
ભારત થી ઈન્ડોનેશિયા જઈ રહેલી એર ઈન્ડિયાની વધુ એક ફ્લાઈટને દિલ્હી પરત ફરવું પડ્યું છે. આ ફ્લાઈટને અધવચ્ચેથી દિલ્હી પરત ફરવું પડ્યું છે. ઈન્ડોનેશિયામાં બાલી એરપોર્ટની પાસે જ્વાળામુખી વિસ્ફોટ થવાના કારણે એર ઈન્ડિયાની ફ્લાઈટને દિલ્હી પરત ફરવું પડ્યું છે. આ ફ્લાઈટ રાજધાનીથી બાલી જઈ રહી હતી. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે.
એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, ફ્લાઇટ સુરક્ષિત રીતે દિલ્હી પરત ઉતરી ગઈ હતી અને તમામ મુસાફરોને નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “18 જૂનના રોજ, બાલી એરપોર્ટ નજીક જ્વાળામુખી ફાટવાના અહેવાલોને કારણે દિલ્હીથી બાલી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI2145 ને સલામતીના દૃષ્ટિકોણથી દિલ્હી પરત ફરવાની સલાહ આપવામાં આવી હતી.” એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે મુસાફરોને હોટેલમાં રહેવાની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી છે. આ સાથે, મુસાફરોને કોઈપણ વધારાના ચાર્જ વિના ટિકિટ રદ કરવા અથવા મુસાફરીનું સમયપત્રક ફરીથી નક્કી કરવા પર સંપૂર્ણ રિફંડની સુવિધા પણ આપવામાં આવી રહી છે.
આ પહેલા એર ઈન્ડિયાએ અમદાવાદ પ્લેન દુર્ઘટના બાદ સુરક્ષા તપાસમાં વધારો અને વિમાનની ઉપલબ્ધતા ન હોવા સહિતના વિવિધ કારણોસર એર ઇન્ડિયાએ મંગળવારે સાત આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી હતી. આમાંથી છ પરત ફરતી ફ્લાઇટ્સ પણ રદ કરવામાં આવી છે, જેના કારણે રદ થયેલી ફ્લાઇટ્સની સંખ્યા 13 થઈ ગઈ છે. આ બધી ફ્લાઇટ્સ બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાનની હતી.
તમને જણાવી દઈએ કે,12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. વિમાન દુર્ઘટના મામલામાં 163ના DNA મેચ થયા, 124 મૃતદેહ સોંપવામાં આવ્યા. દુર્ઘટના બાદ 71 લોકો હોસ્પિટલમાં દાખલ થયા હતા. એક માત્ર જીવિત યાત્રી વિશ્વાસને હોસ્પિટલમાંથી રજા અપાઈ. સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દી પૈકી 2ના મોત થયા છે.
Published On - 1:29 pm, Wed, 18 June 25