
રામ મંદિર પ્રસાદ ચોરી કેસની તપાસ વચ્ચે મહત્વપૂર્ણ વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. છેલ્લા 17 વર્ષથી અયોધ્યામાં ફરજ બજાવતા રેડિયો મેન્ટેનન્સ ઓફિસર (RMO) અર્જુન દેવનું ગોરખપુર ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. અર્જુન દેવનું નામ SIT તપાસ દરમિયાન સામે આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રોનું કહેવું છે.
માહિતી અનુસાર, અર્જુન દેવ રામ મંદિરની વાયરલેસ સિસ્ટમ અને CCTV સર્વેલન્સની જવાબદારી સંભાળતા હતા. મંદિર પરિસરમાં સ્થાપિત આશરે 1,600 CCTV કેમેરા તેમજ પ્રસાદની ગણતરી દરમિયાન થતી દેખરેખની સંપૂર્ણ વ્યવસ્થા તેમના નિયંત્રણ હેઠળ હતી. કરોડો રૂપિયાના પ્રસાદની કથિત ચોરી બાદ તપાસ એજન્સીઓ હવે સુરક્ષા વ્યવસ્થામાં ક્યાં ખામી રહી તે શોધી રહી છે.
SIT રિપોર્ટમાં અર્જુન દેવની ભૂમિકાને લઈને પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ પોતાની સત્તાવાર જવાબદારીઓ ઉપરાંત મંદિર ટ્રસ્ટના અનેક કામકાજમાં પણ સક્રિય રીતે જોડાયેલા હતા. VVIP દર્શનની વ્યવસ્થાથી લઈને મંદિર સંચાલન સંબંધિત અનેક નિર્ણયોમાં તેમનો પ્રભાવ હોવાનું પણ જણાવવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, અર્જુન દેવનું અગાઉ પણ અનેક વખત ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું, પરંતુ દર વખતે તે અટકી જતું હતું. વર્ષ 2009 બાદ તેમની બદલીના અનેક આદેશો જારી થયા હોવા છતાં તેઓ અયોધ્યામાં જ તૈનાત રહ્યા હતા. તાજેતરમાં પણ તેમનું ટ્રાન્સફર અટક્યું હોવાનું કહેવાય છે.
અહેવાલો મુજબ, શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાય અને ટ્રસ્ટના કેટલાક અન્ય અધિકારીઓ સાથેની નજીકતાને કારણે અગાઉ તેમનું ટ્રાન્સફર અટકી ગયું હતું. જોકે, SIT તપાસમાં તેમનું નામ સામે આવ્યા બાદ આખરે તેમને ગોરખપુર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
SITએ અર્જુન દેવની પૂછપરછ પણ કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની જવાબદારીઓ, અધિકારક્ષેત્ર તેમજ ટ્રસ્ટના અધિકારીઓ સાથેના સંબંધોની તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓ આગામી દિવસોમાં આ સમગ્ર મામલે વધુ કાર્યવાહી કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમરનાથ યાત્રા માટે હાઇટેક સુરક્ષા, જમ્મુમાં 600 CCTV કેમેરા ગોઠવાયા