કોવિડ-19ના (Covid-19) કેસોમાં સતત વધારા વચ્ચે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir) પ્રશાસને શનિવારથી સાપ્તાહિક લોકડાઉન (Weekly lockdown) વધુ કડક કરી દીધું છે. તમામ જિલ્લાઓમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બિનજરૂરી અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ સાથે નાઈટ કર્ફ્યુ ચાલુ રાખવાનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. શુક્રવારે રાજ્યમાં 2,456 નવા કેસ મળી આવ્યા હતા.
મુખ્ય સચિવ એકે મહેતાની અધ્યક્ષતામાં યોજાયેલી રાજ્ય કારોબારી સમિતિ (SEC)ની બેઠકમાં લેવાયેલા નિર્ણયની જાહેરાત કરતા અધિકારીઓએ જણાવ્યું હતું કે રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે અને શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ ઑનલાઈન મોડ દ્વારા ચાલુ રહેશે.
મુખ્ય સચિવે વહીવટીતંત્રને 15-17 વર્ષની વય જૂથ માટે રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવા વિનંતી કરી છે, જે હાલમાં 40 ટકા છે. અધિકારીઓને આ વયજૂથમાં એક સપ્તાહની અંદર રસીકરણ પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું છે.
મુખ્ય સચિવે જમ્મુ અને કાશ્મીરના સંબંધિત જિલ્લાઓના જિલ્લા મેજિસ્ટ્રેટને કોવિડ માર્ગદર્શિકાનું કડકપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તમામ મેજિસ્ટ્રેટને ભારતીય દંડ સંહિતા મુજબ માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરનારાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું છે.
આદેશ મુજબ ફક્ત 25 લોકોને જ ઈન્ડોર અને આઉટડોર મેળાવડામાં હાજરી આપવાની મંજૂરી છે. બેન્ક્વેટ હોલમાં 25 રસી લીધેલા લોકોને અથવા અધિકૃત ક્ષમતાના 25 ટકા સુધીની મંજૂરી છે. બેન્ક્વેટ હોલમાં લોકોએ RT-PCR રિપોર્ટ બતાવવાનો રહેશે, જે 72 કલાકથી વધુ જૂનો ન હોવો જોઈએ. ઉપરાંત સિનેમા હોલ, થિયેટર, મલ્ટીપ્લેક્સ, રેસ્ટોરન્ટ, ક્લબ, જિમ્નેશિયમ અને સ્વિમિંગ અધિકૃત ક્ષમતાના માત્ર 25 ટકા સાથે ખુલ્લા રહેશે.
આદેશ અનુસાર શૈક્ષણિક સંસ્થાઓને માત્ર ઓનલાઈન શિક્ષણની મંજૂરી આપવામાં આવી છે. જ્યારે વહીવટી હેતુઓ માટે માત્ર રસીકરણ થયેલા સ્ટાફ સભ્યો જ સંસ્થાઓમાં ભાગ લઈ શકે છે. મુખ્ય સચિવે જિલ્લા વહીવટીતંત્રને તમામ કોવિડ પ્રોટોકોલ અને એસઓપીનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવા પણ નિર્દેશ આપ્યો હતો.
મુખ્ય સચિવે ટેલિફોન પર તબીબી સહાયતા માટે સ્થાપિત જિલ્લા કોવિડ હેલ્પલાઈન નંબરોને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક જાગૃતિ અભિયાન ચલાવવાનો આદેશ આપ્યો. પંચાયત સ્તરે આઈસોલેશન સુવિધાઓ, પ્રાથમિક આરોગ્ય સંભાળ કેન્દ્રો પર પ્રાથમિક સારવાર અને કટોકટીની સ્થિતિમાં આરોગ્ય સુવિધાઓ માટે બ્લોક સ્તરની કોવિડ મેડિકલ ગ્રીડને ફરીથી સક્રિય કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી છે. જ્યારે જિલ્લા મેજિસ્ટ્રેટને કોવિડ -19ના નિવારણ માટે ઘણા માઈક્રો-કન્ટેનમેન્ટ ઝોન બનાવવા માટે કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો – Republic Day 2022: હવે 23 જાન્યુઆરીથી શરૂ થશે ગણતંત્ર દિવસની ઉજવણી, જાણો કારણ
આ પણ વાંચો – શિક્ષણ પર કોરોનાનું ગ્રહણ: આ રાજ્યમાં 23 જાન્યુઆરી સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ
Published On - 5:48 pm, Sun, 16 January 22