
વિશ્વના સૌથી ઊંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કરવો એ દરેક પર્વતારોહીનું સપનું હોય છે. હજારો સાહસિકો દર વર્ષે પોતાના જીવના જોખમે આ શિખર પર પહોંચવા અને ઈતિહાસ રચવા માટે નીકળે છે. પરંતુ આ સાહસ અને શૌર્યની ગાથા પાછળ એક અત્યંત ચોંકાવનારુ અને ભયાનક રેસ્ક્યુ સ્કેમ ચાલી રહ્યુ છે. આ કોઈ નાનુ કૌભાંડ નથી, અહીં અંદાજે $20 મિલિયન એટલે કે ₹200 કરોડ નું સુનિયોજિત ષડયંત્ર ચાલી રહ્યુ હતુ. જે નેપાળની હદમાં આવેલા હિમાલય વિસ્તારમાં મોટાપાયે ફુલ્યુ ફાલ્યુ છે.
કાઠમંડુ પોસ્ટના એક અહેવાલ અનુસાર, માઉન્ટ એવરેસ્ટના શેરપાઓ પર પર્વતારોહકોને ભોજનમાં ગુપ્ત રીતે ઝેર ઉમેરીને મોંઘા હેલિકોપ્ટર રેસ્ક્યુ ઓપરેશન ચલાવવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. આ કૌભાંડ દ્વારા 20 મિલિયન ડૉલર વીમા કંપની પાસેથી પડાવવામાં આવ્યા છે. નેપાળ પોલીસે આ ષડયંત્રમાં સામેલ સંગઠિત અપરાધ અને છેતરપિંડીના આરોપમાં ટ્રેકિગ કંપનીઓના માલિકો, હેલિકોપ્ટર સંચાલકો અને હોસ્પિટલના અધિકારીઓ સહિત 32 લોકો સામે કેસ નોંધાયો છે.
દરેક પર્વતારોહક એવરેસ્ટ સર કરવાનું સપનું રાખે છે. આથી જ તે વર્ષોથી તેની તૈયારીમાં લાગેલા હોય છે. આ પર્વતારોહી પાસે તેના આ મિશન પર જતા પહેલો તેના સ્વાસ્થ્ય માટેનો પણ કરોડોનો વીમો કરાવેલો હોય છે જેથી તેની સફર દરમિયાન જો તે બીમાર પડે છે કે તેની કોઈ ઈમરજન્સી સારવારની જરૂરિયાત ઊભી થાય છે તો જે તે વીમા કંપની તેને તે સારવાર પુરી પાડે છે. જો એકવાર પર્વતારોહી બીમાર પડે છે તો તેને ઈમરજન્સી હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ માટે દબાણ કરવામાં આવે છે. જે બાદ નક્લી મેડિકલ રિપોર્ટ અન ફ્લાઈટ દસ્તાવેજો તૈયાર કરી આંતરરાષ્ટ્રીય વીમા કંપનીઓ પાસેથી લાખો ડૉલર ખંખેરવામાં આવે છે. નેપાળમાં પર્યટન ઉદ્યોગ 10 લાખથી વધુ લોકો રોજગારી આપે છે. પરંતુ આ સ્કેમ બાદ અનેક મોટી આંતરરાષ્ટ્રીય વીમા કંપનીઓએ નેપાળ આવનારા પવર્તારોહીઓનો ઈન્સ્યોરન્સ કરવાનું બંધ કરી દીધુ છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર તેનાથી પ્રવાસનના જોરે ધમધમતા નેપાળના અર્થતંત્રને મોટો ફટકો પડ્યો છે.
જ્યારે કોઈ પર્વતારોહક એવરેસ્ટ બેઝ કેમ્પથી (5365m) ઉપરની તરફ પ્રયાણ કરે છે. ત્યારે તેમની સાથે નેપાળી ગાઈડ્સ અને શેરપાઓ હોય છે. જે પૈકી કૌભાંડમાં લિપ્ત કેટલાક ભ્રષ્ટ શેરપાઓ પર્વતારોહકોના ખોરાકમાં જાણીજોઈને બેકિંગ સોડા ઉમેરી દે છે. સામાન્ય રીતે બેકિંગ સોડાનો ઉપયોગ રસોઈને ફુલાવવા માટે આથા માટે થાય છે. પરંતુ 5000 મીટરની ઊંચાઈ પર રહેલા પર્વતારોહક માટે તે જીવલેણ સાબિત થાય છે. જ્યારે કોઈ પર્વતારોહકના આ સોડાવાળો ખોરાક ખાય છે ત્યારે તેના પેટમાં પાચન સંબંધી સમસ્યાઓ થાય છે. તેને ગેસ અને આફરો (બ્લોટિંગ) જેવી સમસ્યા થાય છે.
જ્યારે વ્યક્તિ ઊંચાઈ પર હોય છે ત્યારે આ પ્રકારનું ફુડપોઈઝનિંગ જીવલેણ સાબિત થાય છે. કારણ કે ઊંચાઈ પર હવા પાતળી હોવાને કારણે પહેલેથી જ ઓક્સિજનની અછત હોય છે. આ સ્થિતિમાં પેટ ફુલવાને કારણે પર્વતારોહકને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી થવા લાગે છે. પર્વતારોહકને એવુ લાગે છે કે તેને હાઈપોક્સિયા એટલે કે ઓક્સિજનની કમી થઈ રહી છે અથવા તે ગંભીર રીતે બીમાર થઈ રહ્યો છે. આનો જ લાભ લઈને ભ્રષ્ટ શેરપા દ્વારા તાત્કાલિક તેને નીચે લઈ જવાની અને હેલિકોપ્ટર રેસક્યુ લેવાની સલાહ આપવામાં આવે છે.
પર્વતારોહક બીમારીના કારણે ગભરાઈ જાય છે. એટલે તરત જ રેસ્ક્યુ હેલિકોપ્ટર બોલાવવામાં આવે છે. આ હેલિકોપ્ટર માત્ર મુસાફરીનું સાધન નથી. પરંતુ હોસ્પિટલો દ્વારા પુરી પાડવામાં આવતી એક ઈમરજન્સી એર એમ્બ્યુલન્સ સેવા તરીકે રજૂ કરવામાં આવે છે. પર્વતારોહકને હેલિકોપ્ટર દ્વારા લટકાવીને બેઝકેમ્પ અથવા સીધા હોસ્પિટલ પહોંચાડવામાં આવે છે. આ આખી પ્રક્રિયા એટલી ગંભીરતાથી કરવામાં આવે છે કે પ્રવાસીને એવુ જ લાગે છે કે તેનો જીવ બચાવવામાં આવી રહ્યો છે. પરંતુ આ અસલી ખેલ હોસ્પિટલમાં શરૂ થાય છે. પ્રર્વતારોહકનો કરોડો રૂપિયાનો વીમો (ઇન્શ્યોરન્સ) કરાવીને નીકળતા હોય છે. બસ આ જ વીમા દ્વારા હોસ્પિટલ, રેસક્યુ કંપની અને ટુર ગાઈડ્સ મળીને મોટા અને ખોટા બિલ તૈયાર કરે છે.
જો ઇન્શ્યોરન્સની લિમીટ ₹1 કરોડ હોય તો હોસ્પિટલ જ એટલુ મોટુ બિલ બનાવી દે છે. વીમા કંપનીઓ આ બિલ ચુકવે છે અને ત્યારબાદ આ રકમનો મોટો હિસ્સો અંદાજે 20% કે તેથી વધુ) ટૂર ગાઈડ્સ અને અન્ય એજન્સીઓ વચ્ચે વહેંચી લેવામાં આવે છે.
નેપાળની સંગઠિત ક્રાઈમ યુનિટ અનુસાર, આ સિન્ડીકેટે અત્યાર સુધીમાં લગભગ 19.69 મિલિયન ડૉલરની (અંદાજિત 183 કરોડ રૂપિયા) ગેરકાયદે કમાણી કરી છે. તપાસમાં જાણવા મળ્યુ છે કે એક કંપનીએ તેમના 1248 રેસ્ક્યુ દાવામાંથી 171 સંપૂર્ણ રીતે ફર્જી બતાવ્યા હતા. તેમણે કૂલ 10 મિલિયન ડૉલરથી વધુની ગેરકાયદે કમાણી કરી છે. જે ભારતીય ચલણમાં 92.9 કરોડ રૂપિયાથી વધુ છે.
બીજી કંપની દ્વારા રજૂ કરાયેલા 471 દાવાઓમાંથી, 75 ફર્જી હતા. તેના પર 8 મિલિયન ડૉલર એટલે કે લગભગ 74.32 કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ છે. ત્રીજી કંપનીએ 71 ફર્જી દાવા દ્વારા 1 મિલિયન ડૉલરથી વધુ એટલે કે લગભગ 9.30 કરોડ રૂપિયાથી વધુનો ચૂનો લગાવ્યો છે. આ લૂંટનો હિસ્સો શેરપાઓ ટ્રેકિંગ એજન્સીઓ, હેલિકોપ્ટર કંપનીો અને તે હોસ્પિટલોની વચ્ચે વહેંચવામાં આવતો હતો જ્યાં પર્વતારોહકની બોગસ તબીબી સારવાર કરવામાં આવતી હતી.
નેપાળમાં દર વર્ષે 60 હજાર જેટલા પર્વતારોહકો ટ્રેકિંગ માટે આવે છે, જેમાંથી માત્ર 600 જેટલા જ ટોચ સુધી પહોંચી શકે છે. આ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં લોકોને આ રીતે રેસ્ક્યુના નામે લૂંટવામાં આવે છે. એક જ હેલિકોપ્ટરને 4 લોકોને લાવવામાં આવ્યા હોવા છતા વીમા કંપન પાસે 4 અલગ-અલગ હેલિકોપ્ટર ફેરાના પૈસા વસુલવામાં આવે છે. આ આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 2018-19માં આંતરરાષ્ટ્રીય મેડિકલ આસિસ્ટન્સ કંપનીઓએ તપાસ હાથ ધરી. આ તપાસમાં જાણવા મળ્યું કે સેંકડો રેસ્ક્યુ કેસ સંપૂર્ણપણે બનાવટી અને માત્ર પૈસા કમાવવા માટે કરવામાં આવ્યા હતા.
હવે અનેક મોટી વીમા કંપનીઓએ નેપાળ જનારા પર્વતારોહકોનો વીમો લેવાની જ ના પાડી દીધી છે, જે નેપાળના પર્યટન ઉદ્યોગ માટે પણ મોટા ફટકા સમાન છે. હવે નેપાળ સરકાર જાગી છે અને આવા કૌભાંડીઓ સામે એક્શન લઈ રહી છે અને ગુનેગારો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.