
દેશમાં શ્રમ સુધારાની દિશામાં કેન્દ્ર સરકારે ઐતિહાસિક પગલું ભર્યું છે. 21 નવેમ્બર 2025ના રોજ નોટિફાય કરાયેલા નવા લેબર કોડ્સ હવે સત્તાવાર રીતે પ્રભાવી થઈ ગયા છે. આ નવા કાયદાઓ માત્ર કંપનીઓ માટે જ નહીં, પણ દરેક નોકરીયાત વ્યક્તિના જીવન પર સીધી અસર કરશે. ખાસ કરીને રજાઓ અને કામના કલાકોને લઈને લેવાયેલા નિર્ણયો ચર્ચાના કેન્દ્રમાં છે.
નવા નિયમ મુજબ, હવે કર્મચારીઓ માત્ર 30 અર્ન્ડ લીવ (Earned Leave) જ આગામી વર્ષ માટે કેરી ફોરવર્ડ કરી શકશે. જો તમારી રજાઓ 30થી વધારે હશે, તો કંપનીએ તે રજાઓ બરબાદ કરવાને બદલે વર્ષના અંતે તેનું સેટલમેન્ટ કરવું પડશે. એટલે કે, કર્મચારીને વધારાની રજાઓના બદલામાં રોકડ રકમ ચૂકવવી ફરજિયાત બનશે. આ નિયમનો મુખ્ય હેતુ એ છે કે કર્મચારી પોતાની રજાઓનો પૂરેપૂરો લાભ ઉઠાવે અને તેની મહેનત એળે ન જાય.
સરકારે આ કાયદામાં કર્મચારીઓના હિતનું ખાસ ધ્યાન રાખ્યું છે. જો કોઈ કર્મચારી રજા માટે અરજી કરે અને ઓફિસના કામના ભારણને કારણે તે મંજૂર ન કરવામાં આવે, તો તેવી સ્થિતિમાં રજાઓ કેરી ફોરવર્ડ કરવાની કોઈ મર્યાદા રહેશે નહીં. એટલે કે, કંપની કામના બહાને તમારી રજાઓ છીનવી શકશે નહીં.
નવા શ્રમ કાયદા હેઠળ દૈનિક કામના કલાકો 8 કલાક અને સાપ્તાહિક 48 કલાક રાખવામાં આવ્યા છે. જોકે, નવા કાયદામાં ‘ફ્લેક્સિબલ વર્કિંગ કલ્ચર’ પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઓવરટાઇમના નિયમોને પણ સરળ બનાવવામાં આવ્યા છે, જેથી કર્મચારીઓ વધુ કામ કરીને વધારાની આવક મેળવી શકે. હવે સાપ્તાહિક કામના કલાકોના મેનેજમેન્ટના આધારે કર્મચારીઓને પહેલા કરતા વધુ ઓવરટાઇમ મેળવવાની તક મળશે.
કંપનીઓએ હવે આ નવા નિયમો મુજબ પોતાના એચઆર (HR) પોલિસીમાં ફેરફાર કરવાના રહેશે. આ ફેરફારથી તમારી ટેક-હોમ સેલરી અને પીએફ (PF) કન્ટ્રીબ્યુશન પર પણ અસર પડશે.
Published On - 6:42 pm, Tue, 31 March 26