
પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં ચિનાબ નદી પર બની રહેલા ભારતના નવા બંધની સમીક્ષા શરૂ કરી છે. હકીકતમાં ભારતે ચિનાબ નદી પર સાવલકોટ હાઈડ્રોઈલેક્ટ્રીક પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જેનાથી પાકિસ્તાનમાં ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના જળ સંસાધન મંત્રાલયના ટોચના સૂત્રોના હવાલાથી જાણકારી અનુસાર પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં ચિનાબ નદી પર ભારતના નવા ડેમને રિવ્યુ કરી રહ્યુ છે. ભારતનો આ પ્રોજેક્ટ લગભગ 5,129 કરોડ રૂપિયાનો છે. મોદી સરકારે ગત વર્ષે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરી છે. જે બાદ મોદી સરકારે આ પ્રોજેક્ટને લીલી ઝંડી આપી છે.
પાકિસ્તાન આ પ્રોજેક્ટને તેની સિંચાઈ અને કૃષિ માટે ખતરો માને છે. ગયા મહિને ન્યૂઝ18ના એક અહેવાલમાં જણાવાયું હતું કે કેન્દ્ર સરકારે ચેનાબ નદી પરના ચાર મોટા હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા માટે કડક આદેશો જારી કર્યા છે. અધિકારીઓને ડિસેમ્બર 2026 સુધીમાં પાકલ દુલ અને કિરુ પ્રોજેક્ટ્સને કોઈપણ કિંમતે પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. સરકારે એમ પણ કહ્યું છે કે ક્વાર પ્રોજેક્ટ માર્ચ 2028 સુધીમાં પૂર્ણ થવો જોઈએ અને વ્યૂહાત્મક રીતે સંવેદનશીલ રતલ ડેમનું બાંધકામ પણ યુદ્ધના ધોરણે શરૂ થવું જોઈએ.
ભારતે જ્યારથી સિંધુ જળ સંધિ સ્થગિત કરી છે, ત્યારથી પાકિસ્તાને અનેક ધમકીઓ આપી રહ્યુ છે. પાકિસ્તાન અવારનવાર પરમાણુ યુદ્ધની પણ ખોખલી ધમકી આપી ચુક્યુ છે. પરંતુ હવે જ્યારે ભારતે આ પ્રોજેક્ટ ગંભીરતાથી અને ઝડપથી શરૂ કર્યો છે, ત્યારે પાકિસ્તાન ખરેખર ચિંતિત છે. આ ડેમ પાકિસ્તાનની ખેતી પર ગંભીર અસર કરશે. સંધિને સ્થગિત કર્યા પછી, ભારત હવે ચિનાબ નદી પર નવા અથવા હાલના પ્રોજેક્ટ્સ માટે પાકિસ્તાન સાથે ડેટા-શેરિંગ અથવા પૂર્વ માહિતી આવશ્યકતાઓનું પાલન કરી રહ્યું નથી. ભારતે આર્બિટ્રેશન કોર્ટના ચુકાદાને પણ નકારી કાઢ્યો છે, તેને ગેરકાયદેસર ગણાવ્યો છે.
ચિનાબ નદી સિંધુ બેસિનનો ભાગ છે અને તેને પાકિસ્તાન માટે જીવનરેખા માનવામાં આવે છે. પાકિસ્તાનનું લગભગ ત્રણ-ચતુર્થાંશ પાણી ભારતથી પાકિસ્તાનમાં વહેતી પશ્ચિમી નદીઓમાંથી આવે છે. પાકિસ્તાન તેની 90 ટકાથી વધુ ખેતી માટે આ બંધ પર આધાર રાખે છે. વધુમાં, પાકિસ્તાનના બંધ અને નહેરોનું લગભગ આખું નેટવર્ક તેની આસપાસ બનેલું છે. દસમાંથી નવ પાકિસ્તાની નાગરિકો અગાઉ ભારતીય પ્રદેશમાંથી વહેતા પાણી પર આધાર રાખે છે. News18 એ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે “પાકિસ્તાની વિભાગો જેમ કે સિંધુ જળ કમિશનર કાર્યાલય, પાકિસ્તાન જળ સંસાધન મંત્રાલય, વિદેશ મંત્રાલય, એટર્ની જનરલ કાર્યાલય અને અન્ય સંબંધિત વિભાગો આ પ્રોજેક્ટનો અભ્યાસ કરી રહ્યા છે.”
ગુપ્તચર સૂત્રોએ જણાવ્યું હતું કે “ટૂંક સમયમાં વડાપ્રધાન કાર્યાલયને એક વ્યાપક અહેવાલ મોકલવામાં આવશે.” સૂત્રોએ News18 ને જણાવ્યું હતું કે “અધિકારીઓ પાકિસ્તાનના બંધ અને પાણી કાઢવાના મુદ્દાઓને ઉકેલવા માટે ઘણા વિકલ્પો પર પણ કામ કરી રહ્યા છે.” પાકિસ્તાન ભારતને પડકારવા માટે તમામ પાસાઓની સમીક્ષા કરી રહ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે તે એક પોલિસી સ્ટેટમેન્ટ જારી કરશે અને ટૂંક સમયમાં ભારતના નવા બંધ પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય ન્યાયાલય અને અન્ય આંતરરાષ્ટ્રીય મંચો પર પડકારી શકે છે. દરમિયાન, ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા આઉટલેટને જણાવ્યું હતું કે “તે અમારી જાણકારીમાં છે.અને અમે ટૂંક સમયમાં વધુ વિગતો સાથે જવાબ આપીશું.” સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાને સિંધુ જળ સંધિને સ્થગિત કરવાના ભારતના નિર્ણયને આંતરરાષ્ટ્રીય મંચો પર પડકાર્યો છે.
Published On - 4:17 pm, Tue, 10 February 26