જમ્મુ-કાશ્મીરમાં (Jammu Kashmir) પોલીસ મહાનિર્દેશક (જેલ) હેમંત કુમાર લોહિયાની (Hemant Kumar Lohia) હત્યાથી ખળભળાટ મચી ગયો છે. સોમવારે રાત્રે તેની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના પાછળ તેમના જ નોકરનો હાથ હોવાનું કહેવાય છે. કારણ કે આ ઘટના બાદથી તે ફરાર છે અને તેના વિશે ક્યાંય પણ કંઈ જાણવા મળતું નથી. જમ્મુમાં મોડી રાત્રે આ ઘટના સામે આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. હેમંત કુમાર લોહિયાનો મૃતદેહ ઘરમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ડીજીપીના ( DGP Jails) શરીરમાંથી આંતરડા બહાર નીકળેલા મળી આવ્યા હતા. હત્યારાએ સોસની કાચની બોટલ વડે તેના પેટ અને હાથ પર અનેક ઘા કર્યા હતા. તેણે કાચની બોટલ વડે લોહીયાનું ગળું પણ ચીરી નાખ્યું હતું. તેમજ કેરોસીન છાંટીને શરીરને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ડીજીપીને માથા પર ગાદલા અને કપડા મુકીને આગ લગાડવાના પ્રયાસો પણ કરવામાં આવ્યો હતો. લોહિયાના મોતની ઘટનાની પ્રારંભિક તપાસમાં એ વાત સામે આવી છે કે રામબનમાં રહેતો તેનો નોકર યાસિર અહેમદે આ સમગ્ર ઘટનાનું ષડયંત્ર રચ્યું હતું.
ડીજીપી લોહિયા નવરાત્રીના સંબંધમાં શ્રીનગરથી જમ્મુ આવ્યા હતા. તેમના ઘરે રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું. જેના કારણે તેમનો આખો પરિવાર રાજીવ ખજુરિયાના ઘરે રોકાયો હતો. રાત્રે આખો પરિવાર જમતો હતો. આ દરમિયાન હેમંત કુમાર અને તેનો નોકર યાસિર ગ્રાઉન્ડ ફ્લોર પર એક બેડરૂમમાં ગયા હતા. હેમંત ઘણીવાર રાત્રે ડીજીપી લોહિયાના પગમાં તેલ લગાવતો હતો. ડીજીપી લોહિયાના પગમાં તેલ લગાવવા યાસિર લોહીયાના બેડરૂમમાં ગયો હતો. યાસિરે પહેલા બેડરૂમનો દરવાજો બંધ કર્યો અને પછી હત્યાની ઘટનાને અંજામ આપ્યો. લોહિયાની હત્યા કર્યા બાદ યાસિર બેડરૂમના બીજા દરવાજેથી ભાગી ગયો હતો.
સ્થળ પરથી મળી આવેલા કેટલાક સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ આરોપી ડીજીપીની હત્યા કર્યા બાદ ભાગતો જોઈ શકાય છે. આરોપી યાસિર લગભગ 6 મહિનાથી લોહિયાના ઘરમાં નોકર તરીકે કામ કરતો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું વર્તન ખૂબ જ આક્રમક હતું. પોલીસે આરોપીની તસવીર સાથે પોસ્ટર લગાવ્યા છે અને કેટલાક નંબર શેર કર્યા છે. જેના દ્વારા લોકો યાસિરની હાજરી સાથે જોડાયેલી માહિતી આપી શકે છે. પોલીસે તે હથિયાર પણ કબજે કર્યું છે. જેના દ્વારા આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ ઘટના સાથે આતંકવાદી જોડાણ હોવાના હાલ કોઈ પુરાવા નથી. જો કે હજુ પણ આ દિશામાં ઝીણવટભરી તપાસ ચાલી રહી છે.