Chhattisgarh : છત્તીસગઢના બીજપુરમાં નક્સલવાદી હુમલામાં અપહરણ કરાયેલા CRPFના કોબ્રા કમાન્ડો રાકેશ્વરસિંહ ( CRPF Cobra Commando Rakeshwar Singh ) ને નક્સલવાદીઓએ છોડી દીધો છે. પતિની મુક્તિ પર રાકેશ્વરસિંહની પત્નીએ સરકારનો આભાર માન્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે રાકેશ્વર સિંહ જંગલમાંથી પાછા આવી રહ્યા છે.
છત્તીસગઢ સરકારની મધ્યસ્થતાની જાહેરાત બાદ મુક્ત કરાયો
છત્તીસગઢમાં નક્સલવાદી હુમલા દરમિયાન નક્સલવાદીઓ દ્વારા પકડાયેલા CRPFના કોબ્રા કમાન્ડો રાકેશ્વરસિંહ ( CRPF Cobra Commando Rakeshwar Singh ) ને મુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ નક્સલવાદીઓ દ્વારા બે પાનાનું નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું કે CRPFના કોબ્રા કમાન્ડો રાકેશ્વરસિંહને મન્હાસ તેમના કબજામાં છે. પ્રતિબંધિત કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માઓવાદી) એ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે ગુમ થયેલ જવાન 3 એપ્રિલના રોજ થયેલ એન્કાઉન્ટર બાદથી તેમના કબજામાં છે. નક્સલવાદીઓએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મંત્રણા માટે મધ્યસ્થીની જાહેરાત કરશે પછી જ CRPFના કોબ્રા કમાન્ડો રાકેશ્વરસિંહને મુક્ત કરવામાં આવશે.
રાકેશ્વરસિંહના પરિવારે વડાપ્રધાન મોદી પાસે માંગી હતી મદદ
છત્તીસગઢના બીજપુરમાં નક્સલવાદી હુમલા બાદ જ્યારથી CRPFના કોબ્રા કમાન્ડો રાકેશ્વરસિંહ અપહરણના સમાચાર સામે આવ્યાં ત્યારથી જમ્મુમાં તેના પરિવારના સભ્યો ચિંતામાં ઘેરાયા હતા. રાકેશ્વરસિંગને નક્સલીઓ પાસેથી મુક્ત કરાવવા માટે રાકેશ્વરસિંહના પરિવારે વડાપ્રધાન મોદી પાસે મદદ માંગી હતી. બુધવારે રાકેશ્વરસિંહને નક્સલવાદીઓના કબ્જામાંથી મુક્ત કરવા માટે પંગાલી, ભોરપુર, દાનપુર, મટ્ટુ, ચક મલાલ સહિતના અનેક ગામોના લોકોએ દેખાવો કર્યા હતા. આ દરમિયાન ગામના મટ્ટુ પુલી નજીક અખનૂર-પાલનવાલા મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.
નક્સલવાદીઓએ એક પત્રકાર દ્વારા દાવો કર્યો હતો
સોમવારે સુકમાના એક પત્રકારે દાવો કર્યો હતો કે રાકેશ્વરસિંહ ( CRPF Cobra Commando Rakeshwar Singh ) નક્સલવાદીઓના કબજામાં છે. નક્સલવાદી સંગઠન PLGA એ સુરક્ષાદળો સાથેના એન્કાઉન્ટર દરમિયાન 14 હથિયારો, 2,000 થી વધુ કારતૂસ અને અન્ય ઘણી સહાયક સામગ્રી તેમના કબ્જામાં હોવાનો દાવો પણ કર્યો હતો અને તે શસ્ત્રો અને કારતૂસનાં ફોટોગ્રાફ્સ પણ બહાર પાડ્યાં હતાં.
3 એપ્રિલે થયેલા હુમલામાં 22 જવાન શહીદ
3 એપ્રિલે છત્તીસગઢના બીજપુરમાં CRPFના જવાનો પર નક્સલવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને તે હુમલામાં CRPFના 22 જવાન શહીદ થયા હતા. નક્સલવાદી સૈનિકોના ઘણા શસ્ત્રો પણ લઈ ગયા હતા. આ હુમલા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છત્તીસગઢની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન શાહે બસ્તરમાં શહીદ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી અને રાયપુરની હોસ્પિટલોમાં દાખલ ઈજાગ્રસ્ત જવાનોને પણ મળ્યા હતા. તેમણે કહ્યું હતું કે નક્સલવાદ સામેની લડત ચાલુ રાખવામાં આવશે.