
એરઈન્ડિયાની એક મોટી ભૂલ સામે આવી છે. જેને જોઈ સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ગઈ છે. ના વીઝાની ઝંઝટ, ના પાસપોર્ટ , સીધા ફ્લાઈટમાં બેસી પોતાના સ્થાને ચાલ્યા ગયા. અમે વાત કરી રહ્યા છે. એ 3 ઈટાલિયન નાગરિકોની જે અમૃતસરથી દિલ્લી આવ્યા અને કોઈ પણ ઈમિગ્રેશન તપાસની ઔપચારિકતા પુરી કર્યા વગર દિલ્લી એરપોર્ટથી સીધા મ્યુનિખ પહોંચ્યા હતા. દિલ્લી એરપોર્ટ પર થયેલી આ લાપરવાહીને લઈ ગૃહમંત્રાલયે આજે મહત્વની બેઠક બોલાવી છે.
નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પહેલાથી જ એર ઇન્ડિયા પાસેથી અનેક પાસાઓ પર જવાબો માંગ્યા છે. સૂત્રો અનુસાર આ “ડેમેજ કન્ટ્રોલ” બેઠકની અધ્યક્ષતા ગૃહ સચિવ ગોવિંદ મોહન પોતે કરશે. આ બેઠકમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ અને અધિક સચિવ, વિદેશીઓ માટેના અધિક સચિવ, ઇમિગ્રેશન બ્યુરોના કમિશનર, એર ઇન્ડિયાના સીઈઓ અને દિલ્લી એરપોર્ટના સીઈઓ સામેલ થવાની આશા છે.
આ મહત્વની બેઠક કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 12 સપ્ટેમ્બરના રોજ એર ઈન્ડિયાને નોટિસ જાહેર કર્યા બાદ થઈ રહી છે. ત્યારે મોટો સવાલ એ પણ છે કે, આખરે આ 3 વિદેશી નાગરિકો દિલ્લી એરપોર્ટ પર કોઈ પણ તપાસ કર્યા વગર કઈ રીતે જતાં રહ્યા?
ઇમિગ્રેશન ક્લિયરન્સ એ દેશમાં પ્રવેશતા કે છોડતા પહેલા ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા આપવામાં આવતી કાનૂની પરવાનગી અને પ્રક્રિયા છે. જેમાં મુસાફરના પાસપોર્ટ, વીઝા અને મુસાફરીના ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવે છે.એ સુનિશ્ચિત કરવામાં આવે છે કે મુસાફર કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલ નથી કે કોઈપણ નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો નથી.આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા દરેક વ્યક્તિ માટે આ પ્રક્રિયા પૂર્ણ કરવી ફરજિયાત છે.
આ મુસાફરોએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ચઢતા પહેલા દિલ્લી એરપોર્ટ પર જરૂરી ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી ન હતી. આ ભૂલ અમૃતસર એરપોર્ટ પર થઈ હોય તેવું લાગે છે. તેમને અમૃતસર એરપોર્ટ પર બે બોર્ડિંગ પાસ આપવામાં આવ્યા હતા. એક દિલ્લી માટે અને એક લુફ્થાન્સા મ્યુનિક ફ્લાઇટ માટે. મુસાફરોએ દિલ્લી પહોંચ્યા પછી ઇમિગ્રેશન પૂર્ણ કરવાનું હતું, પરંતુ તેમને સીધા આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર એરિયામાં મોકલવામાં આવ્યા હતા. તેથી, તેઓ ઇમિગ્રેશનમાંથી પસાર થયા વિના તેમની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ચઢી ગયા.