
અયોધ્યાના રામ મંદિર દાન ચોરી કેસમાં રોજેરોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. લાંબી તપાસ બાદ આખરે આ મામલે એફઆઈઆર નોંધાઈ છે અને ટીનુ યાદવ સહિત આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સાથે સંકળાયેલા કેટલાક કર્મચારીઓએ ભક્તો દ્વારા દાનપેટીમાં આપવામાં આવતા રૂપિયા અને દાગીનાની ચોરી કરીને વર્ષો સુધી તેનો દુરુપયોગ કર્યો હતો.
માહિતી અનુસાર, મે મહિનાના અંતમાં ટ્રસ્ટના અધિકારીઓએ દાનપેટીમાંથી મળતી રકમ અને બેંકમાં જમા થતી રકમની સમીક્ષા કરી હતી. અગાઉ એક દાનપેટીમાંથી સરેરાશ 6થી 7 લાખ રૂપિયા મળતા હતા, પરંતુ અચાનક 500 રૂપિયાની નોટોના બંડલમાં ઘટાડો જોવા મળતા શંકા ગઈ. ત્યારબાદ ટ્રસ્ટે નોટ ગણતરી રૂમમાં ગુપ્ત કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો.
એક અઠવાડિયા સુધીના CCTV ફૂટેજમાં ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા. આરોપીઓમાંથી કેટલાક કર્મચારીઓ જાણીજોઈને કેમેરાની સામે ઊભા રહેતા, જ્યારે તેમના સાથીદારો નોટોના ઢગલામાંથી રૂપિયા કાઢીને પોતાના કપડાંમાં છુપાવી દેતા હતા. ત્યારબાદ આ નોટો બાથરૂમમાં છુપાવવામાં આવતી અને તક મળતાં મંદિરની બહાર લઈ જઈને વહેંચી દેવામાં આવતી હતી. તપાસમાં સામે આવ્યું છે કે આ ગેરરીતિ છેલ્લા બે-ત્રણ વર્ષથી ચાલી રહી હતી.
તપાસમાં વધુ એક મોડસ ઓપરેન્ડી સામે આવ્યો છે. આરોપીઓ દરેક નોટના બંડલમાં વધારાની નોટો મૂકી દેતા હતા. બેંકમાં રકમ જમા કરાવતી વખતે નોટોની અલગથી ગણતરી થતી નહોતી, પરંતુ માત્ર બંડલોની સંખ્યા આધારે વાઉચર તૈયાર થતું હતું. બેંક પહોંચતા પહેલાં વધારાની નોટો કાઢી લેવામાં આવતી, જેથી વાઉચર અને જમા થતી રકમ વચ્ચે કોઈ તફાવત દેખાતો ન હતો. આ પ્રક્રિયામાં અનુકુલ મિશ્રા અને તેનો સાળો લવ કુશ મિશ્રા મુખ્ય ભૂમિકામાં હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે નોટ ગણતરી સાથે સંકળાયેલા મોટાભાગના કર્મચારીઓ કોઈને કોઈની ભલામણથી કામ પર રાખવામાં આવ્યા હતા. ચંપત રાયના ડ્રાઈવર ટીનુ યાદવે પોતાના પિતરાઈ ભાઈ મનીષ યાદવને નોટ ગણતરીનું કામ અપાવ્યું હતું. તેવી જ રીતે અનુકુલ મિશ્રાએ પોતાના સાળા લવ કુશ મિશ્રાને આ કામગીરીમાં જોડ્યો હતો. આરોપીઓએ વિશ્વાસનો દુરુપયોગ કરીને ટ્રસ્ટ સાથે મોટી છેતરપિંડી કરી હોવાનો આરોપ છે.
તપાસ દરમિયાન પોલીસે લવ કુશ મિશ્રાના ઘરેથી આશરે 10 લાખ રૂપિયા જપ્ત કર્યા છે. તપાસમાં એવો પણ આરોપ સામે આવ્યો છે કે દાનપેટીમાં ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા દાગીના પણ ચોરવામાં આવ્યા હતા. તેમાં ભગવાન રામલલાના બાળ સ્વરૂપ માટે ચઢાવવામાં આવેલી બુટ્ટી, ઝુમકી, નાકની વીંટી અને બંગડી જેવા આભૂષણોનો પણ સમાવેશ થાય છે. હાલ પોલીસ તમામ આરોપીઓની પૂછપરછ કરી રહી છે અને ચોરીમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તે અંગે પણ તપાસ આગળ વધારી રહી છે.
આ પણ વાંચો-Pune Breaking News : ચેતન તો માત્ર મોહરો હતો… 12મી ફેલ સિયા એક સાથે અનેક યુવકોને કરતી હતી ડેટ, કેતન હત્યા કેસમાં મોટો ખુલાસો !