
કર્મચારીઓને મોટી રાહત આપતા પગલા રૂપે, કેન્દ્ર સરકારે PF કવરેજ માટે માસિક પગારની મર્યાદા રૂપિયા 15,000 થી વધારીને રૂપિયા 25,000 કરવાની મંજૂરી આપી છે. આનાથી મોટી સંખ્યામાં કર્મચારીઓ PF અને સામાજિક સુરક્ષાના દાયરામાં આવશે. PF કવરેજની મર્યાદા વધારવાનો અર્થ એ છે કે હવે રૂપિયા 25,000 સુધીનો મૂળભૂત પગાર (બેઝિક સેલરી) ધરાવતા કર્મચારીઓ માટે PF અને પેન્શન (EPS)ની કપાત ફરજિયાત બની જશે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ નિર્ણય કર્મચારીઓને વધુ સારી સામાજિક સુરક્ષા અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે. સરકારના અંદાજ મુજબ, આ ફેરફારને કારણે વાર્ષિક આશરે રૂપિયા 11,339 કરોડનો વધારાનો ખર્ચ થશે. સરકાર માને છે કે સામાજિક સુરક્ષાના દાયરાને વિસ્તારવાથી કર્મચારીઓને લાંબા ગાળે ફાયદો થશે અને કંપનીઓને કર્મચારીઓને જાળવી રાખવામાં (employee retention) પણ મદદ મળી શકે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું (DA) મળીને કૂલ રૂપિયા 25,000 કે તેથી ઓછું હોય, તો કંપની માટે તેમને EPF યોજના હેઠળ સામેલ કરવા ફરજિયાત રહેશે. બીજી તરફ, જો કર્મચારીનો મૂળભૂત પગાર અને DA રૂપિયા 25,000 થી વધુ હોય અને તેઓ પ્રથમ વખત નોકરીમાં જોડાઈ રહ્યા હોય, એટલે કે તેઓ અગાઉથી EPF સભ્ય ના હોય તો તેમના માટે EPFમાં જોડાવું ફરજિયાત રહેશે નહીં. આવા કર્મચારીઓ પાસે EPF પસંદ કરવું કે નહીં તે નક્કી કરવાનો વિકલ્પ રહેશે.
અહીં એક મહત્વપૂર્ણ બાબત નોંધવી જરૂરી છે કે, ફરજિયાત EPF યોગદાન માટે પગારની મર્યાદા ₹15,000 પર જ યથાવત રહેશે. આનો અર્થ એ છે કે કંપની અને કર્મચારી બંને તરફથી થતું ફરજિયાત EPF યોગદાન માત્ર ₹15,000 સુધીના પગારના આધારે જ ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર (basic salary) અને મોંઘવારી ભથ્થું (DA) મળીને કુલ ₹20,000 થતા હોય, તો EPFમાં નોંધણી કરાવવી ફરજિયાત બની જાય છે; જોકે, ફરજિયાત ફાળાની ગણતરી માત્ર ₹15,000ની મર્યાદા સુધી જ કરવામાં આવે છે.
જો કોઈ કર્મચારીનો મૂળ પગાર અને DA મળીને કુલ ₹30,000 થતા હોય અને તેઓ અગાઉથી EPFના સભ્ય ન હોય, તો નવી નોકરીમાં EPFમાં જોડાવું ફરજિયાત નથી; તેઓ સ્વેચ્છાએ તેમાં જોડાઈ શકે છે. આમ, ₹25,000ની નવી મર્યાદાની મુખ્ય અસર EPF હેઠળ આવરી લેવા માટેની પાત્રતા પર પડે છે, જ્યારે ફરજિયાત ફાળા માટેની મર્યાદા ₹15,000 જ રહે છે.