Delhi : કેજરીવાલ સરકારની મોટી જાહેરાત, દિલ્હીના તમામ વડીલોને મફત અયોધ્યા યાત્રા કરાવશે સરકાર

દિલ્હીના CM કેજરીવાલે કહ્યું કે, "અમારી સરકારે અયોધ્યાને મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનામાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અયોધ્યા યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને પહેલી ટ્રેન 3 ડિસેમ્બરના રોજ રવાના થશે."

Delhi : કેજરીવાલ સરકારની મોટી જાહેરાત, દિલ્હીના તમામ વડીલોને મફત અયોધ્યા યાત્રા કરાવશે સરકાર
Arvind Kejriwal
| Edited By: | Updated on: Nov 24, 2021 | 3:56 PM

Delhi : દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal)  કહ્યું કે, તીર્થયાત્રા યોજના હેઠળ દિલ્હીના વડીલોને મફત અયોધ્યા યાત્રાની (Ayodhya yatra) જાહેરાત કરવામાં આવી હતી, જે યાત્રાની પહેલી ટ્રેન 3 ડિસેમ્બરે રવાના થશે. વધુમાં કેજરીવાલે કહ્યું કે આ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે. હિંદુ, મુસ્લિમ, શીખ અને હવે ખ્રિસ્તીઓના તીર્થસ્થાનોની પણ સરકાર યાત્રા કરાવશે.

કેજરીવાલ સરકાર કરાવશે રામ લલ્લાના દર્શન 

કેજરીવાલે કહ્યું કે, અયોધ્યામાં રામ લલ્લાના દર્શન કર્યા પછી મને લાગ્યું કે દિલ્હીના વડીલો માટે પણ રામ મંદિરના દર્શનની વ્યવસ્થા થવી જોઈએ. તાજેતરમાં જ મેં અયોધ્યા યાત્રાને મુખ્યમંત્રી તીર્થયાત્રા યોજનામાં (Mukhymantri Tirth Yatra yojna) સામેલ કરવાની જાહેરાત કરી હતી. આજે મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અયોધ્યા માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે અને પહેલી ટ્રેન 3 ડિસેમ્બરના રોજ રવાના થશે. તમને જણાવી દઈએ કે, આ યાત્રા માટે દિલ્હી સરકારના પોર્ટલ પરથી તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

કેજરીવાલે કહ્યું કે, આ યાત્રા વૃદ્ધો માટે બિલકુલ ફ્રી છે અને એક અટેડેંટને પણ વૃદ્ધ વ્યક્તિ સાથે યાત્રામાં જવાની છૂટ આપવામાં આવી છે. તેમણે વધુમાં કહ્યું કે અમે શ્રેષ્ઠ હોટલ અને એસી ટ્રેનની વ્યવસ્થા કરી છે જેથી દિલ્હીના વડીલોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. જો રજિસ્ટ્રેશન વધારે થઈ જશે તો શું થશે ? તેની ચિંતા કરવાની કોઈએ જરૂર નથી. અમે બીજી અને ત્રીજી ટ્રેનની વ્યવસ્થા કરીશું અને દરેકને રામ લલ્લાના દર્શન કરાવીશું.

ખ્રિસ્તી ધર્મસ્થળનો પણ યાત્રામાં સમાવેશ

કેજરીવાલે વધુમાં કહ્યું કે ખ્રિસ્તી સમાજના લોકોની ફરિયાદ છે કે આ યોજનામાં તેમના કોઈ ધાર્મિક સ્થળનો સમાવેશ કરવામાં આવ્યો નથી. જેને ધ્યાનમાં રાખીને, વેલંકન્ની ચર્ચની મુલાકાતને આ યાત્રામાં સામેલ કરવામાં આવશે. તેનું રજીસ્ટ્રેશન ક્યારે શરૂ થશે તે અંગે તમને જાણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,આ યોજના હેઠળ અત્યાર સુધીમાં દિલ્હીના 36000 થી વધુ વૃદ્ધોએ તીર્થયાત્રા કરી છે.

 

આ પણ વાંચો: ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીના કાર્યકરોનો અસામાજીક ચેહેરો ચમક્યો, પોલીસ કર્મીને ધમકી આપતો વિડિયો વાયરલ, ‘તમે ઝંડા ખેંચશો તો અમે તમારા બિલ્લા ખેંચીશુ’

આ પણ વાંચો: શું મહારાષ્ટ્રમાં શિવસેના 25 વર્ષ સુધી શાસન કરશે ? શિવસેના સાંસદ સંજય રાઉતનો મોટો દાવો

Published On - 3:51 pm, Wed, 24 November 21