BJP National Executive Meeting: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે (Amit Shah) રવિવારે વિરોધ પક્ષોને વિખરાયેલા ગણાવ્યા હતા અને કોંગ્રેસ (Congress) પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે દેશની મુખ્ય વિપક્ષ પાર્ટી લોકશાહી સ્થાપિત કરવા માટે તેમના જ સભ્યો લડી રહ્યા છે પરંતુ ગાંધી પરિવાર ડરના કારણે અધ્યક્ષ પદની ચૂંટણી કરી રહ્યો નથી. ભારતીય જનતા પાર્ટી (BJP)ની નેશનલ વર્કિંગ કમિટીની બેઠક દરમિયાન પસાર કરવામાં આવેલા રાજકીય ઠરાવ પર બોલતા શાહે એમ પણ કહ્યું કે આગામી 30 થી 40 વર્ષ બીજેપીના રહેશે અને ભારત ‘વિશ્વગુરુ’ બનશે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શાહના સંબોધનના અંશો મીડિયા સાથે શેર કરતા મીડિયાને આ માહિતી આપી હતી. તેમના મતે, શાહે રાજકારણમાં જાતિવાદ, વંશવાદ અને તુષ્ટિકરણને એક મોટો અભિશાપ ગણાવ્યો અને કહ્યું કે તે દેશની રાજનીતિથી તેનો અંત થઈને જ રહેશે. અમિત શાહે કહ્યું છે કે દેશમાં રાજકીય હિંસાનો યુગ ખતમ થવો જોઈએ. પશ્ચિમ બંગાળ અને તેલંગાણાને પરિવારવાદથી આઝાદી મળશે.
અમિત શાહે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો, જેમાં દિવંગત સાંસદ અહેસાન જાફરીની પત્ની ઝાકિયા જાફરીની અરજી ફગાવી દેવામાં આવી હતી. અરજીમાં ગુજરાતમાં 2002ના રમખાણોના સંબંધમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની ક્લીનચીટને પડકારવામાં આવી હતી. શાહે કહ્યું કે મોદીએ રમખાણોમાં તેમની કથિત ભૂમિકા અંગે SIT તપાસનો સામનો કર્યો અને બંધારણમાં તેમનો વિશ્વાસ જાળવી રાખ્યો.
શાહે કહ્યું કે ભગવાન શિવની જેમ મોદીએ તેમના પર ફેંકેલા તમામ ઝેરને પચાવી લીધા. ગૃહમંત્રીએ દાવો કર્યો કે કોંગ્રેસ એક પારિવારિક પાર્ટી બની ગઈ છે, જેમાં ઘણા સભ્યો પાર્ટીની અંદર લોકશાહી માટે લડી રહ્યા છે. તેમણે કહ્યું કે ગાંધી પરિવાર આંતરિક સંગઠનાત્મક ચૂંટણીઓ યોજવા દેતા નથી કારણ કે તેને પાર્ટી પર પોતાનો અંકુશ ગુમાવવાનો ડર છે. તેમણે કહ્યું કે વિપક્ષ અસંતુષ્ટ છે અને સરકાર જે કંઈ સારું કરે છે તેનો વિરોધ કરી રહી છે.