Breaking News : IRCTC હોટેલ ટેન્ડર કેસમાં લાલુ પરિવારને મોટો ફટકો, તેજસ્વી અને રાબડી સહિત 9 લોકો સામે આરોપો ઘડાયા

રાઉસ એવન્યુ કોર્ટે IRCTC મની લોન્ડરિંગ કેસમાં લાલુ પ્રસાદ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને પત્ની રાબડી દેવી સહિત નવ આરોપી સામે આરોપો ઘડ્યા છે. કોર્ટે આ મામલે લાલુ યાદવની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરી હતી.

Breaking News : IRCTC હોટેલ ટેન્ડર કેસમાં લાલુ પરિવારને મોટો ફટકો, તેજસ્વી અને રાબડી સહિત 9 લોકો સામે આરોપો ઘડાયા
| Updated on: Sep 10, 2026 | 6:56 PM

IRCTC હોટેલ ટેન્ડર સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD)ના વડા લાલુ પ્રસાદ યાદવ અને તેમના પરિવારને મોટો ફટકો પડ્યો છે. આજે ગુરુવારે દિલ્હીની રાઉસ એવન્યુ કોર્ટે લાલુ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ અને પત્ની રાબડી દેવી સહિત કુલ નવ આરોપી સામે આરોપો ઘડ્યા હતા. કોર્ટે હવે આ કેસની વધુ સુનાવણી આગામી 3 ઓક્ટોબરના રોજ નિર્ધારીત કરી છે.

લાલુ પરિવાર ઉપરાંત, આ કેસમાં આરોપી તરીકે નામ આપવામાં આવેલા અન્ય લોકોમાં સરલા ગુપ્તા, લારા પ્રોજેક્ટ્સ અને સુજાતા હોટેલ્સનો સમાવેશ થાય છે. જોકે, રાઉસ એવન્યુ કોર્ટે સાત આરોપીઓને કેસમાંથી મુક્ત પણ કર્યા છે.

કોર્ટે લાલુ યાદવની ભૂમિકા અંગે શંકા વ્યક્ત કરી

રાઉસ એવન્યુ કોર્ટે અવલોકન કર્યું હતું કે, લાલુ યાદવ સામેની તપાસ રાજકીય રીતે પ્રેરિત જણાતી નથી. કોર્ટે નોંધ્યું હતું કે લારા પ્રોજેક્ટ્સને જે રીતે લાભ મળ્યો તેનાથી લાલુ યાદવની ભૂમિકા અંગે શંકા ઊભી થાય છે. કોર્ટે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ દ્વારા હોદ્દાના દુરુપયોગની પ્રબળ શંકા છે.

દરમિયાન, કોર્ટે સાત આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યા. તેમાં ગૌરવ ગુપ્તા, નાથ મલ કાકરાનિયા, રાહુલ યાદવ, વિજય ત્રિપાઠી અને દેવકી નંદન તુલસ્યનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજીવ કુમાર રેલન અને મેસર્સ અભિષેક ફાઇનાન્સ પ્રાઇવેટ લિમિટેડને પણ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા.

આ કેસ 2004-2009ના સમયગાળાનો છે

આ સમગ્ર મામલો 2004 અને 2009 વચ્ચેના સમયગાળાનો છે, જ્યારે લાલુ પ્રસાદ યાદવ કેન્દ્રીય રેલવે મંત્રી હતા. એવો આરોપ છે કે તેમના કાર્યકાળ દરમિયાન, રાંચી અને પુરીમાં બે IRCTC હોટેલ્સના સંચાલન અને જાળવણી માટેના કરારો સ્થાપિત નિયમોનું ઉલ્લંઘન કરીને આપવામાં આવ્યા હતા. આ કરારો ‘સુજાતા હોટેલ્સ’ નામની ખાનગી કંપનીને આપવામાં આવ્યા હતા. EDનો આરોપ છે કે, સુજાતા હોટેલ્સે કથિત ભ્રષ્ટાચારના બદલામાં જમીનનો સોદો કર્યો હતો. પટનામાં આવેલો જમીનનો એક કિંમતી ‘બેનામી’ (અન્યના નામે રાખવામાં આવેલો) પ્લોટ સરલા ગુપ્તા મારફતે નજીવી રકમમાં ‘લારા પ્રોજેક્ટ્સ’ને હસ્તાંતરિત કરવામાં આવ્યો હતો. આ કંપની લાલુ યાદવનાં પત્ની રાબડી દેવી અને તેમના નાના પુત્ર તેજસ્વીની માલિકીની છે. દરમિયાન, કોર્ટના આ ચુકાદા બાદ હવે આ કેસમાં ટ્રાયલ (મુખ્ય સુનાવણી) આગળ વધવાનો માર્ગ મોકળો થયો છે.

Breaking News : મોદી કેબિનેટનો મોટો નિર્ણય, 7 રેલવે કોરિડોરને 4-લેનમાં અપગ્રેડ કરવાની મંજૂરી, ટ્રેનની અવરજવર થશે સરળ

Follow Us
Loading...
Unable to load recommendations.