Farmer’s Protest : કેન્દ્ર સરકારના ત્રણ ખેડૂત કાયદાઓ (Farmer’s Law) ના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ હવે વડાપ્રધાન મોદી (PM MODI) ને પત્ર લખી વાતચીત આગળ વધારવાની માંગ કરી છે. આ સાથે જ આંદોલન કરી રહેલા ખેડૂતો ત્રણ ખેડૂત કાયદાઓ રદ્દ કરવાની માંગ સાથે પણ અડગ છે. પણ આ માટે અનેક વખત ચર્ચાઓ કરી ચુકેલી સરકાર હવે ખેડૂતો સાથે માત્ર વાતચીત કરવા તૈયાર નથી.
વાતચીત નહિ, તો શું છે સરકારની ઈચ્છા ?
કેન્દ્ર સરકારે ત્રણ ખેડૂત કાયદાઓ અંગે આંદોલનકારી ખેડૂતો અને સંયુક્ત કિસાન મોરચા સાથે અનેક વાર ચર્ચાઓ કરી છે. પણ ઘણી બધી વાર ચર્ચાઓ કરવા છતાં હજી સુધી કોઈ સમાધાન આવ્યું નથી. આ પાછળનું એક માત્ર કારણ છે કે ખેડૂતો ત્રણ ખેડૂત કાયદાઓ રદ્દ કરવાની માંગ સાથે અડગ છે અને સામે સરકાર કોઈ પણ ભોગે આ કાયદાઓ રદ્દ કરવા તૈયાર નથી. હવે જયારે ખેડૂતોએ સામેથી પત્ર લખી વાતચીત કરવા કહ્યું છે, પણ સરકાર માત્ર વાતચીત ઈચ્છતી નથી.
કેન્દ્ર સરકાર ખેડૂત આંદોલન (Farmer’s Protest) ના ખેડૂત નેતાઓ સાથે માત્ર વાતચીત કરવા તૈયાર નથી. સરકારનું માનવું છે કે સંગઠનના નેતાઓએ ખુલ્લા મન સાથે આવવું જોઈએ અને ત્રણ ખેડૂત કાયદાઓના અવરોધોને દૂર કરવા માટે યોગ્ય વિચાર કરવો જોઈએ. સરકાર કોઈપણ સમયે વાતચીત કરી શકે છે, પણ હવે સરકાર પણ ત્રણ ખેડૂત કાયદાઓ રદ્દ કર્યા વગર આ વિવાદનો સુખદ અંત લાવવા ઈચ્છી રહી હોય એવું લાગે છે.
26 નવેમ્બર 2020થી શરૂ છે ખેડૂત આંદોલન
કેન્દ્ર સરકારના ત્રણ ખેડૂત કાયદાઓ (Farmer’s Law) ના વિરોધમાં ખેડૂતોનું આંદોલન (Farmer’s Protest) 26 નવેમ્બર 2020થી શરૂ છે. આંદોલન અને દેખાવો વચ્ચે કેન્દ્ર સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે અત્યાર સુધીમાં લગભગ 12 વખત વાતચીત થઈ છે, પરંતુ હજી સુધી આ વાતચીત કોઈ નિર્ણય સુધી પહોચી નથી. એક તરફ ખેડૂતો ત્રણેય કાયદાઓ રદ્દ કરવાની માંગ અંગે મક્કમ છે, જ્યારે કેન્દ્ર સરકાર દર વખતે ખેડૂતોએ ઉઠાવેલા વાંધાના મુદ્દાઓ અંગે ખેડૂતો પાસેથી માહિતી માંગી રહી છે અને સ્પષ્ટીકરણ કરી રહી છે.
આ પણ વાંચો : કોરોનાથી સાજા થયા બાદ કેટલા અઠવાડિયા સુધી રહે છે Black Fungus થવાનું જોખમ ? AIIMS ના ડોક્ટરે આપ્યો જવાબ