સંસદના (Parliament) ચોમાસુ સત્ર પહેલા કેન્દ્ર સરકારે રવિવારે સર્વપક્ષીય બેઠક (All Party Meeting) બોલાઈ. આ બેઠક સંસદની જૂની ઈમારત ખાતે મળી હતી. સંસદનું ચોમાસુ સત્ર (Parliament Monsoon Session) 18 જુલાઈથી એટલે કે આવતીકાલથી શરૂ થઈ રહ્યું છે. આ બેઠક લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ સંસદના મોનસુન સત્રના એક દિવસ પહેલા બોલાવી હતી. જેથી સંસદની કાર્યવાહીનું સંચાલન સુચારુ ઢબે થઈ શકે. . આ સર્વપક્ષીય બેઠકમાં તૃણમૂલ સાંસદ સુદીપ બંદોપાધ્યાય, કોંગ્રેસ સાંસદ મલ્લીકાર્જુન ખડગે, ભાજપના સાંસદ અર્જુન રામ મેઘવાલ અને અપના દળની સાંસદ સુપ્રિયા પટેલ સહિત અનેક નેતા હાજર રહ્યા હતા.
આ બેઠક બાદ કોંગ્રેસના નેતા મલ્લ્કાર્જુન ખડગેએ જણાવ્યુ કે ‘આ સર્વપક્ષીય બેઠકમાં અનેક મુદ્દા પર ચર્ચા થઈ અને અમે ઓછામાં ઓછા 13 મુદ્દાઓ સરકાર સામે રાખ્યા છે. 20 જેટલા મુદ્દાઓ બેઠક દરમિયાન સામે આવ્યા છે. જો કે એવુ પણ જણાવાયુ છે કે 32 બિલ છે જે પૈકી ફક્ત 14 બિલ તૈયાર છે. જોકે આ 14 બિલ ક્યા છે તે મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યુ ન હતુ. ખડગેએ વધુમાં જણાવ્યું હતું કે, ‘સત્રમાં વિદેશ નીતિ, ચીની ઘુસણખોરી, વન મંત્રણા અધિનિયમમાં ફેરફાર તેમજ કશ્મીર અને કશ્મીરી પંડિતોને સંબંધિત મુદ્દાઓ, કોંગ્રેસ નેતાઓ પરના હુમલા સહિતના અનેક મુદ્દે ચર્ચા થવી જોઈએ.’
આ અગાઉ શનિવારે પણ સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઓમ બિરલાએ તમામ દળોને આહ્વાન કર્યું હતું કે સદનને શાલીનતા, ગરીમા અને શિસ્ત સાથે સુચારૂ ઢબે ચલાવવામાં સહયોગ કરો. શનિવારે મળેલી બેઠકમાં બિરલાએ તમામ દળોના નેતાઓને સત્રની તૈયારીઓ અંગે જાણકારી આપી હતી. આ દરમિયાન તમામ દળોના નેતાઓએ સદનને ગરીમા સાથે ચલાવવામાં સહયોગ કરવાની ખાતરી આપી હતી. જોકે વિપક્ષી દળોએ એવુ પણ જણાવ્યુ કે આ સત્રમાં તેઓ અગ્નિપથ યોજના, બેરોજગારી, અને ખેડૂતોને લગતા મુદ્દાઓ ઉઠાવશે.
Delhi | All-party meeting called by the government ahead of the Monsoon session of Parliament, begins in Parliament Annexe building pic.twitter.com/alZr7VaFRv
— ANI (@ANI) July 17, 2022
સર્વપક્ષીય બેઠકમાં ચોમાસુ સત્રમાં આવનારા મુદ્દા અને વિવિધ વિધેયકો પર ચર્ચા માટે સમયની ફાળવણી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બિરલાએ સભ્યોને જણાવ્યુ કે સત્ર દરમિયાન 18 બેઠકો થશે અને કુલ 108 કલાકનો સમય રહેશે. જેમાં લગભગ 62 કલાક સરકારી કામકાજ માટે રહેશે. બાકીનો સમય પ્રશ્નકાળ, શૂન્ય કાળ અને બિન-સરકારી કામકાજ માટે ફાળવવામાં આવશે.
આ બેઠકમાં બિનસંસદીય શબ્દોની યાદીને લગતો મુદ્દો પણ ઉઠ્યો હતો. બિરલાએ કહ્યું કે કોઈપણ પાર્ટી સત્ર દરમિયાન બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરશે નહીં. આ બેઠકમાં સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશી અને રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલે સરકારનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોશીએ સરકારી કામકાજની યાદી રાખી હતી જેમા 14 પેન્ડિંગ બિલ અને 24 નવા બિલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે લોકસભાના અધ્યક્ષ સંસદના દરેક સત્રની શરૂઆત પહેલા સર્વપક્ષીય બેઠક યોજે છે. સંસદનું ચોમાસુ સત્ર 18 જુલાઈ એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યું છે.
Published On - 3:48 pm, Sun, 17 July 22