
ભારતીય રેલવે, જે દેશની જીવાદોરી ગણાય છે, તે અત્યારે ઈતિહાસના સૌથી મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. પીએમઓ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, રેલવેએ તેના માળખાકીય સુવિધાઓમાં ક્રાંતિકારી સુધારા કર્યા છે, જેનો સીધો ફાયદો દરરોજ મુસાફરી કરતા 2.5 કરોડથી વધુ લોકોને થવાનો છે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, 2014 પછી ટ્રેક આધુનિકીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. અદ્યતન ટેસ્ટિંગ અને મશીન દ્વારા જાળવણીને કારણે ટ્રેક અને વેલ્ડિંગ ફેલ થવાની ઘટનાઓમાં 90 ટકા જેટલો ધરખમ ઘટાડો થયો છે. આ સુધારાને કારણે ટ્રેન દુર્ઘટનાઓની શક્યતા નહિવત બની ગઈ છે અને ‘રાઈડ ક્વોલિટી’ એટલે કે મુસાફરીનો અનુભવ પણ શાનદાર થયો છે.
રેલવેએ અત્યાર સુધીમાં 44,000 કિલોમીટર લાંબા રેલ પેનલ બિછાવ્યા છે. આ લાંબી પટરીઓનો ફાયદો એ છે કે તેમાં સાંધા (Joints) ઓછા હોય છે, જેથી ટ્રેન ચાલતી વખતે મુસાફરોને ઝટકા લાગતા નથી. આ સાથે જ 80,000 કિલોમીટરથી વધુ ટ્રેક પર હવે 60-કિલોગ્રામ વાળા ભારે અને અત્યંત મજબૂત પાટા નાખવામાં આવ્યા છે, જે વંદે ભારત જેવી હાઈ-સ્પીડ ટ્રેનો અને ભારે માલગાડીઓનું વજન સરળતાથી ખમી શકે છે.
Modernisation of railway tracks is powering a faster and more dependable network.
Track renewal, advanced testing and mechanised maintenance have improved ride quality and ensured higher speeds. These changes are reducing delays, supporting smoother journeys and helping… pic.twitter.com/WpC9QEiUDy
— PMO India (@PMOIndia) April 23, 2026
પહેલા જે કામ માણસો દ્વારા થતું હતું, ત્યાં હવે આધુનિક મશીનોએ સ્થાન લીધું છે. 2014માં ટ્રેકની જાળવણી માટે માત્ર 748 મશીનો હતા, જે 2026 સુધીમાં વધીને 1,785 થઈ ગયા છે. આ મશીનો પટરીઓની સફાઈ અને ઘિસીને સરખી કરવાનું કામ સચોટતાથી કરે છે, જેના કારણે ટ્રેકની લાઈફ વધે છે.
આંકડાઓ કહે છે કે ભારતીય રેલવેનું લગભગ 80 ટકા નેટવર્ક હવે 110 કિમી પ્રતિ કલાક કે તેથી વધુ ઝડપ ઝીલવા માટે તૈયાર છે. આ મજબૂતીને કારણે જ હવે વંદે ભારત જેવી ટ્રેનો પોતાની પૂરી ક્ષમતા સાથે દોડી શકે છે.
1,37,000 કિલોમીટર લાંબી પટરીઓનું આ રિન્યુઅલ માત્ર ટેકનિકલ સુધારો નથી, પરંતુ વધતી જતી પેસેન્જર ડિમાન્ડ અને માલસામાનની હેરફેરની જરૂરિયાતોને પૂરી કરવા તરફનું એક ક્રાંતિકારી કદમ છે.