
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના એક અધિકારી શહીદ થયા છે. અધિકારીનું નામ કર્નલ મનપ્રીત સિંહ છે. તેઓ 19 રાષ્ટ્રીય રાઈફલ્સમાં પોસ્ટેડ હતા અને કમાન્ડિંગ ઓફિસર હતા. જમ્મુ-કાશ્મીરમાં 2020 પછી આ પહેલી ઘટના છે જેમાં કોઈ કમાન્ડિંગ ઓફિસર શહીદ થયા હોય.
આપને જણાવી દઈએ કે એન્કાઉન્ટર અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં થયું હતું. આતંકવાદીઓ સામે લડતી વખતે કર્નલ મનપ્રીત અને એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ગડોલ વિસ્તારમાં છુપાયેલા આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે બુધવારે સવારે એન્કાઉન્ટર શરૂ થયું હતું. તેમણે કહ્યું કે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચેના પ્રારંભિક ગોળીબારમાં કર્નલ અને પોલીસ અધિકારી ગંભીર રીતે ઘાયલ થયા.
કાશ્મીર ઝોન પોલીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટમાં કહ્યું કે અનંતનાગના કોકરનાગ વિસ્તારમાં એન્કાઉન્ટર શરૂ થયું છે. સેના અને જમ્મુ કાશ્મીર પોલીસના અધિકારીઓ ઘાયલ થયા છે. સેના અનુસાર, આતંકવાદીઓની હાજરીની માહિતીના આધારે, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા 12-13 સપ્ટેમ્બરની મધ્યરાત્રિએ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
અગાઉ, મંગળવારે બપોરે રાજૌરીના દૂરના નારલા વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જે આજે પણ ચાલુ રહી હતી. એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં બે આતંકીઓ માર્યા ગયા છે. આ અથડામણમાં સેનાના એક જવાન અને એક સ્નિફર ડોગ શહીદ થયા હતા. આ ઉપરાંત ત્રણ પોલીસ અધિકારીઓ પણ ઘાયલ થયા છે. આપને જણાવી દઈએ કે સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઠાર કરવા માટે સુરક્ષા વધારી દીધી છે અને તેમને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ભારતીય સેના તરફથી અત્યાર સુધી 45 દિવસમાં 20 આતંકવાદીઓને રાજૌરી અને પુંછ વિસ્તારમાં ઠાર કરવામાં આવ્યા છે. મોટાભાગના આતંકવાદીઓ પાકિસ્તાની મૂળના હતા. આ આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો હતો. રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના એક મૂક યોદ્ધા કેન્ટ પણ શહીદ થયા હતા. કેન્ટે અત્યાર સુધીમાં 8 આર્મી ઓપરેશનમાં ભાગ લીધો હતો.
Published On - 7:20 pm, Wed, 13 September 23