ભારતના આ મંદિરમાં દાન આપવા પર ભક્તોને મળે છે ‘સોના-ચાંદીના સિક્કા’, લાગે છે કરોડપતિઓની ‘લાંબી લાઈન’

દુનિયાના સૌથી અમીર મંદિરોમાં ગણાતા ભારતના આ પવિત્ર ધામમાં મોટું દાન આપનારા ભક્તોને સન્માન સ્વરૂપે અસલી સોના-ચાંદીના સિક્કા આપવામાં આવે છે. જો કે, તાજેતરમાં જ આ અનોખી ડોનર પોલિસીમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેના કારણે અહીં કરોડો રૂપિયાનું દાન આપવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.

ભારતના આ મંદિરમાં દાન આપવા પર ભક્તોને મળે છે સોના-ચાંદીના સિક્કા, લાગે છે કરોડપતિઓની લાંબી લાઈન
Image Credit source: AI Generated
| Updated on: Jul 17, 2026 | 4:11 PM

આંધ્રપ્રદેશનું પ્રખ્યાત તિરૂમલા તિરૂપતિ વેંકટેશ્વર મંદિર દર વર્ષે આવતા ચઢાવા (દાન) ની બાબતમાં દુનિયાના સૌથી અમીર મંદિરોમાં ગણાય છે. અંદાજે રૂ. 3.38 લાખ કરોડની અઢળક સંપત્તિ ધરાવતા આ દિવ્ય દરબારની પોતાની એક અનોખી ડોનર પોલિસી (દાતા નીતિ) છે.

આ અંતર્ગત મંદિર ટ્રસ્ટને એક નિશ્ચિત રકમનું દાન આપનારા ભક્તોને ખાલી હાથે પાછા નથી મોકલવામાં આવતા. તેમના યોગદાનના બદલામાં તેમને સન્માન સ્વરૂપે અસલી સોનાના ડોલર (સિક્કા) અને શુદ્ધ ચાંદીના સિક્કા ભેટ આપવામાં આવે છે.

કોને મળે છે સોના-ચાંદીના સિક્કા?

મંદિર ટ્રસ્ટના નિયમો મુજબ, સોના અને ચાંદીના સિક્કા માત્ર એવા નોંધાયેલા દાતાઓને જ આપવામાં આવે છે, જેઓ નક્કી કરેલા સ્લેબ અનુસાર મોટું યોગદાન આપે છે. આ વિશેષ સન્માન ભક્તને તેમના જીવનમાં માત્ર પહેલીવાર દર્શન કરવા પર જ મળે છે.

10 લાખથી 25 લાખનું દાન

આ શ્રેણીના દાતાઓને તેમની પ્રથમ મુલાકાત પર મંદિર તરફથી 50 ગ્રામનો શુદ્ધ ચાંદીનો સિક્કો આપવામાં આવે છે.

25 લાખથી 1 કરોડનું દાન

આ પ્રીમિયમ સ્લેબમાં દાન આપનારા ભક્તોને 5 ગ્રામનો શુદ્ધ સોનાનો ડોલર અને સાથે 50 ગ્રામનો ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવે છે.

1 કરોડ કે તેથી વધુનું દાન

આ સર્વોચ્ચ શ્રેણીના અમીર ભક્તોને 5 ગ્રામ સોનાના ડોલરની સાથે ભગવાન શ્રીવરૂ અને દેવી પદ્માવતીની છબી ધરાવતું એક વિશેષ સોનાનો ઢોળ ચડાવેલું ચાંદીનું પદક સન્માન સાથે સોંપવામાં આવે છે.

આ સિક્કા કેવી રીતે મળે છે? પૂરી પ્રક્રિયા સમજો

  1. સૌથી પહેલા દાતાએ TTDના સત્તાવાર ડોનર મેનેજમેન્ટ સિસ્ટમ પોર્ટલ (https://tirupatibalaji.ap.gov.in/#/edonation) પર જઈને પોતાની રકમનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે.
  2. ઓફલાઈન માધ્યમ માટે દાતા Executive Officer, TTD ના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ઈન્ટરનેશનલ મની ઓર્ડર બનાવીને સીધા વહીવટી ભવન (K.T. Road, Tirupati) મોકલી શકે છે.
  3. પેમેન્ટ સફળ થતાં જ ડિજિટલ રસીદ અને ઈન્કમ ટેક્સ છૂટનું સર્ટિફિકેટ મળે છે.
  4. આ પછી દાતાએ બે પાસપોર્ટ સાઈઝ ફોટા જમા કરાવવાના રહેશે, જેના પછી ટ્રસ્ટ એક ડોનર પાસબુક ઈશ્યુ કરે છે.
  5. આ પાસબુક બતાવવા પર જ બધી સુવિધાઓ શરૂ થાય છે.
  6. આ પછી દાતા પોતાના પરિવાર (મહત્તમ 5 લોકો) સાથે નક્કી કરેલી તારીખે તિરૂપતિ પહોંચે છે અને ‘સુપાથમ’ દ્વારા ગર્ભગૃહના દર્શન કરે છે.
  7. દર્શન કર્યા પછી મંદિર પરિસરની અંદર બનેલા ‘રંગનાયકુલ મંડપમ’ અથવા ડોનર સેલ કાઉન્ટર પર ડોનર પાસબુકનું ફિઝિકલ વેરિફિકેશન કરવામાં આવે છે.
  8. વેરિફિકેશન પૂરું થતાં જ અધિકારીઓ દ્વારા નિર્ધારિત શ્રેણીના સોના/ચાંદીના સિક્કા, રેશમી દુપટ્ટો અને લાડુનો પ્રસાદ સોંપવામાં આવે છે.
  9. મદદ માટે ભક્તો ડોનર સેલના હેલ્પલાઈન નંબર 08772263001 (24×7) પર સંપર્ક કરી શકે છે.

તાજેતરમાં કેમ લાગી હતી કરોડપતિઓની લાઈન?

14 જુલાઈએ આ મંદિરમાં એક જ દિવસમાં રૂ. 96.98 કરોડનું રેકોર્ડ બ્રેક દાન આવ્યું. આની પાછળનું મુખ્ય કારણ મંદિર બોર્ડ દ્વારા ડોનર પોલિસીમાં કરવામાં આવેલો મોટો ફેરફાર હતો.

જૂની નીતિમાં શું હતું?

જૂની નીતિ હેઠળ 1 કરોડ કે તેથી વધુનું દાન કરવા પર ભક્તોને આજીવન માટે વર્ષમાં 3 દિવસ વહેલી સવારના વિશેષ સુપ્રભાત દર્શન, 3 દિવસ મફત વીઆઈપી બ્રેક દર્શન અને 3000 રૂપિયાથી વધુની કિંમતવાળા વીઆઈપી સુઈટમાં 3 દિવસ મફત રોકાવાની સુવિધા મળતી હતી.

આ સાથે જ વેદ પંડિતો દ્વારા વેદ આશીર્વાદવચનમ, 10 મોટા લાડુ અને મહાપ્રસાદ મળતો હતો. એવામાં અમીરોને ખબર પડી કે, 15 જુલાઈની અડધી રાતથી આ ‘લાઈફટાઈમ’ (આજીવન) વાળો નિયમ હંમેશા માટે ખતમ થઈ રહ્યો છે, તો પોતાનો આજીવન લાભ સુરક્ષિત કરવા માટે 2,460 દાતાઓએ ડેડલાઈન પહેલા જ કરોડો રૂપિયા સીધા મંદિરના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા.

હવે નવા નિયમો શું છે?

નવા નિયમો લાગુ થયા પછી હવે કોઈપણ દાતાને ‘આજીવન’ વીઆઈપી સુવિધાઓ નહીં મળે. નવી નીતિ હેઠળ વ્યક્તિગત દાતાઓને વીઆઈપી દર્શન અને રોકાવાની આ સુવિધાઓ મહત્તમ 20 વર્ષ અને કોઈ સંસ્થા કે કોર્પોરેટ ટ્રસ્ટને 15 વર્ષ સુધી જ આપવામાં આવશે. આ સાથે જ વીઆઈપી સુવિધાઓ માટે ભલામણ પત્રોની મેન્યુઅલ દખલગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

ભાઈના કાંડે કયા સમયે ‘રાખડી’ બાંધવી ‘સૌથી શુભ’ ? જાણો ‘સાચી તિથિ’ અને ‘ઉત્તમ મુહૂર્ત’ વિશે

Follow Us