
જૂન 1980માં જ્યારે વિમાન દુર્ઘટનામાં સંજય ગાંધીનું અચાનક મૃત્યુ થયું, તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી માનસિક રીતે ઘણા તૂટી ગયા હતા. સંજય ગાંધી માત્ર તેમના પુત્ર નહોતા પરંતુ સરકારનો અને પાર્ટીનો એક મજબૂત સ્તંભ હતા. તેમના મૃત્યુ પછી એક એવો ખાલીપો સર્જાયો જેને ભરવા માટે ઘરની અંદર જ બે અલગ અલગ વિચારધારાઓ ટકરાવા લાગી. જેમા એક તરફ મેનકા ગાંધી હતી, એ સમયે તેમની ઉમર હતી માત્ર 23 વર્ષ. યુવાન હોવા છતા મેનકા ગાંધી રાજકારણની ઉંડી સમજ હતી. મેનકાને પુરો વિશ્વાસ હત કે સંજયની રાજકીય વિરાસત પર ફક્ત અને ફક્ત તેમનો જ હક્ક છે. મેનકા ગાંધીને લાગતુ હતુ કે સંજયના વફાદા નેતાઓ તેમને પોતાના માર્ગદર્શક માને અને વડાપ્રધાન આવાસમાંથી પોતાની રાજકીય જમીન તૈયાર કરે. તેમને લાગતુ હતુ કે સંજયની મહેનતથી તૈયાર કરાયેલી યુવા કોંગ્રેસ અને તેમની ટીમ પર તેમનો નૈતિક અધિકાર છે.
ઈન્દિરા ગાંધી જે એક અનુભવી રાજનેતા તરીકે ભવિષ્યના સોગઠા ગોઠવી રહ્યા હતા તેમણે મન બનાવી લીધુ હતુ કે સંજયની જગ્યા તેમના મોટા પુત્ર રાજીવ લેશે. જો કે એ વાત અલગ છે કે એ સમયે રાજીવ ગાંધીને રાજનીતિ પસંદ ન હતી. તેઓ એક પાયલટની શાંતિપૂર્ણ જિંદગી જીવી રહ્યા હતા અને રાજકારણથી બહુ દૂર હતા. આ સમયે ઘરની અંદર જ એક યુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી. સોનિયા ગાંધી ધીમે-ધીમે ઈન્દિરાના અંગત જીવન અને ઘરના કામકાજમાં રસ લઈ રહ્યા હતા. જેનાથી તેઓ ઈંદિરા ગાંધીની નજીક આવી રહ્યા હતા. બીજી તરફ મેનકા ગાંધીને તરફ મહત્વપૂર્ણ નિર્ણયોથી દૂર રાખવામાં આવી રહ્યા હતા. તેમને લાગી રહ્યુ હતુ કે તેમને જાણીજોઈને સાઈડલાઈન કરાઈ રહ્યા છે.
બસ અહીંથી જ સફદરજંગ રોડ સ્થિત આવેલા પ્રધાનમંત્રીના નિવાસસ્થાનમાં કડવાશનો પાયો નખાયો. ધીમે ધીમે નાસ્તાના ટેબલ પર વાતચીત બંધ થવા લાગી અને ઘરની અંદર પણ જૂથવાદ દેખાવા લાગ્યો. આ સંબંધોની કડવાશ એક દિવસ ખુલ્લી બગાવતના સ્વરૂપે બહાર આવી, જ્યારે 1982માં લખનઉમાં સંજય વિચાર મંચની એક વિશાળ સભા બોલાવવામાં આવી, એ સમયે ઈંદિરા ગાંધી બ્રિટનના સત્તાવાર પ્રવાસે હતા.
બ્રિટન જતા પહેલા ઈંદિરા ગાંધીએ મેનકા ગાંધીને સ્પષ્ટ અને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે તે આ સભાનો ભાગ ન બને. ઈન્દિરાના ગુપ્તચર સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે આ સભા ખરેખર રાજીવ ગાંધીના વધતા રાજકીય કદ સામે સંજય ગાંધીના નિકટના જુના લોકોનું શક્તિ પ્રદર્શન છે. ઈંદિરા ગાંધી આ સભાને માત્ર અનુશાસનહીનતા જ નહીં પરંતુ પોતાની સત્તા અને પોતાના પસંદ કરેલા ઉતરાધિકારી રાજીવને અપાયેલ એક સીધો પડકાર માની રહ્યા હતા. તેમને લાગતુ હતુ કે મેનકા તેમના જ ઘરમાં રહીને તેમની વિરુદ્ધ મોરચો ખોલી રહ્યા છે. પરંતુ મેનકા ગાંધીએ તેમના સાસુ અને દેશના વડાપ્રધાનની સૂચનાને માનવાનો ઈનકાર કરી દીધો. તેમણે આને પોતાના અસ્તિત્વ અને સ્વાભિમાનની લડાઈ તરીકે જોયુ. આ જ કારણથી મેનકા લખનઉમાં બોલાવાયેલી સંજયના સાથીઓની સભામાં પહોંચ્યા અને ન માત્ર મંચ શેર કર્યો પરંતુ એક આક્રમક ભાષણ પણ આપ્યુ જેણે દિલ્હીની રાજનીતિમાં તોફાન લાવી દીધુ.
મેનકાએ પોતાને સંજય ગાંધીના ઉત્તરાધિકારી તરીકે પ્રોજેક્ટ કર્યા. સંજયના અધૂરા સપવાને પૂરા કરવાનો સંકલ્પ કર્યો. આ તરફ ઈંદિરા જ્યારે લંડનથી પરત ફર્યા, ત્યારે તેમની પાસે તે સભાની એક-એક મિનિટની રિપોર્ટ અને ભાષણની રેકોર્ડિંગ હતી. તેમના માટે આ બિલકુલ સામાન્ય ઘટના ન હતી. આ એક ખુલ્લંખુલ્લા રાજકીય બગાવત હતી. ઈંદિરા ખૂબ ગુસ્સામાં હતા, તેમણે નક્કી કર્યુ કે હવે સમાધાનની ફોર્મ્યુલા શક્ય નથી. હવે મેનકા સાથે એક છત નીચે રહેવુ તેમના માટે અશક્ય હતુ.
28 માર્ચ 1982ની એ તારીખ ભારતીય ઈતિહાસના પન્નાઓમાં અંકિત થવાની હતી. સફદરજંગ રોડ સ્થિત વડાપ્રધાન આવાસ પર તે દિવસે સૂરજ ભારે તણાવમય ઉગ્યો હતો. ઈંદિરા ગાંધીનો ગુસ્સાનો જ્વાળામુખી ફાટવાની તૈયારી જ હતી. સવારે જ સ્ટાફને નિર્દેશ આપ્યો કે મેનકા ગાંધીને બપોરના ભોજનમાં પરિવારના અન્ય સભ્યો સાથે બેસવા દેવામાં ન આવે. તેમને તેમના રૂમમાં જમવાનો આદેશ આપવામાં આવ્યો. આ કોઈપણ પુત્રવધુ માટે અપમાનજનક સંદેશ હતો. ઈન્દિરા ગાંધી તરફથી છેલ્લી ચેતવણી હતી કે મેનકાને પરિવારનો હિસ્સો માનવામાં નથી આવી રહ્યા. સાંજ થતા સુધીમાં આ તણાવ એક વિસ્ફોટમાં બદલાઈ ગયો. ઘરના શાંત કોરિડોરમાં ચીસો અને બૂમો સંભળાવા લાગી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર એ દિવસે ઈંદિરા ગાઁધી ગુસ્સામાં પોતાના રૂમમાંથી બહાર આવ્યા. તેમની આંખોમાં આક્રોશ હતો. મેનકા તરફ આંગળી ચીંધીને જોરથી કહ્યુ અત્યારે જ આ ઘર છોડી દે. તે મારી વાત ન માની, મારા જ ઘરમાં રહી મારી વિરુદ્ધ ષડયંત્ર રચ્યુ. મેનકા પણ બાંધછોડ કરવા નહોંતા માગતા. તેમણે કહ્યુ આ મારા પતિનું ઘર છે. તેને આ ઘરમાંથી કોઈ ન કાઢી શકે . ત્યારે ઈંદિરાએ કહ્યુ આ તારા પતિનું દેશના વડાપ્રધાનનું નિવાસસ્થાન છે તુ અત્યારે જ આ ઘરમાંથી નીકળી જા. આ શબ્દો ઈતિહાસમાં નોંધાઈ ગયા.
એ સમયે ત્યાં હાજર સહુ કોઈ અવાચક બનેલા હતા, કોઈએ ઈન્દિરાનું આ સ્વરૂપ ક્યારેય જોયુ ન હતુ. તે દિવસે તેઓ એક PM કરતા એક સાસુની જેમ વર્તી રહ્યા હતા. તેમની ધીરજનો અંત આવી ગયો હતો. જો કે અપમાન અને કડવાશનો સિલસિલો અહીં જ નહોંતો અટકવાનો, ઈન્દિરા ગાંધીને શક હતો કે મેનકા ગાંધી તેમની સાથે સંજય ગાંધીના કેટલાક અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજો, ગુપ્ત ફાઈલો કે પરિવાર સાથે જોડાયેલી કોઈ અંગત ડાયરીઓ લઈ જઈ રહ્યાં છે, જેનો ઉપયોગ પાછળથી તેમની વિરુદ્ધ રાજકીય હથિયાર તરીકે કરવામાં આવશે. આ શંકાના આધારે ઈન્દિરા ગાંધીએ એ આદેશ આપ્યો જેણે સૌને સ્તબ્ધ કરી દીધા.
ઈન્દિરાએ પોતાના અંગત સચિવ, સુરક્ષાકર્મીઓને નિર્દેશ આપ્યો કે ઘરમાંથી બહાર જતાં પહેલાં મેનકાની દરેક બેગ, સૂટકેસ અને અટેચીની બારીકાઈથી તલાશી લેવામાં આવે. એક વડાપ્રધાનના ઘરમાં તેમની પુત્રવધુના અંગત કપડાં-સામાનને નોકરો-સુરક્ષાકર્મીઓ દ્વારા જાહેરમાં તપાસવો, એ અપમાનની પરાકાષ્ઠા હતી.
તે સમયે ઘરની બહાર આંતરરાષ્ટ્રીય મીડિયાનો જમાવડો હતો, ડઝનેક કેમેરાની ફ્લેશ લાઈટો ઝબકી રહી હતી. મેનકાની બહેન અંબિકા પહોંચી હતી. તે ઘરની બહાર ઊભેલા પત્રકારોને ઘરની અંદર ચાલી રહેલા દરેક અપમાનજનક ઘટનાની જાણકારી લાઈવ કોમેન્ટ્રીની જેમ આપી રહી હતી. પોલીસની ગાડીઓ, સાયરન વચ્ચે, વિખરાયેલી સૂટકેસ તે ઘરના વિખરાયેલા સંબંધોની ગવાહી આપી રહ્યા હતા. જ્યારે સુરક્ષાકર્મીઓએ મેનકાના હાથમાંથી કેટલાક કાગળો છીનવવાનો પ્રયાસ કર્યો તો હોબાળો વધી ગયો. એ દૃશ્ય કોઈ રાજકીય બદલા કરતાં વ્યક્તિગત, દર્દનાક અને શરમજનક વધુ હતું.
નાના વરુણ ગાંધીને લઈને પણ ઈન્દિરા અને મેનકા વચ્ચે વિવાદ થયો. એ આખી રાતનું સૌથી વધુ દર્દનાક, હ્રદયદ્રાવક અને ભાવુક તસવીર હતી માત્ર 2 વર્ષના વરુણ ગાંધીની. જેને આ વિવાદોથી સાવ અજાણ ઊંઘમાં હતા. ઈન્દિરા ગાંધી પોતાના પૌત્ર વરુણને ખૂબ પ્રેમ કરતાં હતાં અને તેને ગુમાવવા નહોંતા માગતા. જ્યારે બધો સામાન પેક થઈ ગયો, મેનકા ઘરમાંથી બહાર નીકળી રહ્યાં હતાં, ત્યારે ઈન્દિરાએ છેલ્લું કડક વલણ અપનાવ્યું. કડક અવાજમાં કહ્યું, વરુણ અહીં જ રહેશે, ક્યાંય નહીં જાય. ઈન્દિરા ઇચ્છતાં હતાં કે ઓછામાં ઓછો પરિવારનો વારસદાર અને સંજયની છેલ્લી નિશાની તેમની પાસે રહે. તેઓ જાણતાં હતાં કે વરુણના જવાનો અર્થ છે, સંજય ગાંધીની શાખાને હંમેશ માટે ગુમાવી દેવી.
જો કે એ સમયે મેનકા ગાંધી ઈન્દિરાની સામે એક સિંહણની જેમ લડ્યા અને તેમણે સ્પષ્ટ કહ્યુ કે એક મા પાસેથી તેનુ બાળક દુનિયાની કોઈ તાકાત, ભલે તે દેશના પ્રધાનમંત્રી કેમ ન હોય…છીનવી ન શકે. આ સમયે તે તે તણાવગ્રસ્ત માહોલમાં ત્યાં હાજર કાનૂની સલાહકારોએ પણ હસ્તક્ષેપ કર્યો. અને ઈન્દિરા ગાંધીને સમજાવ્યું કે કાયદા મુજબ માતાનો હક સૌથી મજબૂત હોય છે. જો તેઓ બળજબરીથી રોકે છે તો અપહરણ જેવો કેસ બનશે, પ્રેસમાં છબી ખરાબ થશે.આખરે ખિન્ન મન અને આંખોમાં આંસુ અને ઊંડી નફરત વચ્ચે ઈન્દિરા ગાંધીને પીછેહઠ કરવી પડી.
રાત્રે લગભગ 11 વાગ્યે, જ્યારે દિલ્હીના રસ્તા સૂમસામ થઈ ગયા હતા, ત્યારે મેનકા ગાંધી એક હાથમાં પોતાનો બચેલો સામાન અને બીજા હાથમાં વરુણને લઈને તે આલીશાન બંગલામાંથી નીકળી ગયાં અને એક પરિવાર હંમેશને માટે વિખરાઈ ગયો. તે રાત્રે જે તિરાડ પડી, તેણે ભારતીય રાજકારણમાં એવા વિપક્ષ અવાજને જન્મ આપ્યો જેમણે આવનારા દાયકાઓ સુધી નહેરુ-ગાંધી પરિવારના પાયા હલાવીને રાખી દીધા. મેનકાએ એ રાતના અપમાનને પોતાની સૌથી મોટ તાકાત બનાવી. તેમણે રાષ્ટ્રીય સંજય મંચ નામથી પાર્ટી બનાવી, જે પછીથી ભાજપમાં જોડાઈને એક સફળ રાજકીય કારકિર્દી બનાવી. આજે પણ આ બંને પરિવારો વચ્ચે અદ્રશ્ય દીવાલ ઊભી છે. એ રાત્રે માત્ર પરિવારના ટૂકડા નહોંતા થયા પરંતુ એક જ લોહીના બે વારસદારોને એકબીજાના કટ્ટર રાજકીય વિરોધી બનાવી દીધા.