
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, રાજભવનની એક કોન્ટ્રાક્ટ બેઝ મહિલા કર્મચારીએ ગત ગુરુવારે રાત્રે, હેર સ્ટ્રીટ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને આરોપ લગાવ્યો કે તેની સાથે રાજ્યપાલ દ્વારા છેડતી કરવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ આ મામલે કોઈ એફઆઈઆર નોંધવામાં આવી નથી. ચાલો જાણીએ કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાજ્યપાલને કેવી છૂટ આપવામાં આવી છે.
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે તેમના પર લાગેલા છેડતીના આરોપોને વાહિયાત ગણાવ્યા છે, પરંતુ આ બાબતથી પશ્ચિમ બંગાળમાં રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે તેની સાથે બે વખત છેડતી કરવામાં આવી હતી. આ પછી પણ રાજ્યપાલ વિરુદ્ધ તાત્કાલિક કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. વાસ્તવમાં, રાજ્યપાલના પદને બંધારણીય રક્ષણ હોય છે જેના કારણે સીવી આનંદ બોઝ જ્યાં સુધી પદ પર હોય ત્યાં સુધી ફોજદારી આરોપોનો સામનો કરવો પડશે નહીં. આ સત્તાનો ઉલ્લેખ બંધારણના અનુચ્છેદ 361માં કરવામાં આવ્યો છે.
ભારતીય બંધારણ હેઠળ રાજ્યપાલનું પદ ખૂબ જ ઊંચું છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું છે કે, રાજ્યપાલ રાજ્ય સરકારના માર્ગદર્શક અને દેશના સંઘીય માળખામાં મહત્વપૂર્ણ કડી તરીકે તેમનું સતત યોગદાન આપતા હોય છે. ભારતના બંધારણની કલમ 153 મુજબ દરેક રાજ્ય માટે એક રાજ્યપાલ હોય છે. રાજ્યપાલનું પદ બંધારણીય પદ છે.
એક રીતે તેઓ કેન્દ્ર સરકારના પ્રતિનિધિ તરીકે રાજ્યમાં કામ કરે છે, તો બીજી તરફ તેઓ રાજ્યના બંધારણીય વડા પણ છે. બંધારણના અનુચ્છેદ 158 એ સ્પષ્ટ કરે છે કે, રાજ્યપાલ સંસદના કોઈપણ ગૃહ અથવા વિધાનસભાના કોઈપણ ગૃહના સભ્ય ન હોઈ શકે. રાષ્ટ્રપતિ રાજ્યપાલની નિમણૂક કરે છે, રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્યપાલને શપથ લેવડાવે છે.
બંધારણમાં રાજ્યપાલને ઘણી મહત્વની જવાબદારીઓ આપવામાં આવી છે. જવાબદારીઓની સાથે તેમની પાસે કેટલીક શક્તિઓ પણ હોય છે. બંધારણના અનુચ્છેદ 361 (2) મુજબ, ‘કોઈપણ અદાલતમાં રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ વિરુદ્ધ તેમના કાર્યકાળ દરમિયાન કોઈ ફોજદારી કાર્યવાહી શરૂ કરવામાં આવશે નહીં અથવા ચાલુ રાખવામાં આવશે નહીં કે રાષ્ટ્રપતિ-રાજ્યપાલની ધરપકડ અથવા કેદ અંગેની કોઈ પ્રક્રિયા નહીં કરાય. આ જ કારણ છે કે તાજેતરના કેસમાં તપાસ શરૂ થઈ ગઈ છે પરંતુ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ વિરુદ્ધ કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
2014માં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિત પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા. આરોપ હતો કે તેણે 2008ની વિધાનસભા ચૂંટણીમાં જાહેરાત પ્રચારમાં કરોડો રૂપિયાના જાહેર ભંડોળનો દુરુપયોગ કર્યો હતો. આ મામલામાં તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી. જો કે તે સમયે શીલા દીક્ષિત કેરળના રાજ્યપાલ હતા. આ કારણે તેણે હાઈકોર્ટમાં અપીલ કરી હતી કે, બંધારણના અનુચ્છેદ 361 (2) મુજબ તેની સામે આવી કોઈ કાર્યવાહી થઈ શકે નહીં. બાદમાં તેની સામેની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી.