મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગયા મહિને ધરપકડ કરાયેલા દિલ્હીના આરોગ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનને (Satyendar Jain) મોટો આંચકો લાગ્યો છે. સ્પેશિયલ CBI કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં AAP નેતા સત્યેન્દ્ર જૈનની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. જૈનની 30 મેના રોજ ED દ્વારા મની લોન્ડરિંગ એક્ટની કલમો હેઠળના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. જૈનની ધરપકડ થયા બાદ તેમના માટે જવાબદાર તમામ વિભાગો દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સોંપવામાં આવ્યા હતા.
અગાઉ, અદાલતે સત્યેન્દ્ર જૈનની ન્યાયિક કસ્ટડી લંબાવવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે તેઓ હોસ્પિટલમાં દાખલ હોવાને કારણે તેમને ન તો કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા કે ન તો કાયદેસર રીતે રજૂ કરવામાં આવ્યા હતા. આ પછી EDએ તેને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજૂ કર્યો હતો.
Special CBI court refuses to extend the judicial custody of Delhi Health Minister Satyendar Jain in alleged money laundering case as neither he was produced nor legally represented by a lawyer before the Court as he is hospitalised. Court asked ED to produce him through VC. pic.twitter.com/pfOySntFiD
— ANI (@ANI) June 27, 2022
સત્યેન્દ્ર જૈનનું ઓક્સિજનનું સ્તર ઘટી જતાં 20 જૂને LNJP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક વરિષ્ઠ જેલ અધિકારીએ જણાવ્યું હતું કે તેનું ઓક્સિજનનું સ્તર નીચે ગયું હતું અને તેની ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રાફી (ECG) માં કેટલાક ફેરફારો નોંધાયા હતા, ત્યારબાદ તેને હૃદયની તપાસ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.
જણાવી દઈએ કે 18 જૂને સત્યેન્દ્ર જૈનને આંચકો આપતા કોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી હતી. વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલે જૈનને રાહત આપવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે તેની તબીબી સ્થિતિ દર્શાવતા દસ્તાવેજોની ગેરહાજરીમાં, આરોપીને માત્ર એ આધાર પર જામીન પર છોડી શકાય નહીં કે તે સ્લીપ એપનિયાથી પીડિત છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે જો જામીન આપવામાં આવે તો જૈન ઉચ્ચ હોદ્દા પર હોવાથી પુરાવા સાથે ચેડાં કરે તેવી શક્યતા છે.