બાંગ્લાદેશના (Bangladesh) વડા પ્રધાન શેખ હસીનાએ (Sheikh Hasina) સોમવારે ભારતીય બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી (Gautam Adani) સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ શેખ હસીનાના સાહસિક વર્તનની પ્રશંસા કરી હતી. તેમણે એવી પણ ખાતરી આપી હતી કે ગોડ્ડા પાવર પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહેલી ટ્રાન્સમિશન લાઇનનું કામ આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. અદાણી ગ્રુપની કંપની ‘અદાણી પાવર’એ ઝારખંડના ગોડ્ડામાં 1600 મેગાવોટનો થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપ્યો છે. તેના દ્વારા બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડ (BPDB)ને વીજળી પૂરી પાડવામાં આવશે. આ સપ્લાય ટ્રાન્સમિશન લાઇન દ્વારા કરવામાં આવશે.
બાંગ્લાદેશ ભારતની ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ એટલે કે ‘પડોશીને પ્રથમ અગ્રતા’ હેઠળ દેશનો મહત્વપૂર્ણ ભાગીદાર છે. બંને દેશો વચ્ચેના સહકારનો વ્યાપ સુરક્ષા, વેપાર, પાવર અને ઉર્જા, પરિવહન અને કનેક્ટિવિટી, વિજ્ઞાન અને ટેકનોલોજી, સંરક્ષણ ક્ષેત્ર, નદીઓ અને દરિયાઈ બાબતો સહિતના ઘણા ક્ષેત્રોમાં ફેલાયેલો છે. હસીનાને મળ્યા બાદ અદાણીએ એક ટ્વિટમાં તેમની સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું, ‘બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાને દિલ્હીમાં મળવું સન્માનની વાત છે. બાંગ્લાદેશ માટે તેમનું વિઝન પ્રેરણાદાયી અને બોલ્ડ છે. અમે 16 ડિસેમ્બર 2022 ના રોજ દેશના વિજય દિવસ સુધીમાં અમારા 1600 મેગાવોટના ગોડ્ડા પાવર પ્રોજેક્ટ અને બાંગ્લાદેશને સમર્પિત ટ્રાન્સમિશન લાઇન શરૂ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
It is an honour to have met Hon PM of Bangladesh Sheikh Hasina in Delhi. Her vision for Bangladesh is inspirational and stunningly bold.
We are committed to commissioning our 1600 MW Godda Power Project and dedicated transmission line to Bangladesh by Bijoy Dibosh, 16 Dec 2022. pic.twitter.com/LySohNBSrV
— Gautam Adani (@gautam_adani) September 5, 2022
નોંધનીય છે કે બાંગ્લાદેશના પીએમ હસીના ભારત પ્રવાસના પહેલા દિવસે એટલે કે સોમવારે દિલ્હીમાં નિઝામુદ્દીન ઓલિયા દરગાહ ગયા હતા. શેખ હસીના ચાર દિવસના ભારત પ્રવાસે છે. સોમવારે વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યા હતા અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. સોમવારે, વડા પ્રધાન હસીનાનું દિલ્હી આગમન પર ટેક્સટાઇલ અને રેલ્વે રાજ્ય પ્રધાન દર્શના જરદોષ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. શેખ હસીનાની ભારત મુલાકાતને મહત્વની મુલાકાત તરીકે જોવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે પીએમની આ મુલાકાત ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના બહુપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરશે.