
હિંદુ આસ્થામાં કૈલાશ પર્વત એ માત્ર પથ્થરોનો પહાડ નહીં પરંતુ ભગવાન શિવનું સાક્ષાત સ્વરૂપ ગણાય છે . એ જ પ્રકારે માન સરોવર એ કોઈ પાણીનો સ્ત્રોત માત્ર નહીં પરંતુ મોક્ષ, તપ અને આત્મશુદ્ધિનું પ્રતિક ગણાય. હિંદુ માન્યતા અનુસાર કૈલાશ ના દર્શન માત્રથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને જો તેની પરિક્રમા કરવાનો અવસર મળે તો તેનાથી અનેક જન્મોનું પૂણ્ય પ્રાપ્ત થાય છે. આ જ કારણ છે કે કૈલાશ માનસરોવર માત્ર એક તીર્થ નહીં ભારતની સભ્યતા, સંસ્કૃતિ અને કરોડો લોકોની આસ્થાનું સર્વોચ્ચ પ્રતિક છે.
કૈલાસ પર્વત અને માનસરોવર જે તિબેટ ઓટોનોમસ રિજિયનમાં સ્થિત છે ત્યાં ચીનનો કબજો છે. એ વિસ્તારને નગારી કહે છે. ભારતથી અહીં પહોંચવાના ત્રણ રસ્તા છે. એક ઉત્તરાખંડ, બીજો નેપાળ અને ત્રીજો સિક્કિમથી. ચાલુ વર્ષે ચીને 24 હજાર ભારતીય યાત્રિકોને કૈલાશ માનસરોવરની યાત્રા કરવાની મંજૂરી આપી છે. ભારતીયો માટે આ સૌથી મોટી ધાર્મિક યાત્રા છે. બીજી તરફ આ યાત્રા ચીનના અર્થતંત્રમાં પણ ઘણુ મોટુ યોગદાન આપે છે.
અહેવાલો અનુસાર એક ભારતીય શ્રદ્ધાળુ આ યાત્રા પર સરેરાશ 1.7 લાખ નો ખર્ચ કર છે. જે ચીનના પ્રવાસીઓના સરેરાશ ખર્ચથી 3.7 ગણો વધુ છે. કેટલાક અનુમાન અનુસાર આ યાત્રાથી નગારી ક્ષેત્રની આવક 300% જેટલી વધી છે. આ વાતને ચીન પણ સ્વીકારે છે. વર્ષ 2020-2024 દરમિયાન સંપૂર્ણપણે બંધ રહ્યા બાદ જૂન 2025માં જ્યારે આ યાત્રા ફરી શરૂ થઈ તો ચીનના ઓનલાઈન પ્લેટફોર્મ પર ઉગ્ર ચર્ચા છેડાઈ ગઈ. અનેક ચીની નાગરિકો સવાલ ઉઠાવવા લાગ્યા કે ચીનના પવિત્ર પર્વત અને ઝરણાઓ આખરે ભારતીયો માટે પવિત્ર સ્થળ કેવી રીતે બની ગયા ?
ચીની સરકારી મીડિયાએ એ તર્ક આપીને આ ચિંતાઓને શાંત પાડવાનો પ્રયાસ કર્યો કે કૈલાશ માનસરોવર યાત્રા ન માત્ર બે દેશોના સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરશે પરંતુ તિબ્બતના નગારી ક્ષેત્રની અર્થવ્યવસ્થાને પણ મહત્વપૂર્ણ આર્થિક લાભ પહોંચાડે છે. હવે ચીન કૈલાશ માનસરોવર યાત્રાને ઈકોનોમીથી ક્યાંય આગળ જુએ છે. આ યાત્રાને ચીન તેની વિદેશનીતિના શસ્ત્ર તરીકે ઉપયોગ કરતુ જોવા મળી રહ્યુ છે. એટલે કે કૈલાશ દ્વારા કૂટનીતિનો મોટો ખેલ ખેલવામાં આવી રહ્યો છે. આ પહેલીવાર નથી કે નાસ્તિક દેશ ચીન ભારતીય આસ્થાને હથિયાર બનાવી રહ્યુ છે. તીબ્બતમાં પણ ધાર્મિક સંસ્થાનો પર તેનો કંટ્રોલ છે અને હવે તેનો ડોળો ભગવાન શિવ પર છે. પહેલા બૌદ્ધ ડિપ્લોમસી અને હવે શિવ ડિપ્લોમસી.
આ પહેલીવાર નથી જ્યારે ચીન પોતાના રાજકીય અને વૈશ્વિક હિતો માટે ધર્મને હથિયાર બનાવી રહ્યું હોય. આ અગાઉ ચીને ભગવાન બુદ્ધના જન્મસ્થળ એવા નેપાળના લુમ્બિનીમાં અંદાજે 1000 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું જેથી આખા બૌદ્ધ વિશ્વ પર પોતાનો સોફ્ટ પાવર મજબૂત કરી શકાય. તિબેટની ધાર્મિક સંસ્થાઓ પર પણ ચીની સરકારે સંપૂર્ણ અંકુશ રાખ્યો છે. હવે બુદ્ધ પછી ચીનની નજર ભોલેનાથ પર પડી છે.
વર્તમાન સ્થિતિમાં ચીન અત્યારે આંતરિક સ્તરે અસંખ્ય આર્થિક મુશ્કેલીઓ અને રાજકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે, જ્યારે બીજી બાજુ ભારત વૈશ્વિક સ્તરે એક મોટી શક્તિ તરીકે સતત આગળ વધી રહ્યું છે. આવા સમયે ગ્લોબલ સાઉથના દેશોમાં પોતાની છબી સુધારવા અને ભારત સાથે વાતચીતનો સંવાદ માર્ગ ખુલ્લો રાખવા માટે ચીન હવે સાંસ્કૃતિક સાધનોનો આશરો લઈ રહ્યું છે.
તો સવાલ એ પણ છે કે શું શું માત્ર કૈલાશ માનસરોવરની યાત્રાને સરળ બનાવી દેવાથી આપણો વર્ષો જૂનો સરહદ વિવાદ ઉકેલાઈ જશે? શું ધાર્મિક સંદેશાઓ ગલવાનના શહીદોની સ્મૃતિઓને ધૂંધળી કરી શકશે? ના એ તો નહીં થઈ શકે. ઇતિહાસ સાક્ષી છે કે ભારત અને ચીનના સંબંધો હંમેશાં બે અલગ અને સમાંતર પાટા પર ચાલતા આવ્યા છે, જેમાં એક બાજુ વ્યાપારી હિતો અને સાંસ્કૃતિક જોડાણ છે, તો બીજી બાજુ વ્યૂહાત્મક હરીફાઈ અને સરહદી વિવાદો છે. ભારત માટે આ કૂટનીતિ સહયોગ અને અત્યંત સતર્કતા બંનેની મોટી કસોટી સમાન છે
એક જ હિમાલયી પર્વત બે દેશો માટે બે જુદા દ્રષ્ટિકોણ ધરાવે છે. ભારત માટે તે કરોડો ભક્તોની પવિત્ર આસ્થા છે, જ્યારે નાસ્તિક ચીન માટે તે માત્ર એક ‘જિયોપોલિટિકલ પ્રોપર્ટી’ (ભૂ-રાજકીય સંપત્તિ) છે, જેનો ઉપયોગ તે વૈશ્વિક મંચ પર પોતાની છબી સુધારવા અને ભારત સાથે વાતચીતનો માર્ગ ખોલવા માટે કરે છે. હિમાલયની 22000 ફૂટ ઊંચી પહાડીઓ પર અત્યારે માત્ર કુદરતી બરફ જ નથી જામ્યો, પણ કૂટનીતિ અને સોફ્ટ પાવરની એક નવી ચાદર પણ પથરાઈ ગઈ છે. આજની આધુનિક દુનિયામં માત્ર બોમ્બ અને મિસાઈલો જ કૂટનીતિ નથી કરતા, પરંતુ ક્યારેક પવિત્ર તીર્થયાત્રાઓ અને ધાર્મિક આસ્થાઓ પણ સરહદોની પાર મોટી કૂટનીતિક રમતો રમી જાય છે.
નેપાળમાં આવેલા ફ્લેશ ફ્લડે કૈલાશ માનસરોવર યાત્રાના પડકારોને ફરી ઉજાગર કર્યા છે. આ કુદરતી આપદામાં કૈલાશ માનસરોવર યાત્રા પર નીકળેલા અનેક યાત્રિકોના મોત થઈ ગયા છે. પ્રાચીન કાળથી સન્યાસીઓ સહિત અન્ય ભક્તો લિપુલેખ અને નાથુ લા જેવા વિવિધ હિમાલયના ઘાટ દ્વારા માનસરોવરની પગપાળા યાત્રા કરે છે.
ભગવાન શ્રી રામને મહર્ષિ વિશ્વામિત્રએ જણાવ્યુ કે ઉત્તર દિશા તરફ એક એવુ સરોવર આવેલુ છે જે બ્રહ્માના માનસથી એટલે ભગવાન બ્રહ્માના મનથી બનેલુ છે. જેને માન સરોવર કહે છે અને ત્યાંથી જ નીકળીને સરયુ નદી અયોધ્યા પહોંચે છે. માત્ર સરયુ નદી જ નહીં પરંતુ તેની સાથે સતલુજ, સિંધુ, બ્રહ્મપુત્રા, આ તમામ નદીઓ અહીંથી જ નીકળે છે. આ અત્યંત ઉંચાઈ પર આવેલુ સરોવર છે. તેની ઉંચાઈ 15 હજાર 100 ફુટ જેટલી છે. આ ઉંચાઈ પર આવેલુ આ મીઠા પાણીનું સરોવર છે. અહીં પાણીના અનેક સ્ત્રોતો છે. જેમકે વરસાદ તો છે જ સાથોસાથ હિમવર્ષા થાય છે, ઉપરાંત અહીં આસપાસમાં અનેક ગ્લેશિયર આવેલા છે, તેનુ પણ પાણી આવે છે. માનસરોવરનો મુખ્ય સ્ત્રોત છે કૈલાશ. આ જ કારણ છે કે માનસરોવરના જળને અત્યંત પવિત્ર કહેવામાં આવે છે. માનસરોવરમાં કોઈને સ્નાન કરવાની અનુમતી નથી. જો કોઈ શ્રદ્ધાળુ સ્નાન કરવા માગે છે તો તેનું જળ ભરીને લઈ જઈ શકે છે અને તેનાથી સ્નાન કરી શકે છે પરંતુ સરોવરમાં સ્નાન કરી શકે નહીં.
1950-51માં જ્યારે ચીને તિબેટ પર કબજો કર્યો ત્યારે કૈલાશ માનસરોવરની યાત્રા બંધ કરી દેવાઈ હતી. કેટલાક અહેવાલો અનુસાર આ યાત્રા 1935 ની શરૂઆતમાં જ આ યાત્રા બંધ કરવામાં આવી હતી.
ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર 1930માં લગભગ 730 ભારતીય યાત્રાળુઓએ આ પર્વતની યાત્રા કરી હતી. 1950 માં તિબેટ પર ચીનના કબજા પહેલા સેંકડોની સંખ્યામાં તીર્થ યાત્રિઓ આ યાત્રાએ જતા હતા. ત્યારબાદ 1951માં કૈલાશ યાત્રા પહેલા યુરોપિયન અને 1959માં ભારતીયો માટે તેને બંધ કરી દેવાઈ હતી.
1962ના ભારત-ચીન યુદ્ધ પછી, સરહદી પ્રદેશ તીવ્ર તણાવનું ક્ષેત્ર બની ગયો અને કૈલાશનો માર્ગ ભારતીય યાત્રાળુઓ માટે બંધ કરી દેવામાં આવ્યો. બીજા શબ્દોમાં કહીએ તો, કૈલાશ ભારતીયોની આસ્થામાં યથાવત્ હતો પરંતુ ભૂરાજનીતિને કારણે ત્યાં પહોંચવાનો માર્ગ અવરોધિત થયો. ત્યારબાદ આ મુદ્દે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સના પ્રોફેસર સુબ્રમણ્યમ સ્વામી ચીની ભાષા પર જબરી પકડ ધરાવે છે. સ્વામી અનેકવાર સાર્વજનિક મંચ પર કહી ચુક્યા છે કે એ સમયે તેમની ચીની ઉપપ્રધાનમંત્રી દેંગ શિયાઓ સાથે સારી પટતી હતી.
1978માં સ્વામી જનતા પાર્ટીના સાંસદ હતા. 1978માં તે બૈજિંગ ગયા, આ દરમિયાન તેમણે દેંગ શિયાઓ પિંગ સમક્ષ કૈલાશ માનસરોવર યાત્રાનો મુદ્દો ઉઠાવ્યો. જો કે અહેવાલ અનુસાર પહેલા તો દેંગ શિયાઓ પિંગને આ પર્વત વિશે જાણકારી જ ન હતી. પરંતુ તેમણે સ્વામીને પ્રોમિસ કર્યુ કે તેઓ આ અંગે જરૂર તપાસ કરાવશે. 1980માં જ્યારે સ્વામી ફરીથી ચીનની મુલાકાતે ગયા, ત્યારે તેમને જાણ કરવામાં આવી કે રસ્તાનું સમારકામ અને મંદિર સંબંધિત કામ પૂર્ણ થયા પછી આ સ્થળ ખોલવામાં આવશે.
એક ઈન્ટરવ્યુમાં સ્વામીએ કહ્યુ હતુ, “ચીન સાથે મારા ઘણા મૈત્રીપૂર્ણ સંબંધો હતા. તે સમયે ડેંગ ઝિયાઓપિંગ સત્તામાં હતા, જોકે તેઓ હવે અમારી સાથે નથી. તેમણે મને કહ્યું કે હું જે ઇચ્છું છું તેનું નામ આપો, અને તેઓ તે મંજૂર કરશે. તેથી, મેં તેમને માનસરોવરનો માર્ગ ખોલવા કહ્યું. ત્યારબાદ તેમણે આ માર્ગ ખોલ્યો.”
સ્વામીએ એક કાર્યક્રમમાં આ યાત્રા અંગેના પોતાના અનુભવો વર્ણવ્યા. તેમણે ચીની સરકારને કહ્યું હતું કે તેઓ આ યાત્રા કરનાર પ્રથમ યાત્રાળુ હોવા જોઈએ, અને તેઓ આ શરત સાથે સંમત થયા. ત્યારબાદ, જુલાઈ 1981 માં, સુબ્રમણ્યમ સ્વામીના નેતૃત્વમાં 60 યાત્રાળુઓનું એક જૂથ અલ્મોરા અને લિપુલેખ માર્ગ દ્વારા કૈલાસ માનસરોવર યાત્રા માટે નીકળ્યું.
ઇન્ટરવ્યૂ દરમિયાન, સુબ્રમણ્યમ સ્વામીએ ઉલ્લેખ કર્યો કે ડેંગ ઝિયાઓપિંગે તેમને કહ્યું હતું કે યાત્રા માટે પરવાનગી ફક્ત હિન્દુઓને જ આપવામાં આવશે, કારણ કે તે તેમના માટે એક પવિત્ર સ્થળ છે. સ્વામીના મતે, ડેંગ ઝિયાઓપિંગે કહ્યું હતું કે તેઓ આ સ્થળને પર્યટન હેતુ માટે વિકસાવવા દેશે નહીં. આજે, ભારત સરકાર બે માર્ગો દ્વારા કૈલાસ માનસરોવર યાત્રાનું આયોજન કરે છે: લિપુલેખ અને નાથુ લા.
Published On - 8:10 pm, Tue, 8 September 26