
ઓડિશાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અર્જુન ચરણ દાસનું માર્ગ અકસ્માતમાં મોત થયુ છે. પોલીસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. સદર પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર-ઈન્ચાર્જ માનસ રંજન ચક્રે જણાવ્યુ હતુ કે ખરસરોટા પુલ નજીક એક ટ્રકે બિંજારપુર વિધાનસભા ક્ષેત્રના પૂર્વ ધારાસભ્ય દાસની બાઈકને ટક્કર મારી હતી.
બાદમાં ઈજાગ્રસ્ત થયેલા દાસને હોસ્પિટલમાં સારવાર અર્થ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા. આપને જણાવી દઈએ કે,અન્ય એક વ્યક્તિને પણ આ અકસ્માતમાં ઈજા થઈ છે અને તેમની હાલત ગંભીર હોવાથી તેને કટક SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.
મહત્વનું છે કે ભૂતપૂર્વ ધારાસભ્ય તાજેતરમાં તેલંગાણાના મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવની આગેવાની હેઠળની ભારત રાષ્ટ્ર સમિતિમાં જોડાયા હતા. અકસ્માત થયો તે સમયે તેઓ દાસ જાજપુરથી ભુવનેશ્વર જઈ રહ્યા હતા. બીઆરએસ ઓડિશાના સ્થાપક સભ્ય અક્ષય કુમારે PTI ને જણાવ્યું કે દાસ પાર્ટીની પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેવા રાજ્યની રાજધાની ભુવનેશ્વર જઈ રહ્યા હતા. તો આ તરફ મુખ્યપ્રધાન રાવે પૂર્વ ધારાસભ્યના નિધન પર શોક વ્યક્ત કર્યો.
Published On - 7:25 am, Sun, 5 February 23