દર વર્ષે આસામ માં કેમ આવે છે વિનાશક પૂર, તંત્રની બેદરકારી કે ભૌગોલિક કારણો- વાંચો

અસમમાં ચોમાસુ આવતા જ જળપ્રલય ની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં આવેલા ભયાનક પૂરમાં આ લખાય છે ત્યાં સુધીમાં 68 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. અને 5.24 લાખથી વધુ લોકો પૂરથી બહુ બુરી રીતે પ્રભાવિત છે.

દર વર્ષે આસામ માં કેમ આવે છે વિનાશક પૂર, તંત્રની બેદરકારી કે ભૌગોલિક કારણો- વાંચો
| Updated on: Jul 28, 2026 | 9:59 PM

દર વર્ષે, ચોમાસું આવતાની સાથે જ, આસામની એક સરખી તસવીરો સામે આવવા લાગે છે. પૂરના પાણીમાં ગરકાન ગામડાઓ, તૂટી ગયેલા રસ્તાઓ, પૂલો અને ભયજનક સ્તર વહેતી બ્રહ્મપુત્રા નદીનું પાણી જે કાંઠા પર વસેલા તમામ ઘરોને પોતાની સાથે તાણી જઈ રહ્યુ હોય છે. જ્યારે પાણી ઓસરે છે તો પાછળ બચે છે માત્ર બર્બાદી અને બેઘર થયેલા લોકો, વિનાશની તસવીરો. વિસ્થાપિત થયેલા લોકોને તેમની જિંદગી ફરી શૂન્યથી શરૂ કરવાનો વારો આવે છે. આ ચોમાસામાં પણ આસામનું આ જ ચિત્ર સામે આવ્યુ છે, તેમાં કંઈ જ બદલાયુ નથી.

અસમમાં પુરથી અત્યાર સુધીમાં 68 લોકોના મોત થયા છે. અસમના 5 જિલ્લામાં 5.24 લાખ થી વધુ લોકો બદ્દતર રીતે પૂરથી પ્રભાવિત છે.  ઉપરના વિસ્તારોમાં આડેધડ જંગલોના નિકંદન ને કારણે જમીનનું ધોવાણ વધ્યુ છે. વર્ષ 1950 માં બાંધવામાં આવેલા 300 થી વધુ પાળાઓ નામશેષ થવાના આરે છે.

અસમમાં પુરથી 68 લોકોના મોત

આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના તાજેતરના આંકડા અનુસાર, રવિવાર (26 જુલાઈ, 2026) સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 68 પર પહોંચી ગયો હતો. પાંચ જિલ્લાઓ – ચરાઈદેવ, શિવસાગર, જોરહાટ, ગોલાઘાટ અને નાગાંવ – માં 5.24 લાખથી વધુ લોકો હજુ પણ આ કુદરતી આપદાનો સામનો કરી રહ્યા છે.

750 થી વધુ ગામો જળમગ્ન

કેટલાક વિસ્તારોમાં પાણીનું સ્તર ધીમે ધીમે ઘટી રહ્યું હોવા છતાં, 750 થી વધુ ગામો પૂરના પાણીમાં ગરકાવ છે અને 48000 હેક્ટરથી વધુ કૃષિ પેદાશ નાશ પામી છે. દર વર્ષે થનારી આ તબાહી બાદ ફરી એજ સવાલ ઉઠી રહ્યા છે કે આખરે દર વર્ષે આસામ કેમ ડૂબી જાય છે? દાયકાઓની રાજનીતિ, વચનો અને કરોડો રૂપિયાના આંધણ છતાં, આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ કેમ નથી લાવી શકાયો?

આસામમાં દર વર્ષે કેમ આવે છે ભયાનક પૂર

આસામની ભૌગોલિક સંરચના તો પૂર આવવાનું સૌથી મોટુ કારણ છે જ. ગૌવહાટી યુનિવર્સિટીના ભૂગોળના પ્રોફેસર અને પૂરના મેદાનના સંશોધક ધ્રુવજ્યોતિ સહારિયાએ HT ને જણાવ્યું હતું કે આસામનો નોંધપાત્ર ભાગ બ્રહ્મપુત્ર નદીના મેદાનોમાં આવેલો છે. બ્રહ્મપુત્ર વિશ્વની સૌથી મોટી અને સૌથી વિશાળ નદીઓમાંની એક છે, જે મોટી માત્રામાં કાંપ ખેંચી લાવે છે. આ નદી તિબ્બતના પઠાર થી નીકળે છે અને અરૂણાચલ પ્રદેશ થઈને અસમમાં પ્રવેશે છે અને ત્યારબાદ બાંગ્લાદેશના રસ્તે બંગાળની ખાડીમાં વહે છે.

રસ્તામાં તેના માર્ગમં 50 થી પણ વધુ નાની મોટી નદીઓ બ્રહ્મપુત્રામાં આવીને ભળીને જાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન, જ્યારે હિમાલયની તળેટીમાં મુશળધાર વરસાદ પડે છે અને બરફ પીગળે છે, જેના કારણે આ બધી નદીઓ એકસાથે તેની ભયજનક સપાટી પર પહોંચી જાય છે. આ સ્થિતિમાં બ્રહ્મપુત્રમાં આટલા મોટા પ્રમાણમાં પાણી સમાવવાની ક્ષમતા નથી રહેતી. રાષ્ટ્રીય પૂર આયોગના અહેવાલ મુજબ, આસામનો લગભગ 40 ટકા ભાગ પૂરની દૃષ્ટિ એ અત્યંત સંવેદનશીલ છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતા ચાર ગણો વધારે છે.

નદીના પટમાં કાંપનો સંચય

સહારિયા નોંધે છે કે પૂરનું એકમાત્ર કારણ વરસાદ નથી; વાસ્તવિક સમસ્યા નદીનો પટ છીછરા થવામાં રહેલી છે. જેમ જેમ બ્રહ્મપુત્રા પર્વતો પરથી નીચે ઉતરે છે અને આસામના મેદાનોમાં પ્રવેશ કરે છે, તેમ તેમ તેનો વેગ ઘટતો જાય છે. ગતિમાં આ ઘટાડો થવાથી નદી પર્વતોમાંથી વહન કરેલી રેતી અને માટીને તેના પટ પર જમા કરવા લાગે છે.

આડેધડ રીતે વૃક્ષોનું નિકંદન

પહાડી પ્રદેશોમાં આડેધડ જંગલોના નિકંદન થી આ સમસ્યા વધુ ઘેરી બની છે. લખીમપુર, ધેમાજી અને વિશ્વનાથ જેવા જિલ્લાઓમાંથી વહેતી નદીઓના ઉપરના ભાગમાં વૃક્ષોના આવરણના નુકશાનથી માટી ઢીલી થઈ ગઈ છે. હળવા વરસાદથી પણ મોટા પાયે ભૂસ્ખલન થાય છે, જે સીધી વહીને નદીમાં આવે છે. આના કારણે નદી ભરાઈ જાય છે, જેના કારણે પાણી તેના કિનારા તોડીને આસપાસના ગામડાઓમાં ફેલાઈ જાય છે.

જૂના થતા બંધ: સમાધાન કે નવી આફત?

1950 ના દાયકાથી, સરકારો બ્રહ્મપુત્ર અને તેની સહાયક નદીઓ પર પૂરને નિયંત્રિત કરવા માટે બંધ બનાવી રહી છે. રાજ્યમાં આવા 400 થી વધુ બંધ બનાવવામાં આવ્યા હતા, છતાં તેમાંથી લગભગ 300 બંધ તેમનુ આયુષ્ય પુરુ કરી ચુક્યા છે. બ્રહ્મપુત્રા નદી વારંવાર તેનો માર્ગ બદલવા માટે જાણીતી છે. બંધ બાંધવાથી નદીનું પાણી સીમિત જગ્યામાં અટકી જાય છે અને જ્યારે નદીમાં કાપનું પ્રમાણ વધે છે તો નદીના તળ ઉંચા આવે છે અને એવામાં જ્યારે પાણીનુ દબાણ વધે છે તો જુના બંધ તૂટી જાય છે અને અચાનક વિનાશક પૂર આવે છે. નિષ્ણાતો માને છે કે ફક્ત સિમેન્ટ-કોંક્રિટની દિવાલો ઉભી કરવાથી આ અનિયંત્રિત નદીને કાબુમાં લઈ શકાય નહીં.

ક્લાઈમેટ ચેન્જની અસર

જળવાયુ પરિવર્તનને કારણે હવે ઓછા સમયમાં પણ અત્યંત ભારે વરસાદ પડે છે. વરસાદની પેટર્નમાં બદલાવાથી પૂરની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થયો છે. જો આંકડા પર નજર કરીએ તો 1950 ના દાયકામાં વાર્ષિક સરેરાશ 8-9 લાખ લોકો અસરગ્રસ્ત થયા હતા, 2000 થી આ આંકડો દર વર્ષે 45 લાખથી વધુ વધી ગયો છે. 2013 થી 2022 ની વચ્ચે, પૂરને કારણે 800 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ શું છે?

પ્રોફેસર સહારિયા માને છે કે પૂરને રોકવા માટે, આસામે ફક્ત નીચાણવાળા વિસ્તારો પર જ નહીં, પરંતુ સમગ્ર નદીના તટપ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જેમા વૃક્ષોના નિકંદન પર સખ્ત રોક, ઉપરવાસના પ્રદેશોમાં માટી સંરક્ષણના પગલાં અમલમાં મૂકવા અને મોટા બંધોને બદલે નાના, સુરક્ષિત બંધ બનાવવાનો સમાવેશ થાય છે. સૌથી ઉપર, પૂર સાથે સહઅસ્તિત્વ કરવાનું શીખવું મહત્વપૂર્ણ છે.

આસામમાં સ્થાનિક જાતિઓ, જેમ કે મિસિંગ સમુદાય, પરંપરાગત રીતે જમીનથી ઉપર ઊંચા ઘરો બનાવે છે, પૂરના પાણી વચ્ચે પણ સલામતી સુનિશ્ચિત કરે છે. આધુનિકીકરણની દોડમાં આ પરંપરાગત પ્રથાઓને છોડી દેવાથી નુકસાનકારક સાબિત થયું છે. જ્યાં સુધી પ્રકૃતિના નિયમોની સમજણ સાથે માળખાકીય સુવિધાઓ વિકસાવવામાં નહીં આવે, ત્યાં સુધી આસામને દર વર્ષે આ જળપ્રલયનો સામનો કરવો પડશે.

મરીન ઈતિહાસકારે ખોલી અંગ્રેજોના જુઠાણાની પોલ, સૌથી જુની સભ્યતા ભારતીય હતી નહીં કે મેસોપોટેમિયાની- વાંચો

 

Published On - 9:52 pm, Tue, 28 July 26

Follow Us