
“રામ નામ લૂંટણ કી મનસા, તન મેં ચોરી કી આશ
ભગત કહીને ભોળવે, એ તો જમપુરીના દાસ.”
દેશ અને દુનિયાભરના કરોડો સનાતનીઓની આસ્થા જેની સાથે જોડાયેલી છે તે રામ મંદિરમાં ચોરી જેવી ઘટના બનશે તે ભાગ્યે જ કોઈએ વિચાર્યુ હશે. એ રામ મંદિર જેના માટે અનેક લોકોએ પ્રાણોની આહુતિ આપી દીધી. સેંકડો વર્ષો સુધી લડાઈઓ લડી, 500 વર્ષ રામ જન્મભૂમિ પર મંદિર બનાવવાના એ સંંકલ્પની જ્યોતને જલાવી રાખી, એ નિશ્ચયને ક્યારેય ડગવા ન દીધો અને જ્યારે અંતે ભક્તોની એ આસ્થાની જીત થઈ. સુપ્રીમ કોર્ટમાંથી રામમંદિર જન્મભૂમિ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આવ્યો અને મંદિર બનાવવાનો માર્ગ મોકળો થયો. બે વર્ષમાં મંદિર બનીને તૈયાર થયુ. મંદિરમાં જ્યારે ભગવાન શ્રી રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાની ઘડી આવી તો કરોડો સનાતનીઓએ હોંશે હોંશે ખુલ્લા હાથે દાન કર્યુ. દરેકે તેની શક્તિ અને ભક્તિ મુજબ મંદિર માટે કંઈ ને કંઈ દાન અને ભેટ ચડાવી હતી. એ ભેટ ચડાવતી વખતે ભાગ્યે જ કોઈ ભાવિકે વિચાર્યુ હશે કે તેના દ્વારા આપવામાં આવી રહેલા દાનની રકમની ચોરી થઈ જશે. તેના દ્વારા જે રામલલાને આભૂષણો ચડાવવામાં આવ્યા છે તેની લૂંટ થઈ જશે. કોઈ દાતાએ મંદિર નિર્માણ માટે સોનાની અને ચાંદીની ઈંટોનું દાન કર્યુ, કોઈએ સોનાના દીપકનું દાન કર્યુ પરંતુ કેટલાક લાલચી લોકોએ ભક્તોની એ આસ્થા સાથે કુઠારાઘાત કર્યો અને એ કિમતી ચીજોની ચોરી કરી લીધી.
હાલ રામ મંદિરમાં રહેલી દાનપેટીમાં ભાવિકોએ ધરાવેલા કરોડો રૂપિયાના લૂંટની ખબરો સામે આવી છે. કેટલાક દાતાઓ મંદિર નિર્માણ માટે દાનમાં આપેલી સોનાની અને ચાંદીની ઈંટો ગાયબ થઈ ગઈ છે. દાનમાં મળેલા કરોડો રૂપિયાનો હિસાબ નથી મળી રહ્યો. હવે જ્યારે મંદિરમાં થયેલી લૂંટ મામલે દબાણ વધ્યુ તો તપાસ માટે SIT ની રચના કરવામાં આવી છે, જે મંદિરમાં થયેલી કથિત લૂંટની તપાસ કરી રહી છે. SIT એ 100 પન્નાનો તપાસ રિપોર્ટ તૈયાર કર્યો છે. જે આજકાલમાં CM ને સોંપવામાં આવશે ત્યારે બહાર આવશે કે આખરે રામ મંદિરમાં લૂંટના અસલી ગુનેગારો કોણ છે? આ રિપોર્ટ સામે આવ્યા બાદ જ ખબર પડશે કે કોને દોષી ગણાવાયા છે અને કોને ક્લિનચીટ આપવામાં આવી છે. પરંતુ મંદિરમાં દાન ચોરીના જે આરોપો સામે આવ્યા છે તેનાથી કરોડો હિંદુઓ અને રામભક્તોની આસ્થાને આઘાત પહોંચ્યો છે.
આ સવાલો એટલા માટે થવા વ્યાજબી છે કારણે કે SIT તપાસ દરમિયાન રામમંદિરમાં ગરબડીમાં ચોંકાવનારા ખૂલાસા થઈ રહ્યા છે. આ જ કારણ છે કે બહુ જલ્દી મંદિર સાથે સંકળાયેલા કેટલાક નજીકના લોકો સામે કાર્યવાહીની પણ તૈયારી કરી લેવામાં આવી છે. હાલ જે લોકોના નામો સામે આવી રહ્યા છે તેમા…
એવુ મનાઈ રહ્યુ છે કે SIT બહુ જલ્દી આ લોકો સામે સકંજો કસી શકે છે.
રામમંદિમાં ચઢાવામાં થયેલી હેરફેર વચ્ચે મંદિરમાં ભગવાન શ્રીરામને ભેટમાં મળેલા આભૂષણો પણ ગુમ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. અનુરાગ રસ્તોગી નામના એક દાતા જણાવે છે કે તેમણે 38.5 કિલો 644 ગ્રામ ચાંદી મંદિર નિર્માણ માટે દાનમાં આપી હતી. પરંતુ આ ચાદીની ઈંટોને મંદિર નિર્માણમાં ઉપયોગમાં લેવામાં જ નથી આવી. દાતાનું કહેવુ છે કે જો તેમની ભેટમાં આપેલી ચાંદીનો ઉપયોગ કરાયો હોત તો તેમને એ અંગે કંઈક સૂચના જરૂર મળતી. મંદિરને ચાંદી દાન કરનારા દાતાનુ કહેવુ છે કે આ અંગે ચોક્કસથી તપાસ થવી જોઈએ અને લોકોની આસ્થા સાથે રમત ન રમાવી જોઈએ.
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન રામલલાને ભેટ મળેલો બહુમૂલ્ય હાર અને ચરણપાદુકા વિશે SIT ને હજુ સુધી કોઈ રેકોર્ડ નથી મળ્યો. 60 કિલો ચાંદીની ઈંટો ગાયબ છે, તેના અંગે પણ કોઈ ચોક્કસ જાણકારી સામે આવી નથી. જ્વેલર એસોસિએશને રામમંદિરના પાયાના નિર્માણમાં ઉપયોગમાં લેવા માટે ચાંદીની ઈંટો ભેટ આપી હતી. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામલલાના શ્રી ચરણો પાસે જે દીપક પ્રજવલિત કરવામાં આવ્યો હતો તે પણ અનુરાગ રસ્તોગી અને તેમની પત્નીએ અનિલ મિશ્રાની સાથે મળી અખંડ જ્યોત પ્રગટાવી હતી પરંતુ આજે આ દીપક પણ ગાયબ છે.
આ સમગ્ર કેસમાં રામ શંકર યાદવ ઉર્ફ ટિન્નુ યાદવ, કૃષ્ણ દેવ તિવારી અને રામલલાના ચાર પૂજારીઓની પૂછપરછ કરવામાં આવી છે. આ દરમિયાન ભેંટમાં મળેલી ચાંદીની ઈંટોને બેંગલુરુમાં ગાળવા માટે મોકલી હોવાની વાતો પણ સામે આવી છે. પરંતુ તેને બેંગલુરુ મોકલવાના કોઈ પુરાવા, રસીદ કે રેકોર્ડ મળ્યા નથી. આભૂષણોની દેખરેખ કરી રહેલા કૃષ્ણદેવ તિવારીએ રામલલાને ભેટમાં મળેલા હાર અને ચરણપાદુકા અંગે જાણકારી ન હોવાનું જણાવ્યુ છે. હવે SIT અધિકારીઓ અને પદાધિકારીઓને સોંપાયેલી જવાબદારીના આધારે તેમની ભૂમિકા તપાસી રહી છે.
રામ મંદિરના ચઢાવા ચોરીની તપાસ માટે બનાવવામાં આવેલી SIT તપાસનો વ્યાપ સતત વધારી રહી છે. રામમંદિરમાં દાનની ચોરી અને ચઢાવા ચોરી એ માત્ર કોઈ ચોરીનો મુદ્દો નથી, આ અસલમાં વિષય છે કરોડો હિંદુઓ, અને રામભક્તોની આસ્થા અને વિશ્વાસ સાથે કરવામાં આવેલા વિશ્વાસઘાત નો. કોઈએ તેની આસ્થા મુજબ ચઢાવામાં સોનુ આપ્યુ તો કોઈએ ચાંદી. કોઈએ દાગીના ચડાવ્યા તો કોઈએ તેની કમાણીનો કેટલોક હિસ્સો પણ દાનમાં આપી દીધો હશે. તેવા સમયે આ પ્રકારની લૂંટ કે ચોરી ક્યારેય માફી કરી શકાય નહીં. આ તમામ ઘટનાક્રમ વચ્ચે નિશાને જે વ્યક્તિ છે તે છે રામમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી ચંપત રાય અને એવી કેટલીક વ્યક્તિઓ જે મંદિરની દેખરેખ સાથે સંકળાયેલી છે.
મંદિરમાં ચોરી CCTV કેમેરા સાથે છેડછાડ કે કેમેરા બંધ કર્યા વિના શક્ય જ નથી. આ જ કારણે SIT એ હવે CCTV કેમેરાની પણ ફોરેન્સિક તપાસ કરાવવાની તૈયારી કરી લીધી છે. જેથી 45 દિવસ જૂના ફુટેજ પણ તપાસી શકાય.
આ ઉપરાંત એ લોકો જે દાનમાં આવેલી રોકડની ગણતરીમાં જોડાયેલા છે. જેઓ 20-25 હજારના પગારદાર કર્મચારીઓ હોય છે. ઉપરાંત દાન પેટીને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જનારા મંદિરના કર્મચારીઓ સામેલ છે.
હાલ આ તપાસના દાયરામાં મંદિર સાથે જોડાયેલા એ તમામ કર્મચારીઓ આવી જાય છે. ઉપરાંત કોઈ સીસીટીવીની દેખરેખ વિના અથવા તો કોઈ હાયર ઓથોરિટીની સંમતિ વિના મોટાપાયે રૂપિયા અને દાનમાં મળેલી ચઢાવાને બહાર મોકલવામાં આવ્યો તે SIT માટે મોટો તપાસનો વિષય છે.
જો કે અહીં આશંકા એવી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે નાની માછલીઓની કુરબાની આપીને મોટા મગરમચ્છોને બચાવવાનો કારસો તો નથી ઘડાઈ રહ્યો ? જે પ્રકારે ચંપત રાયના ડ્રાઈવર ટિન્નુ યાદવનું નામ સામે આવી રહ્યુ છે. ત્યારે તેની પત્ની દ્વારા પણ વારંવાર એવો દાવો કરાઈ રહ્યો છે કે અમે તો નાના માણસો છીએ અમારાથી મોટાની તપાસ થવી જોઈએ. તેમના મોટા હોદ્દેદારોમાં ટ્રસ્ટના પદાધિકારીઓના નામો સામેલ છે, તો સવાલ એ પણ છે કે શું ચંપત રાયની સામે તપાસ થશે કે તપાસના નામે રિપોર્ટમાં ખાનાપૂર્તી કરી દેવાશે? શું અસલી ગુનેગારો સામે આવશે?
યુપી સીએમએ સ્પષ્ટ કહ્યુ છે કે રિપોર્ટની રાહ જુઓ 15 દિવસમાં રિપોર્ટ આવશે એટલે જે પણ વ્યક્તિ હશે તેમની સામે કાર્યવાહી થશે, ત્યારે સવાલ એ પણ છે કે કાર્યવાહી મિડલ મેન સામે થશે કે લોવર બેન્ડ સામે થશે કે ટોપ બેન્ડ સામે થશે. પરંતુ સંડોવણી ઉપરથી લઈને નીચે સુધી હોય તો જ આ પ્રકારનું એક્સેસ શક્ય છે તે વાતને નકારી ન શકાય.