કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો, 38 મહિનામાં 630 ત્રાસવાદીઓને ઠાર મરાયા

મે 2018થી જૂન 2021 સુધીના સમયગાળામાં 400 એન્કાઉન્ટર થયા હતા. જેમાં 85 જેટલા વીર સૈન્ય જવાનો શહીદ થયા હતા.

કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો, 38 મહિનામાં 630 ત્રાસવાદીઓને ઠાર મરાયા
action against militants
| Edited By: | Updated on: Aug 04, 2021 | 8:32 PM

જમ્મુ કાશ્મીરમાં મે 2018થી લઈને જૂન 2021 સુધીના સમયગાળામાં ઓછામાં ઓછા 630 આતંકવાદીઓને ઠાર મરાયા છે. કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે, બુધવારે રાજ્યસભામાં આ વિગતો આપી હતી. નિત્યાનંદ રાયે રાજ્યસભામાં જણાવ્યુ હતુ કે, મે 2018થી જૂન 2021 સુધીના સમયગાળામાં 400 એન્કાઉન્ટર થયા હતા. જેમાં 85 જેટલા વીર સૈન્ય જવાનો શહીદ થયા હતા. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહના સવાલનો જવાબ આપતા નિત્યાનંદ રાયે એમ પણ કહ્યુ હતુ કે, જમ્મુ કાશ્મીરની સરહદ સતત સરહદ પારના આતંકવાદનો શિકાર રહી છે.

આતંકના આકાઓ ઉપર કડકાઈ
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે તેમના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સરકારની આતંકવાદ અંગે ઝીરો ટોલરન્સ નીતિ છે. તેમણે કહ્યું કે સરકારે અહીં સુરક્ષા સુધારવા માટે અનેક પગલાં લીધા છે. દેશવિરોધી તત્વો સામે કડકમાં કડક કાયદાઓ અમલમાં લાવવામાં આવ્યા છે. આ સાથે આતંકવાદી સંગઠનોના પડકારનો સામનો કરવા માટે સતત સર્ચ ઓપરેશન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે. નિત્યાનંદ રાયે કહ્યું કે સુરક્ષા દળો એવા લોકો પર કડક નજર રાખી રહ્યા છે જે આતંકવાદીઓને મદદ કરી રહ્યા છે. જેઓ આતંકવાદીઓના આકા કહેવાય છે. આવા લોકોની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પાકિસ્તાને 664 વખત યુદ્ધવિરામનો ભંગ કર્યો
કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે જૂન 2021 સુધી પાકિસ્તાને સરહદ પારથી ગોળીબાર કરીને જમ્મુ -કાશ્મીર સરહદે 664 વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જો કે, માર્ચ મહિનામાં સીમાપારથી ફાયરિંગ કે યુદ્ધવિરામ ભંગની એક પણ ઘટના બની નથી. ડીએમકે સાંસદ તિરુચી સિવાના જવાબમાં, કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે, રાજ્યસભામાં કહ્યું કે 2019 માં, યુએપીએ કાયદા હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં 1948 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય 34 લોકોને સજા પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ભ્રષ્ટાચાર પર સખ્ત બની કેન્દ્ર સરકાર, ગૃહ મંત્રાલયે CBIના પૂર્વ ડિરેક્ટર આલોક વર્મા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવાની કરી ભલામણ

આ પણ વાંચોઃ Lovlina Borgohain: મોહમ્મદ અલીની ફૈન લવલીનાએ બ્રોન્ઝ મેડલ પર પંચ માર્યો, જાણો અનોખી સ્ટોરી

Published On - 8:29 pm, Wed, 4 August 21