OTP ફ્રોડ કે ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છો? હવે બેંકોના ધક્કા ખાવાની જરૂર નથી, સરકારે સામાન્ય જનતા માટે લોન્ચ કર્યું એક નવું પોર્ટલ

દેશમાં ઓટીપી ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવા સાયબર ગુનાઓ સતત વધી રહ્યા છે, જેમાં ઘણા લોકો પોતાની કમાણી ગુમાવી બેસે છે. આવા પીડિતોની મદદ માટે હવે ગૃહ મંત્રાલય દ્વારા એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે.

OTP ફ્રોડ કે ડિજિટલ અરેસ્ટનો ભોગ બન્યા છો? હવે બેંકોના ધક્કા ખાવાની જરૂર નથી, સરકારે સામાન્ય જનતા માટે લોન્ચ કર્યું એક નવું પોર્ટલ
| Updated on: Jun 14, 2026 | 9:16 PM

દેશમાં OTP ફ્રોડ, નકલી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ અને ડિજિટલ અરેસ્ટ જેવા સાયબર ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે. આવા કિસ્સાઓમાં ઘણા લોકો પોતાની મહેનતની કમાણી ગુમાવી બેસે છે અને પછી પૈસા પાછા મેળવવા માટે બેંકો તેમજ સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડે છે.

જો કે, હવે ગૃહ મંત્રાલયે સાયબર ઠગાઈનો ભોગ બનેલા લોકોને રાહત આપવા માટે મોબાઈલ રિસ્ટોરેશન મોડ્યુલ એટલે કે MRM પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલની મદદથી પીડિતો ઘરે બેઠા રિફંડ માટે અરજી કરી શકે છે. આનો લાભ માત્ર એવા લોકોને જ મળશે, જેમણે સમયસર ફરિયાદ નોંધાવી હોય અને ઠગના ખાતામાં રકમ ફ્રીઝ કરી દેવામાં આવી હોય.

શું છે Mobile Restoration Module?

મોબાઈલ રિસ્ટોરેશન મોડ્યુલ ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર એટલે કે I4C દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલનો એક ભાગ છે. આનો હેતુ સાયબર ગુનાનો ભોગ બનેલા લોકોને તેમના પૈસા પાછા મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવવાનો છે. હવે લોકોએ રિફંડ માટે અલગ-અલગ કચેરીઓ અને બેંકોના ચક્કર નહીં લગાવવા પડે. તેઓ સીધા જ ઓનલાઈન અરજી કરી શકશે.

કયા લોકોને મળશે રિફંડનો લાભ?

રિફંડ માટે બે શરત પૂરી થવી જરૂરી છે. પહેલી, પીડિતે સાયબર ઠગાઈની ફરિયાદ તાત્કાલિક 1930 હેલ્પલાઈન અથવા નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર નોંધાવી હોવી જોઈએ. બીજી, ઠગના બેંક ખાતામાં રકમ ફ્રીઝ કરી દેવામાં આવી હોવી જોઈએ. જો આ બંને શરતો પૂરી થતી હોય, તો પીડિત MRM પોર્ટલના માધ્યમથી રિફંડ માટે વિનંતી કરી શકે છે.

રિફંડ માટેના અલગ-અલગ નિયમો

જો ફ્રીઝ કરવામાં આવેલી રકમ 50 હજાર રૂપિયાથી ઓછી હોય, તો FIR અને કોર્ટના આદેશની જરૂર રહેશે નહીં. માત્ર પોલીસ ફરિયાદના આધારે જ રિફંડની પ્રક્રિયા પૂરી થઈ શકે છે. જો કુલ રકમ 50 હજાર રૂપિયાથી વધુ હોય પરંતુ તે અલગ-અલગ ખાતાઓમાં વહેંચાયેલી હોય અને કોઈ એક ખાતામાં 50 હજાર રૂપિયાથી વધુ ન હોય, તો પણ FIR અને કોર્ટના આદેશની જરૂર નહીં પડે. જો કોઈ એક જ બેંક ખાતામાં 50 હજાર રૂપિયાથી વધુની રકમ ફ્રીઝ કરવામાં આવી હોય, તો રિફંડ માટે FIR નોંધાવવી અને કોર્ટનો આદેશ મેળવવો અનિવાર્ય રહેશે.

MRM પોર્ટલ પર રિફંડ માટે અરજી કેવી રીતે કરવી?

  1. સૌથી પહેલા MRM પોર્ટલ પર જાઓ અને Citizen Login વિકલ્પ પર ક્લિક કરો.
  2. એ જ મોબાઈલ નંબર દાખલ કરો, જે નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ પર ફરિયાદ નોંધાવતી વખતે ઉપયોગમાં લેવાયો હતો.
  3. મોબાઈલ પર મળેલ OTP દાખલ કરીને લોગિન કરો.
  4. Raise Refund Request વિકલ્પ પર જાઓ અને તમારો 14 અંકની ફરિયાદ ID દાખલ કરો.
  5. સિસ્ટમ તમારી ફ્રીઝ થયેલી રકમની વિગતો દર્શાવશે. ત્યારબાદ તમારા પાન કાર્ડ (PAN Card) ની ડિજિટલ કોપી અપલોડ કરો.
  6. હવે એ બેંક ખાતા નંબર અને IFSC કોડ દાખલ કરો, જેમાં તમે રિફંડ મેળવવા માંગો છો.
  7. જો તમારી પાસે કોર્ટનો આદેશ હોય તો તેની કોપી પણ અપલોડ કરો. 50 હજાર રૂપિયાથી વધુની રકમવાળા કિસ્સાઓમાં આ જરૂરી રહેશે.
  8. ઘોષણાપત્ર (ડિક્લેરેશન) પર સંમતિ આપ્યા બાદ Submit બટન પર ક્લિક કરો.

Breaking News: ભગવાનના ઘરમાં થઈ ચોરી? અયોધ્યા રામ મંદિરમાં મોટું કૌભાંડ? ભક્તોના કરોડો રૂપિયા ક્યાં ગાયબ થયા?

Follow Us