DELHI : સંરક્ષણમંત્રી રાજનાથસિંહે 04 ઓક્ટોબર 2021ના રોજ નવી દિલ્હી ખાતે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ની ‘ડેર ટુ ડ્રીમ 2.0’ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર એનાયત કરીને તેમનું સન્માન કર્યું હતું. સંરક્ષણમંત્રીએ 40 વિજેતાઓને પુરસ્કાર એનાયત કર્યા હતા જેમાં 22 વ્યક્તિગત શ્રેણી અને 18 સ્ટાર્ટઅપ શ્રેણીનો સમાવેશ થાય છે. આવિષ્કાર કરનારાઓ અને સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહન આપવા માટે તેમજ દેશમાં ઉત્સાહી યુવાનોને પ્લેટફોર્મ પ્રદાન કરવા માટે તેમણે આ પ્રસંગે ‘ડેર ટુ ડ્રીમ 3.0’નો પ્રારંભ પણ કર્યો હતો.
ડેર ટુ ડ્રીમ DRDOની દેશવ્યાપી સ્પર્ધા છે જે ભારતીય શિક્ષણવિદો, વ્યક્તિગત લોકો અને સ્ટાર્ટઅપ્સને ઉભરતી સંરક્ષણ અને એરોસ્પેસ ટેકનોલોજીઓ/પ્રણાલીઓ વિકસાવવા માટે તેમને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી યોજવામાં આવે છે. DRDO ટેકનોલોજી વિકાસ ભંડોળ (TDF) યોજના હેઠળ વિજેતાઓના વિચારોને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે તેમને ટેકનિકલ અને નાણાકીય સહાય પૂરી પાડે છે.
શ્રી રાજનાથસિંહે આ પ્રસંગે વર્ષ 2019 માટેના DRDO યુવા વૈજ્ઞાનિક પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. 35 વર્ષથી ઓછી ઉંમરના 16 DRDO વૈજ્ઞાનિકોએ પોતાના ક્ષેત્રમાં આપેલા અદભૂત યોગદાન અને તેમની તજજ્ઞતા બદલ આ પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
‘ડેર ટુ ડ્રીમ’ અને ‘DRDO યુવા વૈજ્ઞાનિકો’ના વિજેતાઓને અભિનંદન પાઠવતા શ્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે, તેઓ કંઇક નવું કરવા માંગતા દેશના યુવાનોની ઉર્જા, ઉત્સાહ અને કટિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આવિષ્કાર, ડિઝાઇન અને વિકાસના ક્ષેત્રના વિજેતાઓ યુવા માનસો પ્રેરણા આપશે અને ભવિષ્યમાં નવતર આવિષ્કારો કરશે. તેમણે કહ્યું હતું કે, ‘ડેર ટુ ડ્રીમ’ પડકાર સરકારની દૂરંદેશી અને મિશન રજૂ કરે છે અને DRDO ના આદેશને પણ રજૂ કરે છે.
સંરક્ષણમંત્રીએ મજબૂત અને આત્મનિર્ભર ‘નવા ભારત’નું નિર્માણ કરવાના સરકારના સંકલ્પનો પુનરુચ્ચાર કર્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે, આ સંકલ્પ માત્ર સહિયારા પ્રયાસો દ્વારા જ પ્રાપ્ત કરી શકાય. તેમણે કોઇપણ વ્યક્તિ, સમાજ અને દેશને સફળતા પ્રાપ્ત કરવા માટે માત્ર ‘ઇચ્છા’ નહીં પરંતુ ‘પ્રયાસ’ મહત્વના હોવાનું કહ્યું હતું. ભારત અનુભવ, સંસ્કૃતિ મામલે સૌથી વધારે જૂના દેશોમાંથી એક છે અને લગભગ 60 ટકા યુવાનોની વસ્તી સાથે સૌથી યુવાન પણ છે તેમ કહીને સંરક્ષણમંત્રીએ યુવાનોને અવલોકન કરવા, શીખવા અને નવા આવિષ્કારોનું સર્જન કરવા તેમજ દેશને નવા શિખરો સુધી લઇ જવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
Felicitated the DRDO Dare to Dream 2.0 award winners and the Young Scientists a function in New Delhi today. There is a great need for R&D in futuristic defence technologies. Our aim is to equip our forces with latest machinery to deal with any challenge. https://t.co/2bODoqe4uu pic.twitter.com/2usSPZwEZm
— Rajnath Singh (@rajnathsingh) October 4, 2021
રાજનાથસિંહે સંરક્ષણ વિનિર્માણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સરકારના પ્રયાસોમાં કેન્દ્રીય ભૂમિકા નિભાવવા બદલ અને ઝડપથી બદલાઇ રહેલી ભૂ-રાજકીય સ્થિતિમાં પણ સશસ્ત્ર દલોની ક્ષમતા અને સામર્થ્યમાં વધારો કરવામાં અત્યંત સારું યોગદાન આપવા બદલ DRDOની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તાજેતરના કોન્ટ્રાક્ટ અને લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA), Mk-1A, મુખ્ય યુદ્ધ ટેન્ક અર્જૂન Mk-1A અને મધ્યમ રેન્જની જમીનથી હવામાં નિશાન સાધી શકતી મિસાઇલ પ્રણાલીનો સમાવેશ નોંધનીય યોગદાન છે.
આ પ્રસંગે DRDO દ્વારા સ્વદેશમાં વિકસાવવામાં ત્રણ ઉત્પાદનો/પ્રણાલીઓ સશસ્ત્ર દળોને સોંપવામાં આવ્યા હતા જેમાં સામેલ છે:
ARINC818 વીડિયો પ્રોસેસિંગ અને સ્વિચિંગ મોડ્યૂલ : આ મોડ્યૂલ ભારતીય વાયુસેના માટે વિકસાવવામાં આવ્યું છે જે વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ એર માર્શલ સંદીપસિંહને સોંપવામાં આવ્યું હતું. તે અત્યાધુનિક મોડ્યૂલ છે જેમાં ઉચ્ચ બેન્ડવિથ, ઓછો વિલંબ, ચેનલ બોન્ડિંગ, સરળ નેટવર્કિંગ છે અને તેનાથી 5મી પેઢીના એરક્રાફ્ટ વિકાસના કાર્યક્રમો હાથ ધરી શકાશે.
સોનાર પરફોર્મન્સ મોડેલિંગ પ્રણાલી : ભારતીય નૌસેના માટે વિકસાવવામાં આવેલી આ પ્રણાલી વાઇસ ચીફ ઓફ નેવલ સ્ટાફ વાઇસ એડમિરલ સતિષ નામદેવ ઘોરમાડેને સોંપવામાં આવી હતી. તે ભારતીય નૌસેનાના જહાજો, સબમરીનો અને પાણીની અંદર દેખરેખના સ્ટેશનો વગેરે માટે ઉપયોગી છે.
બન્ડ બ્લાસ્ટિંગ ઉપકરણ Mk-II: આ ઉપકરણ ભારતીય સૈન્ય માટે વિકસાવવામાં આવ્યું છે જેને વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટેનન્ટ જનરલ સી.પી. મોહંતેને સોંપવામાં આવ્યું હતું. તેનો ઉપયોગ ડીચ-કમ-બન્ડ અવરોધોની ઊંચાઇ ઓછી કરવા માટે થાય છે જેથી યુદ્ધના સમય દરમિયાન યાંત્રિક પાયદળના પરિવહનમાં વધારો કરી શકાય.
સાઇબર સુરક્ષામાં નિર્દેશિત સંશોધન હાથ ધરવા માટે ગુજરાત યુનિવર્સિટી ખાતે અદ્યતન ટેકનોલોજી કેન્દ્ર ‘સરદાર વલ્લભભાઇ પટેલ સેન્ટર ફોર સાઇબર સિક્યુરિટી રિસર્ચ’ની સ્થાપના કરવા માટે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. એચ.એ. પંડ્યા અને સંરક્ષણ વિભાગ સંશોધન અને વિકાસના સચિવ અને DRDOના ચેરમેન ડૉ. જી. સતીષ રેડ્ડી વચ્ચે પણ આ દરમિયાન સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
Published On - 7:53 pm, Mon, 4 October 21