National Herald Case: સોમવારે ED સમક્ષ રાહુલ ગાંધીના હાજર થવા મુદ્દે કોંગ્રેસ કરશે દેશવ્યાપી સત્યાગ્રહ અને ED ઓફિસોનો ઘેરાવો

કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સવારે 9 વાગ્યે પાર્ટી હેડક્વાર્ટર ખાતે એકઠા થશે અને ત્યારબાદ તેઓ જનપથ રોડ પર આવેલી ED ઓફિસ તરફ કૂચ કરશે. જો કે પોલીસ તેમને આમ કરવા દેશે કે કેમ તે પ્રશ્ન હજુ યથાવત છે.

National Herald Case: સોમવારે ED સમક્ષ રાહુલ ગાંધીના હાજર થવા મુદ્દે કોંગ્રેસ કરશે દેશવ્યાપી સત્યાગ્રહ અને ED ઓફિસોનો ઘેરાવો
Rahul Gandhi
Image Credit source: File Image
| Edited By: | Updated on: Jun 12, 2022 | 11:25 PM

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) સોમવારે એટલે કે આવતીકાલે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થશે. નેશનલ હેરાલ્ડ કેસમાં (National Herald Case) EDએ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા છે. મની લોન્ડરિંગના આ કેસમાં રાહુલને અગાઉ ED દ્વારા 2 જૂને હાજર થવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ વિદેશમાં હોવાના કારણે રાહુલ ગાંધી હાજર થઈ શક્યા ન હતા. EDની બીજી નોટિસ બાદ રાહુલ ગાંધી 13 જૂને તેમનું નિવેદન નોંધાવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ રાહુલ ગાંધીની હાજરીના અવસર પર કોંગ્રેસે સત્યાગ્રહની જાહેરાત કરી છે. કોંગ્રેસના તમામ મોટા નેતાઓ, સાંસદો, કાર્યકર્તાઓ અને વર્કિંગ કમિટીના સભ્યો સત્યાગ્રહ કરીને ED ઓફિસ તરફ કૂચ કરશે.

આ કાર્યક્રમ રાજ્યોમાં પણ ED ઓફિસની સામે યોજાશે. કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સવારે 9 વાગ્યે પાર્ટી હેડક્વાર્ટર ખાતે એકઠા થશે અને ત્યારબાદ તેઓ જનપથ રોડ પર આવેલી ED ઓફિસ તરફ કૂચ કરશે. જો કે પોલીસ તેમને આમ કરવા દેશે કે કેમ તે પ્રશ્ન હજુ યથાવત છે. રાહુલ ગાંધી સવારે 9.30 વાગ્યાની વચ્ચે તેમના ઘર 12 તુગલક લેનથી નીકળીને ED ઓફિસ પહોંચશે.

મોદી સરકાર સાથેની લડાઈ રાજકીય રીતે લડવી જોઈએ

પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર પહેલા રાહુલ ગાંધી પાર્ટી હેડક્વાર્ટર 24 અકબર રોડ પર આવશે, જ્યાં તે કાર્યકર્તાઓને મળશે અને ED ઓફિસ જશે, જો કે ઘણા નેતાઓ તેમની સીધી ED ઓફિસ જવાના પક્ષમાં છે. આ નેતાઓની દલીલ છે કે મોદી સરકાર સાથેની લડાઈ રાજકીય રીતે લડવી જોઈએ કારણ કે તે એક રાજકીય ષડયંત્ર છે.

સોનિયા ગાંધી 23 જૂને હાજર થઈ શકે છે

જણાવી દઈએ કે નેશનલ હેરાલ્ડ અખબાર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં EDએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને 23 જૂને પૂછપરછ માટે હાજર થવા માટે નવું સમન જાહેર કર્યું છે. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોનિયાને 8મી જૂને હાજર થવા માટે કહ્યું હતું, પરંતુ તે કોરોનાથી સંક્રમિત હોવાને કારણે હાજર રહેવા માટે ED પાસે નવી તારીખ માંગી હતી.

સચિન પાયલટે કહી આ વાત

નેશનલ હેરાલ્ડ-એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ ડીલ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના નેતા રાહુલ ગાંધીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા સમન્સના મુદ્દા પર કોંગ્રેસે રાષ્ટ્રવ્યાપી સત્યાગ્રહની જાહેરાત કરી હતી. તે જ સમયે, શાસક ભારતીય જનતા પાર્ટી (BJP) એ વળતો પ્રહાર કર્યો અને પૂછ્યું કે કોંગ્રેસ શા માટે ડરે છે? રાજસ્થાનના ભૂતપૂર્વ નાયબ મુખ્યપ્રધાન સચિન પાયલોટે કોંગ્રેસના ટોચના નેતાઓને EDની નોટિસ પર તીખી પ્રતિક્રિયા આપી, તેને સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કાવતરું ગણાવ્યું.