
દેશમાં OTP ફ્રોડ, નકલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અને ડિજિટલ અરેસ્ટ જેવા સાયબર ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. આવા કિસ્સાઓમાં ઘણા લોકો પોતાની મહેનતની કમાણી ગુમાવી બેસે છે અને પછી પૈસા પાછા મેળવવા માટે બેંકો તેમજ સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડે છે.
જો કે, હવે ગૃહ મંત્રાલયે સાયબર ઠગાઈનો ભોગ બનેલા લોકોને રાહત આપવા માટે મોબાઈલ રિસ્ટોરેશન મોડ્યુલ એટલે કે MRM પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલની મદદથી પીડિતો ઘરે બેઠા રિફંડ માટે અરજી કરી શકે છે. આનો લાભ માત્ર એવા લોકોને જ મળશે, જેમણે સમયસર ફરિયાદ નોંધાવી હોય અને ઠગના ખાતામાં રકમ ફ્રીઝ કરી દેવામાં આવી હોય.
મોબાઈલ રિસ્ટોરેશન મોડ્યુલ ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર એટલે કે I4C દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલનો એક ભાગ છે. આનો હેતુ સાયબર ગુનાનો ભોગ બનેલા લોકોને તેમના પૈસા પાછા મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. હવે લોકોએ રિફંડ માટે અલગ-અલગ કચેરીઓ અને બેંકોના ચક્કર નહીં લગાવવા પડે. તેઓ સીધા જ ઓનલાઈન અરજી કરી શકશે.
રિફંડ માટે બે શરત પૂરી થવી જરૂરી છે. પહેલી, પીડિતે સાયબર ઠગાઈની ફરિયાદ તાત્કાલિક 1930 હેલ્પલાઈન અથવા નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર નોંધાવી હોવી જોઈએ. બીજી, ઠગના બેંક ખાતામાં રકમ ફ્રીઝ કરી દેવામાં આવી હોવી જોઈએ. જો આ બંને શરતો પૂરી થતી હોય, તો પીડિત MRM પોર્ટલના માધ્યમથી રિફંડ માટે વિનંતી કરી શકે છે.
જો ફ્રીઝ કરવામાં આવેલી રકમ 50 હજાર રૂપિયાથી ઓછી હોય, તો FIR અને કોર્ટના આદેશની જરૂર રહેશે નહીં. માત્ર પોલીસ ફરિયાદના આધારે જ રિફંડની પ્રક્રિયા પૂરી થઈ શકે છે. જો કુલ રકમ 50 હજાર રૂપિયાથી વધુ હોય પરંતુ તે અલગ-અલગ ખાતાઓમાં વહેંચાયેલી હોય અને કોઈ એક ખાતામાં 50 હજાર રૂપિયાથી વધુ ન હોય, તો પણ FIR અને કોર્ટના આદેશની જરૂર નહીં પડે. જો કોઈ એક જ બેંક ખાતામાં 50 હજાર રૂપિયાથી વધુની રકમ ફ્રીઝ કરવામાં આવી હોય, તો રિફંડ માટે FIR નોંધાવવી અને કોર્ટનો આદેશ મેળવવો અનિવાર્ય રહેશે.