જોશીમઠ: 4 વોર્ડમાં રહેતા લોકોને તાત્કાલિક જગ્યા ખાલી કરવાની સૂચના આપવામાં આવી, અસરગ્રસ્ત પરિવારોને દર મહિને 4 હજાર રૂપિયાની સહાય ચૂકવાશે

જોશીમઠમાં એનટીપીસી (NTPC) ટનલ દ્વારા પાણી ભરવાના સતત આક્ષેપો થઈ રહ્યા છે. આ દરમિયાન એનટીપીસીએ પણ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં એનટીપીસીએ સ્પષ્ટ કહ્યું છે કે જોશીમઠની નીચેથી કોઈ ટનલ કાઢવામાં આવી નથી. NTPC ક્યારેય બ્લાસ્ટ દ્વારા ટનલનું ખોદકામ કરતું નથી.

જોશીમઠ: 4 વોર્ડમાં રહેતા લોકોને તાત્કાલિક જગ્યા ખાલી કરવાની સૂચના આપવામાં આવી, અસરગ્રસ્ત પરિવારોને દર મહિને 4 હજાર રૂપિયાની સહાય ચૂકવાશે
Joshimath
| Edited By: | Updated on: Jan 09, 2023 | 12:43 PM

ઉત્તરાખંડના જોશીમઠમાં ભૂસ્ખલન અને મકાનોમાં તિરાડો પડવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રે 4 વોર્ડને અસુરક્ષિત જાહેર કર્યા છે. આ સાથે આ વિસ્તારોમાં રહેતા લોકોને તાત્કાલિક જગ્યા ખાલી કરીને સુરક્ષિત જગ્યાએ આશરો લેવા માટે કહેવામાં આવ્યું છે. વહીવટીતંત્રના અહેવાલ મુજબ, આ દુર્ઘટનાથી સૌથી વધુ પ્રભાવિત સુનીલ વોર્ડ, મનોહર બાગ, સિંહ ધાર, મારવાડી વોર્ડ અને ગાંધી નગર વિસ્તાર છે. જેમાંથી જિલ્લા પ્રશાસને રવિવારે જ સર્વે બાદ 4 વિસ્તારોને અસુરક્ષિત જાહેર કર્યા હતા.

અસરગ્રસ્ત પરિવારોને દર મહિને 4 હજાર રૂપિયા આપવાની કવાયત પણ શરૂ કરવામાં આવી

આ ક્રમમાં સોમવારે ફરી એકવાર નિષ્ણાંત સમિતિ સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચી રહી છે. એક NDRF ટીમ સિવાય, SDRFની ચાર ટીમો અહીં પહેલેથી જ હાજર છે અને આજે NDMAની એક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જિલ્લા મેજિસ્ટ્રેટ ચમોલીના જણાવ્યા અનુસાર સર્વે, બચાવ અને રાહત કાર્ય એક સાથે ચાલી રહ્યું છે. લોકોને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા છે અને સુરક્ષિત સ્થળોએ રાખવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અસરગ્રસ્ત પરિવારોને દર મહિને 4 હજાર રૂપિયા આપવાની કવાયત પણ શરૂ કરવામાં આવી છે.

એનટીપીસીએ સ્પષ્ટ કહ્યું કે જોશીમઠની નીચેથી કોઈ ટનલ કાઢવામાં આવી નથી

જોશીમઠમાં એનટીપીસી ટનલ દ્વારા પાણી ભરવાના સતત આક્ષેપો થઈ રહ્યા છે. આ દરમિયાન એનટીપીસીએ પણ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં એનટીપીસીએ સ્પષ્ટ કહ્યું છે કે જોશીમઠની નીચેથી કોઈ ટનલ કાઢવામાં આવી નથી. એ પણ કહ્યું કે NTPC ક્યારેય બ્લાસ્ટ દ્વારા ટનલનું ખોદકામ કરતું નથી, પરંતુ તે ટેકનિકલી અને મશીનો દ્વારા ખોદવામાં આવે છે. જોશીમઠના લોકોના વિરોધને પગલે 5 જાન્યુઆરીથી તપોવન હાઇડલ પ્રોજેક્ટનું કામ બંધ છે. કંપનીએ સ્પષ્ટ કર્યું કે 12 કિલોમીટર લાંબી ટનલનો જોશીમઠ સાથે કોઈ સંબંધ નથી. આ ટનલ નદીના પાણીને ઉપાડીને પ્લાન્ટના ટર્બાઈન સુધી લઈ જવા માટે બનાવવામાં આવી છે.

ટૂંક સમયમાં જ આ દુર્ઘટનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે

મુખ્યમંત્રીના સચિવ આર મીનાક્ષીએ રવિવારથી જોશીમઠમાં પડાવ નાખ્યો છે. તેઓ માત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા નથી, પરંતુ અહીંથી મુખ્યમંત્રીને દરેક ક્ષણનો રિપોર્ટ આપી રહ્યા છે. આ સાથે તેઓ સ્થાનિક સ્તરના અધિકારીઓ સાથે નિયમિત બેઠક કરીને રાહત કાર્યને ઝડપી બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં જ આ દુર્ઘટનામાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવશે.

Published On - 12:43 pm, Mon, 9 January 23