લોકસભામાં અધિર રંજનનું નિવેદન, અદાણીની વાત કરતા જ આખો ભાજપ પક્ષ ગરમ થઈ જાય છે, રાહુલે તમને પપ્પુ બનાવ્યા

રાહુલ ગાંધીએ લોકસભામાં અદાણી કેસમાં પીએમ મોદી પર નિશાન સાધ્યાના એક દિવસ બાદ કોંગ્રેસ નેતા અધીર રંજને હવે તેમનો બચાવ કરતા ભાજપ પર નિશાન સાધ્યું છે. વાંચો તેમણે લોકસભામાં શું કહ્યું...

લોકસભામાં અધિર રંજનનું નિવેદન, અદાણીની વાત કરતા જ આખો ભાજપ પક્ષ ગરમ થઈ જાય છે, રાહુલે તમને પપ્પુ બનાવ્યા
Adhir Ranjan ( file photo)
| Edited By: | Updated on: Feb 08, 2023 | 4:26 PM

સંસદગૃહમાં રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થઈ રહી છે. જે દરમિયાન ગઈકાલ મંગળવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ અદાણી જૂથના મુદ્દે કેન્દ્રની મોદી સરકાર પર ઉગ્ર નિશાન સાધ્યું હતું. ત્યાર બાદ ભાજપના અનેક નેતાઓએ, દેશમાં બનેલા જૂના ભ્રષ્ટાચારના કેસને લઈને કોંગ્રેસને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના નેતા અને લોકસભા સભ્ય અધીર રંજને આજે બુધવારે પોતાનું ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપ દ્વારા રાષ્ટ્રપતિને વારંવાર આદિવાસી કહેવામાં આવે છે. શું તેઓ તેને ચૂંટણીનો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.

અધીર રંજને પોતાના વક્તવ્યમાં કહ્યું, ‘આ પહેલા પણ ઘણા રાષ્ટ્રપતિ બન્યા છે પરંતુ તેઓ કયા ધર્મના છે, કઈ જાતિના છે તે કદાપી સાંભળ્યું નથી, પરંતુ હવે દર વખતે ભાજપ દ્વારા એવું કહેવામાં આવે છે કે, અમે એક આદિવાસીને રાષ્ટ્રપતિ બનાવ્યા છે. એવું લાગે છે કે જાણે દાન આપવામાં આવ્યું હોય..’ આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીનું નામ લેતા તેમણે કહ્યું, ‘અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઓબીસી પીએમ નથી કહેતા, પરંતુ માત્ર વડાપ્રધાન કહીએ છીએ. તમે આપણા રાષ્ટ્રપતિની ક્ષમતા પર શંકા પેદા કરી રહ્યા છો. તેમને માન આપો.

રાહુલ ગાંધી vs BJP

આટલું જ નહીં, રાહુલ ગાંધીનો બચાવ કરતાં, કોંગ્રેસના નેતા અને લોકસભા સભ્ય અધીર રંજને ગૃહમાં આપેલા ભાષણમાં કહ્યું, ‘રાહુલ ગાંધીએ તમને બધાને પપ્પુ બનાવ્યા છે. તમે રાહુલ ગાંધીને પપ્પુ કહો છો, તેમણે હવે તમને પપ્પુ બનાવી દીધા છે. રાહુલ ગાંધીએ તમામ તીર સીધા નિશાન પર માર્યા હતા. રાહુલ ગાંધીને એક ષડયંત્ર હેઠળ ઘેરવામાં આવ્યા હોવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, ‘રાહુલ ગાંધીના ભાષણ બાદ સમગ્ર બીજેપી બ્રિગેડિયરને રાહુલ ગાંધીની પાછળ લગાવી દેવામાં આવી છે. એવું લાગી રહ્યું છે કે ભાજપ વિરુદ્ધ રાહુલ ગાંધીનો દોર ચાલી રહ્યો છે. દેશમાં રાહુલ ગાંધીના ભાષણની ચર્ચા થઈ રહી છે. રાહુલને ઘેરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.

અદાણી કેસ પર કોંગ્રેસના નેતા અને લોકસભા સભ્ય અધીર રંજને ફરી એકવાર કેન્દ્ર સરકારને ઘેરી હતી અને કહ્યું હતું કે, ‘અદાણીની વાત થાય ત્યારે આખો ભાજપ પક્ષ ગરમ થઈ જાય છે, અધીરા થઈ જાય છે. આપણે શું કરીશું… આ બધું હિંડનબર્ગમાં છપાયું હતું. આપણે આપણા મનની વાત નથી કરતા. બધું છપાયેલું છે.