પ્રયાગરાજમાં કોર્ટે મંગળવારે કથિત માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને અપહરણના કેસમાં સખત આજીવન કેદની સજા સંભળાવી અને સાંજે તેને સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવા પોલીસ કાફલો રવાના થયો છે. જ્યારે આ જ કેસમાં નિર્દોષ છૂટેલા તેના ભાઈ પૂર્વ ધારાસભ્ય અશરફને બરેલી જેલમાં પરત મોકલી દેવામાં આવ્યો હતો. જેલના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. જેમાં અતીક અહેમદને યુપી પોલીસ પ્રયાગરાજથી સાબરમતી જેલ લઇને આવવા રવાના થઈ છે. યુપી પોલીસ રાત્રે 8. 35 વાગે પ્રયાગરાજથી નીકળી છે . જે સંભવિત રીતે બુધવારે રાત્રે સાબરમતી જેલ પહોંચે તેવી શકયતા છે.
સજા સંભળાવ્યા બાદ અતિકે કોર્ટને વિનંતી કરી હતી કે ‘મને સાબરમતી જેલમાં જ મોકલો, હું અહીં નથી રહેવા માંગતો, પોલીસ મારા પર કેસ લાદશે.’ જોકે, કોર્ટે અતીકની વિનંતી પર કંઈ કહ્યું ન હતું. આ પછી અતિક અહેમદ પ્રયાગરાજ કોર્ટથી નૈની સેન્ટ્રલ જેલમાં પરત ફર્યા છે. અતિકના વકીલનો દાવો છે કે તેને ફરી સાબરમતી જેલમાં લઈ જવામાં આવશે. અતીક અહેમદના વકીલે કહ્યું કે અમે ઉચ્ચ અદાલતનો સંપર્ક કરીશું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006માં ઉમેશ પાલના અપહરણના કેસમાં કુલ 10 આરોપીઓ હતા. જેમાંથી કોર્ટે અતિકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ અતિક અહેમદ, દિનેશ પાસી અને અતિકના વકીલ સૈલત હનીફને આજીવન કેદની સજા ફટકારી છે.
28 ફેબ્રુઆરી 2006ના રોજ રાજુ પાલ હત્યા કેસના પ્રત્યક્ષદર્શી ઉમેશ પાલનું અતિક અહેમદે અપહરણ કર્યું હતું. ઉમેશ પાલનું અપહરણ કરીને કરબલા વિસ્તારમાં આવેલી ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો. તેને માર મારવામાં આવ્યો હતો. તેને ઈલેક્ટ્રીક શોક પણ આપવામાં આવ્યો હતો અને એક એફિડેવિટ પર સહી કરવાની ફરજ પાડવામાં આવી હતી, 1 માર્ચ, 2006ના રોજ તેને કોર્ટમાં સાક્ષી આપવા માટે પણ કહેવામાં આવ્યું હતું કે તે રાજુ પાલની હત્યાના સ્થળે હાજર નહોતો.
અતિક અહેમદે એકવાર ઉમેશ પાલને કોર્ટમાં પોતાની તરફેણમાં જુબાની આપવા માટે રાજી કર્યો હતો, પરંતુ 2007માં યુપી સરકાર બદલાતાની સાથે જ 5 જુલાઈના રોજ ઉમેશ પાલને સાંસદ અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ ઉપરાંત અન્ય 10 લોકોનું અપહરણ, હુમલો, ધમકાવ્યો અને ધમકી આપી. આવા ગુનાઓના આરોપસર કેસ નોંધવામાં આવ્યો હતો.
એફઆઈઆર 270/2007 – આ કેસમાં અતિક અહેમદ, તેના ભાઈ ખાલિદ અઝીમ ઉર્ફે અશરફ, દિનેશ પાસી, ખાન સૌકત હનીફ, અંસાર બાબાને આરોપી બનાવવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન જાવેદ ઉર્ફે બજ્જુ, ફરહાન, આબિદ, ઈસરાર, આસિફ ઉર્ફે મલ્લી, એજાઝ અખ્તરને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા. પોલીસ રિપોર્ટ દાખલ થતાં જ કોર્ટે 2009માં આરોપો ઘડ્યા હતા. આ પછી, કોર્ટમાં જુબાનીની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારબાદ ઉમેશ પાલ વતી પોલીસકર્મીઓ સહિત કુલ 8 સાક્ષીઓ હાજર થયા, જ્યારે અતિક ગેંગ તરફથી 54 સાક્ષીઓની જુબાની મળી.
પ્રથમ વખત, કોર્ટે અતીક અહેમદ સામે સજાની જાહેરાત કરી છે, જ્યારે છેલ્લા 18 વર્ષથી, ઉત્તર પ્રદેશના હાઈપ્રોફાઈલ રાજુ પાલ હત્યા કેસમાં અતીક અહેમદના ગુનાઓ માટે હજુ સુધી ન્યાય મળ્યો નથી. આટલું જ નહીં, હવે ઉમેશ પાલની હત્યા કેસમાં અતીક અહેમદ સામેની તપાસ પણ ઝડપથી આગળ વધવાની આશા છે.
આ પણ વાંચો : Surat: સોફ્ટવેર કંપનીના માલિક સાથે મની ટ્રાન્સફરના નામે 60 લાખની છેતરપિંડી, સાયબર ક્રાઇમે તપાસ શરૂ કરી
Published On - 10:49 pm, Tue, 28 March 23