેના કારણે તે સમયે ભારતે આ શરતો સ્વીકારી હતી. જોકે, બદલાતા સમય સાથે ભારત હવે આ નદીઓ પર હાઈડ્રો પાવર પ્રોજેક્ટ્સ અને ડેમ બનાવીને પોતાના હિસ્સાના પાણીનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે.

પાકિસ્તાને શરૂ કર્યુ નેરેટિવ વોર

પાકિસ્તાન જે ‘વિક્ટિમ કાર્ડ’ રમી રહ્યું છે, તેને ભારતીય મીડિયાના કેટલાક અંશો અજાણતામાં મદદ કરી રહ્યા છે. ભારતીય મીડિયામાં આવતા ‘ભારતે પાકિસ્તાનને તરસ્યું રાખ્યું’ કે ‘પાકિસ્તાનનું પાણી રોક્યું’ જેવા સમાચાર પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય મંચો પર પુરાવા તરીકે રજૂ કરે છે. અસલમાં ભારત પાસે ભૌગોલિક રીતે સિંધુ નદીનું 100% પાણી રોકવાની ક્ષમતા જ નથી. ભારત માત્ર સ્માર્ટલી સંધિની શરતોનો ઉપયોગ કરી રહ્યું છે. જ્યારે પાકિસ્તાનને પાણીની વધુ જરૂર હોય, ત્યારે ભારત પોતાના 20% હિસ્સાની પૂર્તિ માટે પાણી સંગ્રહ કરે છે અથવા તેમને જાણ કર્યા વગર પોતાના ડેમનું સંચાલન કરે છે. આ કોઈ સંધિનું ઉલ્લંઘન નથી, પરંતુ પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરવાની બાબત છે.

પાકિસ્તાનમાં જળ સંકટનું અસલી કારણ

પાકિસ્તાનમાં અત્યારે જે જળ સંકટ દેખાય છે, તેનું મુખ્ય કારણ ભારત નથી, પરંતુ કુદરતી પરિબળો છે. ‘સુપર અલ નીનો’ને કારણે હિમાલયમાં બરફ ઓછો પિગળી રહ્યો છે અને વરસાદની પણ અછત છે, જેના કારણે કુદરતી રીતે જ નદીઓમાં પાણીનો પ્રવાહ ઓછો થયો છે. આ ઉપરાંત, પાકિસ્તાનનું પોતાનું જળ વ્યવસ્થાપન અત્યંત નબળું છે, જેના કારણે ત્યાંની નહેરોમાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને ખેતી પર અસર થઈ રહી છે. પાકિસ્તાન સરકાર પોતાની આ નિષ્ફળતા છુપાવવા માટે જનતાનું ધ્યાન ભારત તરફ વાળી રહી છે, જેથી તે સૈન્ય કાર્યવાહીને વ્યાજબી ઠેરવી શકે.

ભારતનું સ્પષ્ટ વલણ: “પાણી અને લોહી એકસાથે નહીં વહે”

જો પાકિસ્તાન આતંકવાદ ફેલાવવાનું ચાલુ રાખશે, તો ભારત તેને મળતી જળ સુવિધાઓમાં ચોક્કસપણે કાપ મૂકશે અથવા સંધિની શરતોને કડક બનાવશે. ભારત માટે અત્યારે સૌથી મહત્ત્વનું એ છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનના નેરેટિવને નિષ્ફળ બનાવે. ભારતે વિશ્વને સમજાવવું પડશે કે તે કોઈ માનવીય સંકટ ઊભું નથી કરી રહ્યું, પરંતુ પોતાના કાયદેસરના જળ અધિકારોનો ઉપયોગ કરી રહ્યું છે.

ભારત આગળ શું કરી શકે?

  • આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતે આતંકવાદ અને સિંધુ જળ સંધિના મુદ્દાને અલગ ન થવા દેવો જોઈએ.
  • જો પાકિસ્તાન સુરક્ષા જોખમ ઊભું કરે છે તો તેને મળતા પાણીના અધિકારો પર અસર પડશે જ
  • ગલ્ફ દેશો સાથેના સંબંધો વધુ ગાઢ કરવા જોઈએ. ભારતે યુએઈ, સાઉદી અરેબિયા અને કતાર જેવા દેશોનું ભારતમાં રોકાણ વધારવું જોઈએ.
  • જો આ દેશોના નાણાં ભારતમાં રોકાયેલા હશે, તો યુદ્ધની સ્થિતિમાં તેઓ પોતાના રોકાણના રક્ષણ માટે ભારતની સાઈડ ઊભા રહેશે.
  • વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવુ જોઈએ. ભારતે જે રીતે નેશનલ હાઈવેનું નિર્માણ કર્યું છે, તે જ ગતિએ વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્ટોરેજ પ્રોજેક્ટ્સ વિકસાવવા જોઈએ.
  • ભારતે ક્લાઈમેટ ચેન્જ અને વધતી જતી વસ્તીને કારણે પોતાની પાણીની જરૂરિયાતો વધી છે તેવો મજબૂત કેસ આંતરરાષ્ટ્રીય અદાલતોમાં તૈયાર રાખવો જોઈએ.

સિંધુ જળ સંધિ હવે માત્ર ટેકનિકલ કરાર નથી, પણ એક મોટું કૂટનીતિક હથિયાર બની ગયું છે. પાકિસ્તાન જે નેરેટિવ વોર રમી રહ્યું છે, તેમાં ભારત પાછળ ન રહી જાય તે જોવાની જવાબદારી સરકારની સાથે સાથે ભારતીય મીડિયા અને સોશિયલ મીડિયા સર્જકોની પણ છે. આપણે વિક્ટિમ કાર્ડ રમવાને બદલે આપણી જરૂરિયાતો અને હકોને વિશ્વ સમક્ષ મજબૂતીથી રજૂ કરવા પડશે.

 

લખનઉમાં સિસ્ટમની ઘોર બેદરકારીના પાપે લાગેલી આગમાં 15 બાળકો થઈ ગયા ભડથુ… ક્યાં સુધી ભ્રષ્ટાચારની આગમાં હોમાતા રહેશે માસૂમો?

Follow Us