DELHI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI) એ કહ્યું છે કે અમારી સરકાર નાના ખેડૂતોને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે એમ પણ કહ્યું કે અમે કૃષિ કાયદાઓ પર ચર્ચા કરવા માટે તૈયાર છીએ, પરંતુ અત્યાર સુધી કોઈને એવો વિચાર આવ્યો નથી કે તેઓ આ ચોક્કસ ફેરફારો ઈચ્છે છે. એક ઇન્ટરવ્યુમાં વડાપ્રધાને ત્રણ નવા કૃષિ કાયદાઓ, ખેડૂતોના સંગઠનો સાથેની વાતચીત અને કાયદાઓ પર રાજનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરી છે.
ઓપન મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યુમાં પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકાર શરૂઆતથી જ વિરોધ કરી રહેલા ખેડૂતોના સંગઠનો સાથે વાતચીત કરવા અને કાયદાઓ સામે વાંધા સાથેઅન મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. આ અંગે ઘણી બેઠકો પણ યોજાઈ છે, પરંતુ અત્યાર સુધી કોઈ વાંધા સંબંધિત કોઈ ખાસ મુદ્દો લઈને આવ્યું નથી, ન તો તેમણે કહ્યું છે કે તેઓ ખાસ કરીને આ ફેરફાર ઈચ્છે છે.
ખેડૂતોના ફાયદાઓની અવગણના કરી રાજકીય લાભ જોવામાં આવી રહ્યો છે
વિરોધીઓ પર કટાક્ષ કરતા તેમણે કહ્યું, “જો તમે આજે ખેડૂતોના હિતમાં રહેલા કાયદાઓનો વિરોધ કરનારાને જોશો, તો તમને બૌદ્ધિક અપ્રમાણિકતા અને રાજકીય છેતરપિંડીનો વાસ્તવિક અર્થ ખબર પડશે. આ એ જ લોકો છે જેમણે મુખ્યમંત્રીઓને પત્ર લખીને અમારી સરકારે જે કર્યું છે તે કરવાની માંગ કરી છે. આ તે જ લોકો છે જેમણે તેમના મેનિફેસ્ટોમાં સમાન સુધારાઓ કરવાનું વચન આપ્યું હતું જે અમે કર્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું આમ હોવા છતાં, જ્યારે લોકોના આશીર્વાદથી રચાયેલી સરકાર સમાન સુધારાઓ લાગુ કરી રહી છે, ત્યારે તેઓએ યુ-ટર્ન લીધો છે અને બૌદ્ધિક અપ્રમાણિકતા દર્શાવી છે. ખેડૂતોને મળતા ફાયદાઓની અવગણના કરીને, તેઓ પોતનો રાજકીય લાભને જોઈ રહ્યા છે.
ખેડૂતો સરકારના દાવાને સ્વીકારવા તૈયાર નથી
કેન્દ્ર સરકાર સતત કહી રહી છે કે ત્રણેય કૃષિ કાયદા ખેડૂતોના હિતમાં છે અને તેનાથી તેમની આવકમાં વધારો થશે. વળી, ખેડૂતો દેશભરમાં પોતાનું ઉત્પાદન વેચવા માટે મુક્ત રહેશે. માત્ર APMC માં જ વેચવાની મજબૂરીનો અંત આવશે. તે જ સમયે, ખેડૂત સંગઠનોએ ત્રણેય નવા કૃષિ કાયદાઓને ‘કાળા કાયદા’ ગણાવ્યા છે.
તેમનું કહેવું છે કે આ કાયદાઓના અમલ બાદ MSP સમાપ્ત થશે અને APMC ને તાળા લાગશે. જો કે, સરકારે આંકડા ટાંકીને કહ્યું છે કે સંસદ દ્વારા કૃષિ કાયદા પસાર થયા બાદ MSP માં સતત વધારો થયો છે. તે જ સમયે, લઘુતમ ટેકાના ભાવ પર કુલ સરકારી ખરીદીમાંથી, 85000 કરોડ માત્ર APMCમાંથી જ ખરીદવામાં આવ્યા છે. જોકે, ખેડૂત સંગઠનો તેમની માંગ પર અડગ છે અને તેઓ MSP પર ગેરંટી માંગે છે.