રોડ અકસ્માતમાં લોકોને બચાવવા સરકારની અનોખી પહેલ, “કરો મદદ અને મેળવો ઈનામ”

આ યોજના અંગે માર્ગ પરિવહન મંત્રાલયે જણાવ્યુ હતુ કે, કટોકટીની પરિસ્થિતિમાં માર્ગ અકસ્માત પીડિતોને મદદ કરવા અને તેમના મનોબળને વધારવા માટે રોકડ પુરસ્કારો અને પ્રમાણપત્રો દ્વારા સામાન્ય લોકોને પ્રેરિત કરવાની જરૂર છે.

રોડ અકસ્માતમાં લોકોને બચાવવા સરકારની અનોખી પહેલ, કરો મદદ અને મેળવો ઈનામ
Govt. offers reward for rescuing road crash victims
| Edited By: | Updated on: Oct 06, 2021 | 7:07 PM

Road Accident : જેઓ ગંભીર માર્ગ અકસ્માતોનો ભોગ બનેલા લોકોને બચાવે છે અને તેમને એક કલાકની અંદર હોસ્પિટલમાં લઈ જાય છે તેમને કેન્દ્ર સરકાર દ્વારા હવે 5,000 રૂપિયાનું ઈનામ આપવામાં આવશે. ઉપરાંત જે વ્યક્તિ એક વર્ષમાં અકસ્માતમાં 10 લોકોને બચાવશે. તેમને એક લાખનું ઈનામ પણ મળવાપાત્ર છે.

ક્યાં સુધી અમલમાં રહેશે આ યોજના ?

ઉલ્લેખનીય છે કે, માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે (Ministry of Road Transport and Highways) સોમવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પત્ર લખીને આ નવી યોજના વિશે માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે, આ યોજના 15 ઓક્ટોબર 2021 થી 31 માર્ચ 2026 સુધી અમલમાં રહેશે.

સામાન્ય લોકોને પ્રેરિત કરવાની જરૂર

આ યોજના અંગે માર્ગ પરિવહન મંત્રાલયે જણાવ્યુ હતુ કે, કટોકટીની પરિસ્થિતિમાં માર્ગ અકસ્માત પીડિતોને મદદ કરવા અને તેમના મનોબળને વધારવા માટે રોકડ પુરસ્કારો (Cash Prizes) અને પ્રમાણપત્રો દ્વારા સામાન્ય લોકોને પ્રેરિત કરવાની જરૂર છે, આ યોજનાની મદદથી પીડિતોના જીવન બચાવવા માટે અન્ય લોકોને પ્રેરણા આપવાનો મુખ્ય ઉદેશ છે.

લાભાર્થીને કેટલું ઈનામ મળવા પાત્ર ?

ઉલ્લેખનીય છે કે, આ યોજના માટે કેટેગરી પણ નક્કી કરવામાં આવી છે,અકસ્માતમાં મગજ અને કરોડરજ્જુની ઇજા થયેલ દર્દી ઓછામાં ઓછા ત્રણ દિવસ સુધી હોસ્પિટલમાં રહે છે, તો તેની મદદ કરનાર વ્યક્તિ આ ઈનામ માટે લાયક રહેશે. આ યોજનાના અમલથી અકસ્માતમાં (Accident) મદદ કરનાર વ્યક્તિને 5,000 રૂપિયા સાથે એક પ્રશંશા પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે. એક વ્યક્તિને વર્ષમાં વધુમાં વધુ પાંચ વખત એવોર્ડ આપી શકાય છે.

જે-તે વિભાગને કેટલી ગ્રાન્ટ મળશે ?

કેન્દ્ર આ યોજના માટે પરિવહન વિભાગોને પ્રારંભિક અનુદાન તરીકે 5 લાખ રૂપિયા આપશે. યોજના અંતર્ગત લાભાર્થીઓને ઈનામ આપવા માટે જે તે વિભાગે માર્ગદર્શિકા અનુસરવાની રહેશે. વિભાગ ઘટના અંગે સ્થાનિક પોલીસ પાસેથી વિગતો લેશે અને મદદ કરનાર વ્યક્તિને સ્વીકૃતિ આપશે. ત્યારબાદ પોલીસ દ્વારા એક નકલ જિલ્લા મેજિસ્ટ્રેટની (District Magistrate) અધ્યક્ષતામાં જિલ્લા સ્તરે રચાયેલી મૂલ્યાંકન સમિતિને મોકલવામાં આવશે, જે દરખાસ્તોને માસિક ધોરણે મંજૂર કરશે. ત્યારબાદ આ ઈનામ આપવામાં આવશે.

 

આ પણ વાંચો : નરેન્દ્ર મોદીએ બંધારણીય પદ પર પૂર્ણ કર્યા 20 વર્ષ ! છેલ્લા 7 વર્ષમાં મોદીના આ મોટા નિર્ણયો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા

આ પણ વાંચો :  લખીમપુર ઘટનાને લઈને શરદ પવારે BJP પર કર્યા આકરા પ્રહાર, કહ્યુ “ભાજપે કિંમત ચૂકવવી પડશે”