
એક જ હિમાલય, એક જ આપદા, એક જ પૂર પરંતુ તસવીરો જૂદી-જુદી કેમ સામે આવી રહી છે? યસ આ સવાલ એટલા માટે કારણ કે નેપાળની તબાહીની તસવીરો તો દુનિયા સમક્ષ આવી પરંતુ બોર્ડરની આ બાજુ તિબેટ બોર્ડર પર ભયાનક પૂરે જે તારાજી સર્જી છે તેની તસવીરો ચીન કેમ છુપાવી રહ્યુ છે? ત્યાં વિનાશની તસવીરોને બદલે ચીન રિકન્સ્ટ્રક્શનની તસવીરો લગાતાર દુનિયા સમક્ષ લાવી રહ્યુ છે. તો સવાલ એ છે કે ગ્લેશિયર તૂટવાને કારણે તિબેટમાં પણ મોટાપાયે વિનાશ સર્જાયો છે. ગામોના ગામ તણાઈ ગયા છે. અનેક પૂલ ધ્વસ્ત થઈ ગયા છે. સેંકડો લોકો લાપતા છે. તો ચીન એ એ વિનાશની તસવીરો કેમ છુપાવી રહ્યુ છે?
ચીનની એજન્સીએ તિબેટમાં વિનાશને વરેલા વિસ્તારોના વીડિયો જારી કર્યા છે. પરંતુ એ વીડિયો કેવા? જ્યાં ધસમસમતી નદી વચ્ચે ભારે ભરખમ મશીનો કામ પર લાગેલા છે… જે માર્ગો તૂટી ગયા છે, તેની બાજુમાં પહાડને કાપીને નવો રસ્તો તૈયાર કરવામાં આવી રહ્યો છે. નેપાળ સીમા પાસે યોરોંગ પોર્ટ સુધીમાં નવો રોડ એક સપ્તાહની અંદર તૈયાર કરી નાખ્યો. નેશનલ હાઈવે G-216 ને ફરી વાહન-વ્યવહાર માટે ખોલી દેવામાં આવ્યો છે. યોરોંગ પોર્ટ પર ભેખડોના કાટમાળને હટાવીને સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે.
ચીન-નેપાળ બોર્ડર પર આવેલુ આ એ જ યોરોંગ પોર્ટ છે જ્યાં અચાનક આવેલા પૂરે ચીનના ઈમિગ્રેશન સેન્ટરને તબાહ કરી દીધુ , નામોનિશાન મિટાવી દીધુ હતુ. અહીં ચીન કાટમાળમાં કંઈક શોધી રહ્યુ છે. ચીન તરફથી જે વીડિયો સામે આવ્યા છે, તેમાં વિનાશની તસવીરો કરતા વધુ ફોકસ વિનાશ બાદ ચીન કઈ રીતે પરિસ્થિતિ સંભાળી રહ્યુ છે. કાટમાળને હટાવી રસ્તા ખૂલ્લા કરાઈ રહ્યા છે. તૂટેલા માર્ગોને ફરી અદ્યતન મશીનરી દ્વારા નવા બનાવવામાં આવી રહ્યા છે આ તમામ કામગીરી બતાવીને ચીન ખુદ કેટલુ કેપેબલ છે એ જ પ્રકારનું નેરેટિવ દુનિયા સમક્ષ લાવી રહ્યુ છે.
સૌથી મોટો સવાલ એ પણ છે કે તિબેટ સાઈડ આવેલી આપદામાં કેટલો વિનાશ સર્જાયો? કેટલા ઘરો તણાઈ ગયા, કેટલા લોકો પ્રભાવિત થયા? કેટલા વિસ્તારો પહાડોના કાટમાળમાં ફેરવાઈ ગયા અને સૌથી મોટો સવાલ એ છે કે તિબેટમાં આ આપદાની સંપૂર્ણ તસવીર દુનિયા સમક્ષ કેમ નથી આવી રહી? આપદા તો નેપાળ- તિબેટ બોર્ડર સાઈડ થી પ્રચંડ પ્રવાહના વેગ સાથે નેપાળની ઘાટીઓમાં પહોંચી હતી અને રસ્તામાં આવતા આખેઆખા એક વિશાળ હિસ્સાને તહસનહસ કરી નાખ્યો. તિબેટના વિસ્તારમાં ગ્લેસિયરની તૂટવાથી તેનો કાટમાળ યોરોંગ પોર્ટ સુધી પહોંચે તેની વચ્ચે એક બહુ મોટો વિસ્તાર આવેલો છે. આ વિસ્તાર ચીનના નિયંત્રણવાળા તિબેટમાં પડે છે. એટલે કે ત્યાં પણ ગામો, કસ્બા તો હશે અને માનવવસ્તી પણ હોવાની જ છે. તો નુકસાની ત્યાં પણ ઓછી તો નહીં જ હોય.
ન્યૂઝ એજન્સી રોઈટર્સના હવાલાથી ચીનથી જે માહિતી પ્રાપ્ત થઈ છે, તે અનુસાર અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે અને 546 લોકો લાપતા છે. જેમા 104 ભારતીયો, 49 નેપાળી નાગરિક અને 33 અન્ય દેશોના નાગરિકો સામેલ છે. ચીન ખુદ માની રહ્યુ છે કે સેંકડો લોકો હજુ પણ કાટમાળમાં ગુમ છે. તો સવાલ અહીં પણ એ જ સામે આવે છે કે જ્યારે સેંકડો લોકો લાપતા છે તો દુનિયા સમક્ષ તેની સંપૂર્ણ તસવીરો કેમ નથી લવાઈ રહી? બ્રિટનના અખબાર ધ ગાર્ડિયનમાં છપાયેલી એક ખબર અનુસાર તિબેટી સંગઠનોના હવાલાથી કહેવાયુ છે કે પૂર થી પ્રભાવિત લોકોનો આંકડો ચીની અધિકારીઓ દ્વારા જણાવાયેલા આંકડાથી ક્યાંય વધુ છે.
નેપાળમાંથી વિનાશની જે તસવીરો સામે આવી છે તેનાથી અંદાજો લગાવી શકાય છે કે તિબેટમાં શું છુપાવવામાં આવી રહ્યુ છે? આજ રિપોર્ટ અનુસાર આપદા સાથે જોડાયેલી જાણકારી શેર કરવાના આરોપમાં તિબેટમાં 10 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આનાથી તિબેટી સંગઠનો આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે ચીન તેના હિસ્સામાં આવેલા વિનાશને છુપાવી રહ્યુ છે. ચીન રેસ્ક્યુ અને રિક્રન્સ્ટ્રક્શનની તસવીરો દુનિયાને બતાવી રહ્યુ છે પરંતુ વિનાશની પુરેપુરી તસવીરો નથી બતાવી રહ્યુ ? યોરોંગ પોર્ટ સુધી તાત્કાલિક એક માર્ગ ઉભો કરી દઈને ચીને એક નેરેટિવ સેટ કરવાનો પ્રયાસ કર્યો.
આ સવાલોના જવાબો ચીન દુનિયા સમક્ષ લાવવા નથી માગતુ. નેપાળ- તિબેટ બોર્ડર નજીકથી ભારતીય મીડિયાના માધ્યમથી જે એરિયલ વ્યુ સામે આવી રહ્યા છે. તે અત્યંત ભયાવહ છે. ત્રિશુળી નદીની આસપાસનો વિસ્તાર સંપૂર્ણપણે પૂરની ઝપેટમાં આવવાથી ધોવાઈ ગયો છે. ધ્વસ્ત થઈ ગયો છે. ત્યાં કંઈ જ બચ્યુ નથી. ગામોના ગામો ધોવાઈ ગયા છે. અહીં એક સમયે બજારો ભરાતી હતી. એ તમામ રહેણાંક વિસ્તારો નેસ્તનાબૂદ થઈ ગયા છે. હાલ અહીં રાહત સામગ્રી પહોંચાડવી પણ અત્યંત કઠિન છે. બંને તરફ નદી વહી રહી છે. પહેલા જે વિસ્તારોમાં નદી નહોંતી ત્યાં પણ નદીના પાણી પહોંચી રહ્યા છે અને ધમસમતો પ્રવાહ વહી રહ્યો છે. ઈમારતો સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગઈ છે. બીજી તરફ નદીનું જળસ્તર આટલા દિવસો બાદ પણ ઘટ્યુ નથી. જાણે નદીએ તેનું સ્થાન બનાવી લીધુ હોય તેમ વહી રહી છે.
હાલ ભારતીય મીડિયાના કેમેરા ત્યા ગ્રાઉન્ડ ઝીરો પર જઈને જે તસવીરો બતાવી રહ્યા છે તે ચીનના સરકારી કેમેરા નથી બતાવી રહ્યા. નેપાળ તરફની બાજુની તબાહીની તસવીરો સહુ કોઈએ જોઈ છે. ત્યારે તિબેટ તો આ આપદાનું એપીસેન્ટર હતુ તો વિચારો ત્યાં નુકસાનીનો આલમ શું હશે? તેનો અંદાજ પણ ન લગાવી શકાય. આપદા પહેલાનો વિસ્તાર અને આ હોનારત બાદનો વિસ્તાર સડક, પૂલ, ઈમારતો અને નદીનો બદલાયેલો રસ્તો સહિતની વિગતો સ્પષ્ટપણે જણાવી રહી છે કે આ વિનાશ કેટલો વ્યાપક રહ્યો હશે.
જો કે તિબેટની બર્બાદી, વિનાશની સંપૂર્ણ હકીકત હજુ પણ અધૂરી છે, દબાયેલી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે શું ચીન માત્ર આપદા સામે લડી રહ્યુ છે કે તબાહીની તસવીરો સાથે પણ લડી રહ્યુ છે. કોઈપણ આપદામાં કાટમાળને છુપાવી ન શકાય. ઉજડેલા પૂલો, તૂટેલા રસ્તાઓ, સેટેલાઈટ થી બદલાયેલી ભૂગોળ સહિતની વસ્તુઓ છુપાવવી મુશ્કેલ છે. તો ચીન શા માટે સત્ય છુપાવી રહ્યુ છે? એવુ લાગી રહ્યુ છે કે ચીન દુનિયાને તેની અદ્યતન મશીનરી, ઝડપી રેસ્ક્યુ, હાઈવે અને પુન:નિર્માણ દ્વારા તેની તાકાત બતાવી રહ્યુ છે પરંતુ દુનિયા પણ એજ પૂછી રહી છે કે વિનાશ કેટલો થયો?
હાલ મુદ્દો ચીનની કાર્યક્ષમતાનો બિલકુલ નથી પરંતુ તેની પારદર્શિતાનો છે. ચીન સામે સૌથી મોટો સવાલ એ પણ છે કે જો છુપાવવા જેવુ કંઈ નથી તો કેમેરાને રોકવામાં કેમ આવી રહ્યા છે, જ્યારે આપદા આટલી મોટી હોય, સેંકડો લોકો લાપતા હોય, જ્યારે આખેઆખો એક બોર્ડર કોરિડોર નેસ્તનાબૂદ થઈ જાય ત્યારે દુનિયા સમક્ષ વિનાશની અસલી તસવીરો પણ આવવી જરૂરી છે. ચીને કેટલી કહાનીઓને ચૂપ કરી દીધી, કેટલી જિંદગીઓ ઉજડી ગઈ, કેટલો વિનાશ વેરાયો એ સત્ય પણ દુનિયા મે આવવુ એટલુ જ જરૂરી છે. આપદાના વિનાશની તસવીરો પર ઢાંકપિછોડો કરીને ચીન રિયલ પિક્ચરને લાંબા સમય સુધી છુપાવી શકશે ખરુ?